ગુર્જરી પ્રામણીક-વીર : મુબારક – ખુદ ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજીના હાથ માંથી ધુળ અને આંખમાંથી આંસુ સરી પડયાં, જ્યારે આ વીરના મૃત્યુનાં સમાચાર સાંભળ્યા !!

“અન્નદાતા જય માતજી !”, નગરચર્યા કરવા નીકળેલા ભાવનગરનાં રાજા કૃષ્ણકુમારસિંહજીનાં કાનમાં શબ્દો અથડાયા. ગામની બકરીઓ ચરાવતો એક ગરીબ યુવાન પોતાના રાજાને જોઈને તેની સામે આદરથી પ્રણામ કરીને ઉભો હતો.

“જય માતાજી”, ઝવેરી જેમ સાચા મોતીને પરખીલે, તેમ ભાવનગર ઠકુરને યુવાન તરફ જોયું. “શું નામ છે તારું?” રાજાએ પુછ્યું. “મુબારક, અન્નદતા..” ગરીબ જવાને નમ્રતાથી જવાબ આપ્યો.

“નગર માટે કામ કરીશ ?”

“જરૂર મહારાજ, કેમ નહી!”

“તો ચાલ, બેસીજા બગીમાં..”, શાહીબગીનાં દરવાજા ખુલ્યા. ”માફ કરજો મહારાજ, પરંતુ અત્યારે આ બીજાની બકરીઓ ચરાવું છું, એ એના માલીકને સોંપતો આવું.” યુવાન બોલ્યો. “હું નિલમબાગ પાસે તારી રાહ જોઈશ.” ,મહારાજા ત્યાંથી ચાલી નેકળ્યા. અઢાર-અઢાર ગામનાં રાજા એક મુસ્લીમ યુવકની રાહ જોતા નિલમબાગના દરવાજા પાસે ઉભા છે. ત્યાં મુબારક આવ્યો “હુકમ સરકાર..”. “આ નિલમબાગની રખવાળી કરી શકીશ ?” રાજાએ પુછ્યું. મુબારકે પુરા આત્મવિશ્વાસ સાથે ઉત્તર વળ્યો, “જ્યાં સુધી આ ખોડીયામાં પ્રાણ હશે ત્યાં સુધી !”નિલમબાગની રખેવાળીનું કામ મુબારકને સોંપાયું. થોડા સમયમાં તો મુબારકની ધાક એવી પ્રસરી, કે મુબારકની ઈઝાજત વગર ત્યાં પાંદડું પણ ના ચાલે. તેનું કામ જોઈ રાજાએ તિજોરીની ચાવીઓ પણ મુબારકના હવાલે કરી. રાજાએ તેને તિજોરીની પુરી જવાબદારીઓ સોંપી. ત્યાં સુધી કે, રાણી ને પણ ઘરેણા જોઈતા હોય, તો મુબારક દ્વારા જ લઈ શકે.

એક વખત રાણીને કોઈ પ્રસંગ માટે પોતાના કિમતી હારની જરૂર પડી. મુબારકને બોલાવયો, અને હાર લેવાયો. મહારાણી પ્રસંગ પતાવી પાછા આવ્યાં. અને હાર ગળામાં જ રહેવા દીધો. પણ એ રાત્રે રાણીને નિંદર ન આવી. તેઓ પુસ્તક ખોલી વાંચવા લાગ્યા. થોડી વારમાં રાણીની આંખો ઘેરાવા લાગી. રાણી હાર કાઢી પુસ્તકમાં મુકી સુઇ ગયા, અને ભુલી ગયા કે પુસ્તકમાં તેમણે હાર રાખેલો છે, અને પુસ્તકને તેના સ્થાને રખી દીધું.
સમય જતાં ફરીથી હારની જરૂર પડી. તિજોરી ખોલાવી, પણ હાર મળ્યો નહી. રાણીએ રાજાને વાત કરી. રાજાએ તુરંત જ મુબારકને બોલાવ્યો, “મુબારક ! ચાવીઓ ક્યાંય રહી ગઈ છે?” “હું મારા પ્રાણ ક્યાં મુકી શકું મહારાજ !” મુબારકે આશ્ચર્યથી પુછ્યું “પણ કેમ મહારાજ એમ પુછો’છો?”

“તિજોરી માંથી રાણીનો હાર ગાયબ છે”, રાજાએ મુબારકને માંડીને વાત કરી. એજ ઘડીએ મુબારક તેનાં ખભ્ભેથી રૂમાલ જમીન પર પાથરી, તેના પર ઉભો રહી, હાથ જોડીને બોલ્યો, ”મહારાજ મને એ હાર વિષે કઈંજ ખબર નથી.” મુબારક તેમનો વફદાર હતો, રાજાએ તેના પર વિશ્વાસ કર્યો.

પરંતુ, રાજાએ કૌતુકથી પુછ્યું ”આ વાતતો તું એમનેમ બોલી શકતો હતો, એમા આ રૂમાલ પર ઉભા રહીને બોલવાની શી જરૂર ?” “આ રૂમાલ હું પાંચ વખત પાથરું છું, અને આ રૂમાલ પર ઉભીને માત્ર ખૂદાને બંદગી કરું છું. આજે હું બોલું છું કે મે એ હાર નથી લીધો એનો આ પુરાવો છે…!!!”

સમય જતાં રાણીને પુસ્તક માંથી હાર મળે છે. રાજા મુબરકને કહે, “ભાઈ અમને માફ કરજે, હાર મળી ગયો છે.” ત્યારે મુબારક ચાવીનાં જૂડા રાજા સામે ધરી માત્ર એટલું બોલે છે, “મહારાજ હું મારું પેટ બીજેથી ભરી લઇશ, હવે આ જૂડા સાચવો. આ હારની રાહે જ હું અહીં હતો.

હવે મારાથી અહીં કામ ન થાય. આજ હાર પુસ્તકમાં મુકયો ને કાલ ક્યાંક બીજે મુકાય; તે’દી મુબારકનાં ખોડીયા માંથી પ્રાણ મુકય. મારાથી આ સહન નઈ થાય.” ત્યારે ભાવનગર ઠાકુર એટલું જ બોલ્યા, “બેટા, હવે પ્રાણ મુકાય પણ મુબારકને ના મુકાય !” ને મુબારકે અંતિમ શ્વાસ સુધી રાજની સેવા કરી.એક વાર કૃષ્ણકુમારસિંહજી નિલમબાગનાં દરવાજે મુબારકનો ખાટલો ખાલી જોઈ મહારાજે પૂછવ્યું, “મુબારક ક્યાં છે ? કેમ દેખાતો નથી ?” સામેથી જવાબ આવ્યો, “મહારાજ હવે મુબારક ક્યારેય નહી દેખાય !

એ તો આ ફાની દુનીયા છોડીને નીકળી ગ્યો છે.” રાજા પોતાની સવારી પરથી ઉતરીને બોલ્યા “આજ દરબાર નહી ભારાય અને રાણીને ક’ઈદો કે આજ હું મહેલમાં જમવાં નહીં આવું. આજ મારે મુબારકના જનાજાને કાંધ આપવા જાવું છે.”રાજા જનાજાની રાહે ઉભા છે. ઘણી રાહ જોયા પછી પણ જનાજો ન નિકળ્યો. રાજાએ હુકમ કર્યો, તપાસ કરાવો જનાજો કેમ ન નિકળ્યો ? “મહારાજ મુબારકના ઘરે એક ખુણામાં મુબારકની બીબી રડે છે અને બીજાં ખુણામાં તેના બળકો; મુબારક માટે કફન નથી. કફન વગર જનાજો કેમ નીકળે !”

“કેમ? ભાવનગર પગાર આપતુ’તું એનું શું થયું? શું એને કોઈ વ્યસન હતું?”

“હા મહારાજ! એને વ્યસન હતું, જ્યારે ઘરે જાય ત્યારે રસ્તામાં જેટલાં સાધુ-સંતો-ફકીરો મળે એમને થોડું-થોડું આપતો જાય. ઘરે પહોંચે ત્યાં રાતી પાઈ પણ ના વધે.”

આ સાંભળી કૃષ્ણકુમારસિંહજીએ નમ આંખે મુબારકનો જનાજો તૈયાર કરાવ્યો. અને પોતાની પાઘડી ઉતારી માથે રૂમાલ બાંધીને પ્રાર્થના કરી “ઈસ્લામનાં નિયમ પ્રમાણે તમે કાંધ બદલતાં રહો છો, પણ આજ મારી તમને વિનંતી છે કે ત્રણ કાંધ બદલજો, પણ આ એક કાંધ તો હું નહીંજ બદલાવું!” ને રાજાએ છેક કબરસ્તાન સુધી મુબારકનાં જનાજાને કાંધ આપી…અંતે દફનાવતી વખતે કૃષ્ણકુમારસિંહજીના હાથ માંથી ધુળ અને આંખ માંથી આંસુ પડતા રહ્યાં. “બેટા મુબારક, મને માને માફ કરજે, મે સાચા મોતીને ઓડખવામાં થાપ ખાધી..!”

સંદર્ભ: માયાભાઈ આહિરનાં લોક-ડાયરા માંથી.