કોરોના વાયરસની બીજી લહેર બહુ ઝડપથી લોકોને પોતાની ઝપટમાં લઇ રહી છે. આ સંક્ર્મણ બહુ ઝડપથી ફેલાઈ રહ્યું છે. કોરોનાના ગંભીર કેસોમાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે પરંતુ હલકા અથવા મધ્યમ ગંભીર કેસોમાં ઘરમાં રહીને પણ ઈલાજ કરી શકાય છે. આ પ્રક્રિયાને હોમ આઇસોલેશન પણ કહેવામાં આવે છે. હોમ આઇસોલેશનમાં દર્દી પોતાને ઘરના બાકી સદ્સ્યોથી દૂર રહી પોતાની ટ્રીટમેન્ટ કરી શકે છે. ત્યારે આજના આ લેખમાં અમે આપને હોમ આઇસોલેશન થવા અંગે જરૂરી અને ઉપયોગી બાબતો જણાવી રહ્યાં છીએ.
હોમ આઇસોલેશન માટે જરૂરી નિયમ
હોમ આઇસોલેશન માટે કોરોનાના દર્દી માટે ઘરમાં અલગ અને હવાઉજાસ વાળો રુમ હોવો જોઈએ. દર્દી માટે અલગ સંડાસની પણ વ્યવસ્થા કરવી જોઈએ. એ સિવાય દર્દીની 24 કલાક સારસંભાળ માટે કોઈ એક વ્યક્તિએ હાજર રહેવું. નોંધનીય છે કે હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીના લક્ષણો ગંભીર ન હોવા જોઈએ જો ગંભીર લક્ષણો દેખાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો અને જરૂર પડે તો હોસ્પિટલમાં દાખલ થવું.
હોમ આઇસોલેશનમાં દર્દીએ શું શું કરવું જોઈએ ?
દર્દીના રૂમમાં બારીઓ ખુલ્લી રાખવી જોઈએ અને દર્દીએ આખો સમય ત્રણ લેયર વાળું માસ્ક પહેરવું જોઈએ અને તે દર 6 થી 8 કલાકે બદલી નાખવું જોઈએ. સાબુ અને પાણી વડે હાથ ઓછામાં ઓછા 40 સેકન્ડ સુધી ધોવા. વધુ પડતી સ્પર્શ થતી હોય તેવી કોઈપણ સપાટીનો સ્પર્શ ન કરવો હિતાવહ છે. દર્દીના વાસણો, ટુવાલ, ચાદર, કપડા અલગ રાખવું અને અન્ય કોઈએ તેનો ઉપયોગ ન કરવો.
ઘરમાં રહેલા દર્દીએ દિવસમાં બે વખત પોતાના તાવ અને ઓક્સિજન લેવલ ચેક કરવું. શારીરીનું તાપમાન 100 ફેરનહીટથી ઓછું હોય તે જોવું. ઓક્સિમીટર દ્વારા ઓક્સિજનનું સ્તર પણ ચેક કરવું તે SpO2 રેટ 94 ટકાથી ઓછું ન થાય તે જોવું. જો તેમને અન્ય કોઈ બીમારી પણ હોય તો તેનો ઈલાજ પણ સાથે ચાલુ રાખવો. આઇસોલેશન દરમિયાન સ્મોકિંગ અને નશીલા પદાર્થોનું સેવન ન કરવું. ડોક્ટરની સલાહ અનુસાર નીયમીત રીતે દવાઓ લેવી.
ડાયટ કેવી રાખવી ?
કોરોનાના દર્દીએ ઘરમાં બનાવેલો તાજો અને સાદો ખોરાક જ ખાવો. મોસંબી, નારંગી અને સંતરા જેવા તાજા ફળો અને બીન્સ, દાળ જેવા પ્રોટીનથી ભરપૂર હોય તેવો ખોરાક લેવો. ખાવામાં આદુ, લસણ અને હળદર જેવા મસાલાનો પણ ઉપયોગ કરવો. દિવસમાં દૈનિક 8 થી 10 ગ્લાસ પાણી પીવું.
લો ફેટ વાળું દૂધ, અને દહીં ખાવું, નોનવેજ ખાનારાઓએ સ્કિનલેસ ચિકન, માછલી અને ઈંડાનો સફેદ ભાગ ખાવો જોઈએ. કઇંપણ ખાતા પહેલા તેને સારી રીતે ધોઈને જ ખાવું. કોરોનાના દર્દીઓએ તેનું ખાવાનું ઓછા કોલેસ્ટ્રોલ વાળા તેલમાં પકાવીને જ ખાવું જોઈએ.
શું ન ખાવું ?
કોરોનાના દર્દીએ મેંદો, તળેલો ખોરાક અને જંકફૂડ ન ખાવું જોઈએ. ચિપ્સ, પેકેટમાં જ્યુસ, કોલ્ડ ડ્રિન્ક, ચીઝ, માખણ, મટન, ફ્રાઈડ, પ્રોસેસ્ડ મીટ અને પામ ઓઇલ જેવા અનસેચ્યુરેટેડ ફેટ્સથી દૂર રહેવું જોઈએ. ઈંડાનો પીળો ભાગ અઠવાડિયામાં એક વખત જ લેવો. સપ્તાહમાં નોનવેજ બે થી ત્રણ વખત જ લેવું.
હોમ આઇસોલેશનની અવધિ
સામાન્ય રીતે હોમ આઇસોલેશનની અવધિ 14 દિવસની હોય છે. પણ જો દર્દીને છેલ્લા 10 દિવસમાં તાવ કે અન્ય કોઈ લક્ષણ ન હોય તો ડોક્ટરને બતાવીને હોમ આઇસોલેશન પૂરું કરી શકાય છે.
આ બાબતોનું ધ્યાન રાખવું
કોરોના વાયરસ શરીરની સાથે સાથે દર્દીને માનસિક રીતે પણ નબળો પાડી દે છે. એટલા માટે ઈલાજ દરમિયાન દર્દીએ તેની માનસિક સ્થિતિનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે. દર્દી હોમ આઇસોલેશનમાં હોવા છતાં ફોન દ્વારા કોલ કે વિડીયો કોલ કરીને મિત્રો સ્નેહીઓ સાથે સંપર્કમાં રહી શકો છો. આ સમય દરમિયાન તમે પસંદગીના પુસ્તકો વાંચવા અને મોટિવેશનલ શો તેમજ હળવી ગેમ્સ રમીને તમને પ્રફુલ્લિત રાખી શકો છો. પોતાના પર માનસિક દબાણ ન પડે તે બાબતે ધ્યાન રાખવું.
આ લક્ષણો હોય તો ગંભીરતાથી લેવું
હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓએ અન્ય કેટલાક લક્ષણો તરફ ધ્યાન આપવું પણ જરૂરી છે. તાવ સિવાય શ્વાસ લેવામાં તકલીફ પડવી, છાતીમાં સતત દુખાવો કે દબાણ લાગવું, માનસિક ભ્રમ કે હોઠ અને ચેહરાનો રંગ બદલવા જેવા લક્ષણ દેખાય તો તરત ડોક્ટરને બતાવવું.
ઘરના સભ્યોએ આ વાતનું ધ્યાન રાખવું
જો ઘરમાં કોરોનના દર્દીની હોમ આઇસોલેશન અવધિ ચાલી રહી હોય તો તેની સાર સંભાળ 24 થી 50 વર્ષનો કોઈપણ ઘરના સભ્ય રાખી શકે છે. જો કે તે વ્યક્તિ સ્વસ્થ હોય તે જરૂરી છે. દર્દીની સાર સંભાળ રાખનાર અન્ય કોઈ ગંભીર બીમારીથી પીડિત ન હોય તે જોવું.
એ ઉપરાંત દર્દીની સંભાળ રાખનાર વ્યક્તિએ ત્રણ લેયર વાળું માસ્ક, ડિસ્પોઝેબલ મોજા અને એક પ્લાસ્ટિક એપ્રનનો ઉપયોગ કરવો જોઈએ. એપ્રન હમેશા સોડિયમ હાઈપોક્લોરાઇટથી સાફ કરવું. હાથપગ ધોયા વિના તમારા નાક, મોઢું અને ચેહરાને સ્પર્શ ન કરવો.
સંડાસ જવા પહેલા અને પછી, જમવાનું બનાવ્યા પહેલા અને પછી હાથને સ્વચ્છ રીતે ધોવા. દર્દીના થૂંક, છીંક અને લાળના સંપર્કમાં આવવાથી બચવું. દર્દીના ઉપયોગમાં લેવાયેલ કોઈપણ ચીજવસ્તુઓને ન અડવી. દર્દીને જમવાનું આપવાના સમયે તેના સીધા સંપર્કમાં ન આવવું. જમવાનું કોઈ સ્ટુલ કે ટેબલ પર રાખવું. દર્દીને આપવામાં આવેલા વાસણ ઉઠાવતા સમયે ડિસ્પોઝેબલ ગ્લોવ્ઝ પહેરવા.
દર્દીના રુમ, બાથરૂમ અને સંડાસની સપાટીને સૅનેટાઇઝ કરવી. તમારા મોબાઈલ ફોન પર આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરો અને એપ પર 24 કલાક નોટિફિકેશન અને લોકેશન ટ્રેકિંગ અને જીપીએસ ટ્રેકિંગ ઓન રાખવી.