તમાકુ, સિગરેટ, બીડી, કે દારૂના સેવન વગર પણ મોઢાનું કેન્સર થઈ શકે છે .
અરે! જે માણસે જિંદગીમાં કોઈ દિવસ તમાકુ, સિગરેટ, બીડી, કે દારૂ જેવી વસ્તુને હાથ પણ નથી લગાવ્યો એને મોઢાનું કેન્સર કેવી રીતે હોઈ શકે? આવો સવાલ થાય ને! પણ આ એક હકીકત છે કે તમાકુ ,સિગરેટ ,બીડી કે દારૂનું સેવન નહીં કરનાર માણસને પણ કેન્સરનું જોખમ રહેલું છે.
એ વાત હકીકત છે કે મોઢાનું કેન્સર થવાના મુખ્ય કારણોમાં તમાકુ બહુ જ મહત્વનું કારણ છે પણ એનો અર્થ એવો નથી જ કે નિર્વ્યસની માણસને કેન્સર ન થઈ શકે. કેન્સર એક મહાવ્યાધિ છે. જોકે હવે તો મેડિકલ સાયન્સ ઘણું જ આગળ વધ્યું છે. કેન્સર વિશે જાતજાતના સંશોધનો થયા છે અને કેન્સરની ઘણીજ સરળ અને સફળ સારવાર પણ ઉપલબ્ધ થઇ છે .એટલું જ નહીં સમયસર કેન્સરની જાણ થાય તો કેન્સર નાબુદ પણ કરી શકાય છે.
એવા ઘણા લોકો છે જેમણે કેન્સરની મહા બિમારીને પરાજિત કરી છે ,અને સામાન્ય જીવન જીવી રહ્યા છે .પણ કેન્સર સામે લડવું એક મહાસંગ્રામ છે અને એમાં વિજયી બનાશે જ એવી કોઈ ગેરંટી પણ નથી હોતી. માટે જ કેન્સરના કારણોનો અભ્યાસ કરી કેન્સરથી બચવાના ઉપાયો અપનાવવા જોઈએ. ભારતમાં મોઢાનું કેન્સર વ્યાપક બિમારી છે.
દર વર્ષે લાખો લોકો મોઢાના કેન્સરને કારણે જીવ ગુમાવે છે. સહેજ વિચાર એવો આવે કે તમાકુ આલ્કોહૉલ ધુમ્રપાન જેવી આદતોથી દૂર રહીએ તો પણ એવા કયા કારણો છે જે કેન્સરની મહાવ્યાધિ માટે જવાબદાર છે ?
માનવામાં આવે છે કે જે સૂર્યપ્રકાશ આપણા સ્વાસ્થ્ય માટે અતિ મહત્વનો છે એજ સૂર્યપ્રકાશ કેન્સરનું પણ એક કારણ બની શકે છે. તડકામાં રહેલા અલ્ટ્રાવાયોલેટ કિરણ ચામડીને માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે .વધુ પડતો તડકો ચામડીના કેન્સર નું કારણ બની શકે છે પણ કેટલાક કિસ્સાઓમાં જડબાના હાડકા અને હોઠના કેન્સર માટે આજ અલ્ટ્રાવાયોલેટ કિરણો જવાબદાર સાબિત થયા છે .અલ્ટ્રાવાયોલેટ કિરણોના રહેલું સેલ્યુલર મ્યુટેશન જડબાના કેન્સર માટે જવાબદાર ઘટક તત્વ છે.
ખાનપાનની કુટેવો પણ કેન્સર માટે જવાબદાર સાબિત થઈ છે .જંકફૂડ , ફાસ્ટ ફૂડ ઉપરાંત બજારમાં તૈયાર મળતી ખાણીપીણીની ચીજ વસ્તુઓ ન કેવળ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પરંતુ કેન્સર માટે પણ જવાબદાર છે. રોજ-બરોજના મસાલા જેવાકે હળદર, મરી પાવડર ,ધાણાજીરૂ ,લાલ મરચું ,તેલ ,લોટ ,ચોખા તથા અન્ય અનાજ મા પણ ભેળસેળના કિસ્સા અવાર-નવાર ધ્યાનમાં આવતા રહ્યા છે.
આમ જોવા જાવ તો ખેતીમાં કેમિકલયુક્ત ફટીલાઈઝર તથા પેસ્ટીસાઈડનો વધારે ઉપયોગ પણ હાનિકારક છે. ખોરાકમાં થતી ભેળસેળ ઉપરાંત એક જ તેલમાં વારંવાર કરવામાં આવતા ખાદ્ય પદાર્થ, વાસી આહાર અને અનિયમિત જીવનશૈલી પણ કેન્સરનું કારણ બની શકે છે.
સામાન્ય રીતે આહાર સંબંધી તેમને આપણે માત્ર વજન વધારાની સમસ્યા સાથે જોડીએ છીએ પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો અન્ય બીમારીઓ સાથે કેન્સરને પણ આમંત્રણ આપે છે.
કેન્સરને રોકવા માટે દાંતની સફાઈ પણ અત્યંત આવશ્યક છે.કોઇપણ કારણસર દાંતમાં થયેલા રોગ અને સડો પણ મોઢાના કેન્સર માટે જવાબદાર પરિબળ છે .દાંતને કારણે પણ જડબાના હાડકામાં કેન્સર થઈ શકે છે.
દાંતની યોગ્ય સફાઈ અત્યંત આવશ્યક છે મોટેભાગે દાંતના ડૉક્ટર બે વખત બ્રશ કરવાની સલાહ આપે છે. મીઠાના પાણીના કોગળા પણ દાંત અને મોઢા ને સાફ રાખી શકે છે. દાંતની કોઈપણ સમસ્યા ધ્યાનમાં આવે તો ડેન્ટિસ્ટની સલાહ અત્યંત આવશ્યક બને છે.
રોગ કોઈપણ હોય સાવચેતી અને યોગ્ય સમયની સારવાર મહા મુસીબતોમાંથી બચાવી શકે છે.
વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ હ્યુમન પેપીલોમા વાયરસ જે ૨૦૦ થી પણ વધારે વાયરસનો સમૂહ છે એ પણ કેન્સરનું કારણ બની શકે છે .જોકે એચ.પી.વી ના મોટાભાગના વાયરસ કેન્સર ના વાહક નથી હોતા પણ એમાં 12 વાયરસને વૈજ્ઞાનિકો અત્યંત જોખમી માને છે. જે કેન્સર માટે જવાબદાર હોઈ શકે. હ્યુમન પેપીલોમા વાયરસ અસુરક્ષિત સેક્સ સંબંધ ઉપરાંત શરદી તથા ઉધરસથી પણ ફેલાઈ શકે છે.
માત્ર ધુમ્રપાન કે તમાકુ નહીં પણ આલ્કોહોલનું સેવન પણ કેન્સરનું જવાબદાર પરિબળ છે .આલ્કોહોલનું સેવન નહીં કરનારા લોકોને સરખામણીએ આલ્કોહોલના વ્યસની લોકોમાં મોઢાનું કેન્સર થવાનું જોખમ છ ગણું વધારે હોય છે.
તમાકુ કે દારૂ કે ધૂમ્રપાનનું વ્યસન ધરાવનારા લોકોએ તેમની આ કુટેવને બને તેટલી જલ્દી છોડવી જોઈએ. તાત્કાલિક આ કુટેવ છોડવી શક્ય ન બને તો ધીમે ધીમે પણ તેમના સેવન પર નિયંત્રણ મૂકી કુટેવ માંથી બહાર આવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
માત્ર ભારતને જ નહીં પરંતુ મોઢાના કેન્સર ની સમસ્યાએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. સંશોધકોના મત મુજબ એકલા અમેરિકામાં જ 53000 અમેરિકન આ વર્ષે ઓરલ કેન્સરના ભોગ બન્યા છે .જેને કારણે 9750 મૃત્યુની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે અન્ય કોઈ કેન્સર ની સરખામણીએ ઓરલ કેન્સરથી થતાં મૃત્યુનો આંકડો વધારે છે. વૈશ્વિક ધોરણે કેન્સરના આશરે સાડા ચાર લાખ કેસ નોંધવામાં આવ્યા છે.
મોઢાના કેન્સરને માથા અને ગળાના કેન્સરનો ભાગ ગણવામાં આવે છે. આજે પણ એ વાત હકીકત છે કે કેન્સરના રોગમાં મોટાભાગના મૃત્યુ કેન્સરના રોગને કારણે નહી પરંતુ કેન્સરના રોગની મોડી ખબર પડવાને કારણે થાય છે.
મોટાભાગે મોઢાનું કેન્સર અન્ય ભાગમાં ફેલાઈ ગયા બાદ ધ્યાનમાં આવે છે .મોઢામાં શરૂ થયેલું કેન્સર સામાન્યરીતે લીમ્ફ નોડ તથા ગળા સુધી પહોંચી જાય ત્યારે ધ્યાનમાં આવે છે. એટલે જ મોઢાના કેન્સર ને વધુ જોખમી ગણવામા આવે છે. સામાન્ય રીતે મોઢાના કેન્સરમાં કોઈપણ જાતનો દુખાવો કે કોઈપણ એવા ખાસ ચિન્હો જણાતા નથી જેને કારણે કેન્સર હોવાની શંકા ઊભી થાય .મોઢાના થતાં જાતજાતના કેન્સરમાં 90 ટકા સેલ કારસિનોમા કેન્સર હોય છે.
અહીંયા પહેલા જ કીધું એમ કેન્સરથી ગભરાવા ને બદલે કેન્સર ની સામે નીડર થઈને લડી લેવાથી કેન્સરને મહાત કરી શકાય છે. એના માટે સૌથી પહેલો દર્દીનો હકારાત્મક અભિગમ હોવો જરૂરી છે.
ત્યારબાદ નિષ્ણાત ડોક્ટરની દેખરેખ હેઠળ કરવામાં આવતી કાળજીપૂર્વકની સારવાર કેન્સર મટાડી પણ શકે છે , શરત માત્ર એટલી છે કે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે અત્યંત સતર્ક રહેવું , સમય આંતરે ડોક્ટરની સૂચના મુજબ શારીરિક તપાસ કરાવતા રહેવું અને કેન્સર સર્જતા કારણોથી દુર રહેવું.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ