આ સ્વાદિષ્ટ ખોરાક તમારા મગજને બનાવે છે તેજીલુ, સજાગ અને એકાગ્ર
ઘણીવાર વિદ્યાર્થીઓના પરિણામમાં થોડી ઉંચ-નીચ થઈ જાય ત્યારે તેમના શિક્ષક કે પછી ઘરના વડીલો વિગેરે દ્વારા તેમને પલાળેલી બદામ ખાવાની સલાહ આપવામા આવે છે.
કારણ કે બદામથી મગજ તેજ થાય છે. પણ તમને જણાવી દઈએ કે મગજને તેજીલુ બનાવવા માટે માત્ર બદામ જ નહીં પણ બીજા પણ કેટલાક ખોરાક છે જે સ્વાદની સાથે સાથે સ્વસ્થ મગજ પણ આપે છે.
આયુર્વેદમાં મગજને પાવરધી બનાવતી ઘણી બધી ઔષધીઓ ઉપલબ્ધ છે. અને આપણે અહીં પરિક્ષાઓ આવવાની થાય એટલે માતાપિતા તે ઔષધીઓ બાળકોને પિવડાવતા હોય છે. પણ કદાચ બાળકને તેનો સ્વાદ ન ભાવતો હોય તો તેની જગ્યાએ તમે આ સ્વાદિષ્ટ ફૂડ તેમને ખવડાવીને તેમના મગજને પાવરધુ બનાવી શકો છો.
એવોકાડો ટોસ્ટ
આમ તો ભારતમાં એવોકાડોની ખેતી નથી થતી તેમ છતાં કેટલાક શાક માર્કેટ તેમજ સુપર મોલ્સમાં તમને એવોકાડો મળી જશે.
તમને જણાવી દઈએ કે મગજ માટે વિટામીન સી જરુરી છે કારણ કે વિટામીન સી ન્યુરોટ્રાન્સમિટરનું ઉત્પાદન કરે છે જેને નોરેપાઇનફ્રાઇન પણ કહે છે, જે તમારી એકાગ્રતા સુધારે છે અને તમારા ધ્યાન તેમજ પ્રતિક્રિયાને પણ નિયમિત બનાવે છે.
એવોકાડોમાં ભરપુર પ્રમાણમાં પોષકતત્ત્વો સમાયેલા છે. તેમાં વોટર સોલ્યુબલ વિટામીન સમાયેલા છે જે તમારી રોગપ્રતિકારક શક્તિ તો વધારે જ છે પણ સાથે સાથે તમારા મગજની કાર્યક્ષમતા પણ વધારે છે.
આ રીતે બનાવો એવોકાડો ટોસ્ટ
તેના માટે તમારે એક પાકેલું એવોકાડો જોઈશે. તેને તમારે અડધું કરી લેવું. હવે તેમાંથી બીજને દૂર કરી દેવું. હવે એક ચમચીની મદદથી એવોકાડોના ફળમાંથી તેમાં રહેલો માખણ જેવો ગર કાઢી લેવો. હવે તેને મેશ કરી દેવો અને તેના આ પલ્પને ટોસ્ટ પર લગાવી લેવું. બાળકોને આ ખુબ જ પસંદ આવશે.
ચીયા સીડ પુડિંગ
ચીયા સીડ્સમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોય છે. તેનું પુડિંગ બનાવવું પણ ખુબ જ સરળ છે. તેના માટે તમારે ચાર મોટા ચમચા ચીયા સિડ્સને એક ગ્લાસ દૂધમાં પલાળવા. તેમાં મીઠાશ લાવવા માટે મધ ઉમેરવી.
હવે તેને બરાબર મિક્સ કરી લેવું. હવે આ મિશ્રણને આખી રાત ફ્રિઝમાં રહેવા દેવું. બીજા દિવસે સવારે ઉઠીને તેને ફરીવાર મિક્સ કરી લેવું. હવે તેમાં તમારી ગમતી બેરી તેમજ એકાદું કેળુ ઉમેરીને તેને ઠંડું ઠંડું જ સર્વ કરવું.
યોગર્ટ – ફ્રૂટ સલાડ
આ ફ્રુટ સલાડમાં તમારે ક્રીમથી ભરપુર દહીં, સફરજન, અખરોટ, મીઠી કીશમીશ અને થોડા અજમા ઉમેરવા.
અખરોટમાં પોલીઅનસેચ્યુરેટેડ ફેટ્સનું પ્રમાણ વધારે હોય છે એટલે કે તેમાંથી પુષ્કળ પ્રમાણમાં ઓમેગા 3 મળી રહે છે, આ ઉપરાંત તેમાં આલ્ફા લીનોલેનિક એસિડ સમાયેલો હોય છે જે તેને મગજ અને હૃદય માટે ઉત્તમ બનાવે છે.
અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે અખરોટ ખાવાથી એકાગ્રતા અને શરીરની ઉર્જા વધે છે.
આ રીતે બનાવો યોગર્ટ-ફ્રૂટ સલાડ
તેના માટે તમારે એક કપ અખરોટને બરાબર શેકી લેવા. હવે તેમાંથી ફોતરા દૂર થાય તો તે પણ દૂર કરી લેવા. તેને એક બાજુ મુકી દેવું. હવે એક વાટકામાં છ મોટી ચમચી પાણી વગરનું દહીં લેવું. તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરવો.
હવે તેનો સ્વાદ વધારવા માટે તેમાં મીઠુ અને મરી નાખવા. હવે તેને બરાબર મિક્સ કરી લેવું. હવે તેમાં સમારેલા સફજન, કીશમીશ, અને કોથમીર નાખવી અને છેલ્લે તેમાં શેકેલા અખરોટ ઉમેરી દેવા. બસ હવે આ હેલ્ધી સલાડ ખાઈ લેવું.
રાસ્પ્બેરી-બનાના સ્મુધી
રાસ્પ્બેરી અને કેળામાં પુષ્કળ પ્રમાણમાં મેગ્નેશિયમ હોય છે, જે તમારી એકાગ્રતાને સુધારે છે. જે મગજની તાણને દૂર કરે છે અને તેમને રિલેક્સ તેમજ ઠંડા રાખે છે.
તેના માટે તમારે એક વાટકી રાસ્પબેરી, એક કેળુ, થોડું મધ અને દહીંની જરૂર પડશે. આ બધી જ સામગ્રીને મિક્સ કરીને તેને અન્ય બેરીઝ વડે ગાર્નિશ કરી લેવું. આ સ્મુધી આરોગવાથી પણ તમારું મગજ સ્વસ્થ બનશે.
કોળાના બીજ
કોળુ જેને આપણે પમકીન પણ કહીએ છે તેના બીજમાં મગજને મદદરૂપ એવા મિનરલ્સ જેવા કે, કોપર, ઝિંક, મેગ્નેશિયમ અને આયર્ન સમાયેલા હોય છે.
આ ખનિજ તત્ત્વો નર્વ સિગ્નલિંગ માટે ખુબ જ મહત્ત્વના છે તેનાથી ન્યુરોલોજિકલ ડીસોર્ડર્સ જેમ કે અલ્ઝાઈમર્સ, પાર્કિન્સન્સ, એપિલેપ્સી તેમજે ડીપ્રેશનનું જોખમ અસરકારક રીતે ઓછું થાય છે. કોળાના બીજ શરીરને જે મુક્ત કણોથી નુકસાન થાય છે તેનાથી પણ રક્ષણ આપે છે.
તેના માટે તમારે એક વાટકી કોળાના બીજ લેવા તેને શેકી લેવા હવે સાંજની બાજુ જ્યારે તમને ભૂખ લાગે ત્યારે તમે આ શેકેલા બીજને ખાઈ શકો છો. આ નાશ્તો તમે અઠવાડિયામાં ત્રણ-ચાર વાર કરી શકો છો.
સ્વીસ ચીઝ
આજે ભારતના મોટા શહેરોમાં તમને ઘણા બધા પ્રકારના ચિઝ મળી રહેશે. કોઈ સ્પેશિયલ ચિઝની દુકાન પર તમને સ્વિસ ચીઝ પણ મળી રહેશે. તમને જણાવી દઈએ કે 30 ગ્રામ સ્વિસ ચીઝમાં તમારી રોજિંદી વિટામીન ડીની જરૂરિયાતના બે ટકા પુરી કરે છે.
તમે ચેડાર ચીઝ, ગૌડા, બ્લુ ચીઝ, અખરોટ, દ્રાક્ષ, વિવિધ જાતની બેરીઝ મિક્સ કરીને એક ચિઝ પ્લેટર તૈયાર કરી શકો છો તે તમને ખુબ જ સ્વાદિષ્ટ પણ લાગશે અને તમારા મગજ માટે જરૂરી ખોરાક પણ પુરો પાડશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ