આજ સુધી તમે પાણીમાં તરતાં ઘર, હોટલ, બજાર વગેરે જોયું હશે પણ શું તમે પાણીમાં તરતી પોસ્ટ ઓફીસ વિશે સાંભળ્યું છે ?
નહીં ને ? આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને પાણીમાં તરતી પોસ્ટ ઓફીસ વિશે જણાવવાના છીએ.
તમને જાણીને નવાઈ લાગશે પણ પાણીમાં તરતી પોસ્ટ ઓફિસની જે વાત આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ તે આપણા દેશ ભારતમાં જ આવેલી છે. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આવેલ પ્રખ્યાત ડલ સરોવરમાં આ પોસ્ટ ઓફીસ તરે છે જેને એક વિશાળ બોટમાં બનાવવામાં આવી છે.
આશ્ચર્યની વાત એ છે કે આ માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વની એકમાત્ર એવી પોસ્ટ ઓફીસ છે જે સરોવરના પાણી મધ્યે સ્થિત છે.
પર્યટકો પોતાના સ્વજનોને લખે છે પત્રો
જમ્મુ કાશ્મીરમાં ફરવા આવનાર પર્યટકો માટે શ્રીનગર એક ખાસ મહત્વ ધરાવે છે. અહીંનું ખાસ આકર્ષણ છે ડલ સરોવર. આ વિશાળ ડલ સરોવર પહેલી નજરે જોવામાં આવે તો તમને એક તરતી બોટ નજરે પડશે પણ જો ધ્યાનથી જોશો તો ખબર પડશે કે લાલ અને પીળા પોસ્ટલ બોર્ડ મારેલી આ બોટમાં એક પોસ્ટ ઓફીસ પણ કાર્યરત છે.
અહીં આવનાર પર્યટકો યાદગીરી રૂપે આ પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટકાર્ડ અને પત્રો ખરીદી પોતાના સ્વજનોને લખી પોસ્ટ પણ કરે છે.
કલાકારી અને કુદરી સૌંદર્યનો અદભુત નમૂનો
ડલ સરોવરમાં આવેલી આ પોસ્ટ ઓફીસ પોસ્ટ વિભાગનું કામ તો કરે જ છે પણ સાથે સાથે તે અહીં આવતા પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરી જમ્મુ કાશ્મીર ટુરિઝમનો એક ભાગ પણ બની ચુકી છે.
ખાસ કરીને પોસ્ટ ઓફિસનું લોકેશન અને તેની બનાવટ કલાકારી અને કુદરતી સૌંદર્યનો અદભુત નમુનો છે. પોસ્ટ વિભાગે પણ પર્યટકોને આવા પ્રેમની કદર કરી અને ડલ સરોવરની સ્ટેમ્પ ટીકીટ પણ બહાર પાડી છે જે આ પોસ્ટ ઓફીસ પરથી ખરીદી શકાય છે.
2011 માં શરૂ કરવામાં આવી હતી પોસ્ટ ઓફીસ
આ ફ્લોટિંગ પોસ્ટ ઓફીસનું ઉદ્ઘાટન વર્ષ 2011 માં તત્કાલીન મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહ અને સંચાર અને IT રાજયમંત્રી સચીન પાયલોટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ એક સક્રિય પોસ્ટ ઓફીસ છે અહીં એક ખાસ પોસ્ટ સંગ્રહાલય પણ છે જેમાં અનેક દુર્લભ પોસ્ટ સ્ટેમ્પનો સંગ્રહ રાખવામાં આવ્યો છે.
તો હવે જ્યારે તમારે જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે જવાનું થાય ત્યારે આ ફ્લોટિંગ પોસ્ટ ઓફિસની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. અને હા, ત્યાંથી પોતાના સ્વજનોને પત્ર લખવાનું તો ખાસ યાદ રાખજો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ