ગુજરાતમાં દ્વારકાના શિવરાજપુર બીચને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા બ્લુફલેગ પ્રમાણપત્ર મળ્યું !!
ગુજરાત પ્રવાસન ક્ષેત્રને ચાર ચાંદ લગાવતું એક ગૌરવ મેળવ્યું છે. ગુજરાતના દ્વારકાના શિવરાજપુર બીચને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું છે. દ્વારકાના શિવરાજપુર બીચને વિશ્વસ્તરે બ્લુફલેટ ઓર્ગેનાઇઝ સંસ્થા દ્વારાબ્લુફલેગનું પ્રમાણપત્ર મળતા શિવરાજપુરનો આ બીચ હવે વિશ્વકક્ષાએ સમગ્ર વિશ્વમાં ઓળખાશે. દ્વારકાથી માત્ર ૧૦ કીમીના અંતરે ઓખા દ્વારકાના હાઇવે માર્ગ ઉપર અરબી સમુદ્રના કિનારે આવેલા આ બીચને ભારત સરકારે વિશ્વની ઓર્ગેનાઇઝેશન સંસ્થામાં નોમીનેશન કર્યુ હતુ. બાદમાં છેલ્લા બે વર્ષથી બ્લુફલેગ બીચની સંસ્થા દ્વારા તેમના વિદેશી પ્રતિનિધિઓ અને ભારત સરકારના અધિકારીગણ દ્વારા શિવરાજપુર બીચની મુલાકાત લેવાઇ હતી.
ઉપરોકત સંસ્થા દ્વારા ભારતના કુલ ૮ બીચ પૈકીના સૌરાષ્ટ્રના એકમાત્ર શિવરાજપુર બીચને બ્લુફલેગ બીચ તરીકે જાહેર કરવામાં આવતા દ્વારકાના વેપાર ધંધા સાથે સંકળાયેલા હોટલ ઉદ્યોગ અને અન્યોમાં હર્ષ અને આનંદની લાગણી પ્રસરી છે. માત્ર ૧૨૦૦ જેટલા નાગરીકોની વસ્તી ધરાવતા શિવરાજપુર ગામના કાંઠે આવેલા આ બીચ ભારતનું એક નજરાણુ છે. આ બીચ ઉપર વિશ્વકક્ષાની દરિયાઇ જીવસૃષ્ટિ જોવા મળે છે. અલભ્ય જીવપ્રાણીઓ અત્રે ઉપલબ્ધ છે. તેમજ શિવરાજપુરનો દરિયાકિનારો પણ કુદરતી રીતે ખૂબ જ શોભામ્ય અને પ્રકૃતિના નજારારૂપ છે.
શું છે બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન?
બ્લુ ફ્લેગ દુનિયાના સૌથી ચોખ્ખા બીચમાંથી એક હોય છે. આ માટે 33 અલગ અલગ માપદંડ બનાવવામાં આવ્યા છે જેમાં પર્યાવરણ, નહાવાના પાણીની ગુણવત્તા, સુરક્ષા, સેવાઓ વગેરેની ગુણવત્તા નક્કી કરીને રેટિંગ આપવામાં આવે છે. આ સર્ટિફિકેશન ડેન્માર્કમાં હેડક્વાર્ટર ધરાવતી સંસ્થા ‘ફાઉન્ડેશન ફોર એન્વાર્યમેન્ટ એજ્યુકેશન’ દ્વારા આપવામાં આવ્યું છે.
રુકમણી મંદિરથી ફક્ત 15 મિનિટના અંતરે લાંબા અંતર સુધી ખેંચાયેલો નયનરમ્ય શિવરાજપુર બીચ આવેલો છે. અહી એક સુંદર દીવાદાંડી અને પથરાળ દરિયાકિનારો આવેલો છે. અહીંની શ્વેત રેતી અને નિર્મળ ચોખ્ખુ પાણી પ્રવાસીઓને અહી લટાર મારવા માટે મજબૂર કરે છે. પરિવાર સાથે મુલાકાત લેવાનું આ એક આદર્શ સ્થળ છે. આ બીચ ઉદ્યોગો અને શહેરથી એટલો દુર આવેલો છે કે અહીનું પર્યાવરણ ખૂબ ચોખ્ખું છે.
ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આ બીચના વિકાસ માટે તબકકાવાર ૫૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરી વિકાસ કરવામાં આવનાર છે. હાલમાં આ બીચ ઉપર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પ્રવાસનમંત્રી જવાહરભાઇ ચાવડાના માર્ગદર્શન હેઠળ પ્રવાસન વિભાગે પ્રથમ તબકકે વાહન પાર્કિંગ વોક વે પાર્કિંગ, બાળક્રિડાંગણ અને સેનીટેશન જેવી પાયાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
દેવભૂમી દ્વારકા જીલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીનાના પ્રાંત અધિકારી ભેટારીયા વગેરે દ્વારા આ બીચનો પ્રવાસન વિભાગ સાથે સંકલન કરીને બીચ જાળવણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢ વર્ષથી દેવભૂમી દ્વારકા જીલ્લામાં કલેકટર તરીકે ફરજ બજાવતા કલેકટર મીનાએ દર માસે મુલાકાત લઇને બીચની જાળવણી કરવા માટે બીચ કમિટીના સ્ટાફે યોગ્ય માર્ગદર્શન આપતા રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ