કોરોના મહામારી ના કારણે વાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે મોટા ભાગની વિમાન સેવા બંધ કરવામાં આવી હતી. શરૂઆતમાં ભારત સરકારે વિદેશથી આવતી ફ્લાઈટને બંધ કરી હતી ત્યાર બાદ દેશમાં ડોમેસ્ટિક સેવા પણ બંધ કરી હતી. જો કે હવે ધીમે ધીમે આ સેવા ચાલુ થઈ રહી છે. લાંબા સમયથી બંધ રહેવાની કારણે વિમાની કંપનીઓને મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન (આઈએટીએ)નું અનુમાન છે કે કોરોનાને કારણે દુનિયાભરની એવિએશન ઈન્ડસ્ટ્રીને અત્યારસુધીમાં 31 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. તો હવે આ સેવા શરૂ તો થઈ છે પરંતુ હજુ પણ પુરતા પેસેન્જરો મળી રહ્યા નથી. ઉપરાંત કોરોના ગાઈડલાઈન પ્રમાણે જ બુકિંગ કરવામાં આવે છે.
કોવિડ પાસપોર્ટ લાવવાની તૈયારી
નોંધનિય છે કે ભારત સહિત અનેક દેશોમાં ડોમેસ્ટિક ફ્લાઈટ તો શરૂ થઈ ગઈ છે પરંતુ ઈન્ટરનેશનલ ફ્લાઈટ હજુ પણ સંપૂર્ણપણે શરૂ થઈ શકી નથી. એ જ કારણ છે કે કોરોનાની અસરથી ઈન્ડસ્ટ્રીને ઉગારવા માટે આઈએટીએ એક નવો પ્લાન લઈને આવી છે અને એ છે કોવિડ પાસપોર્ટ. હકિકતમાં આઈએટીએ એક મોબાઈલ એપ પર કામ કરી રહી છે, જે દુનિયાભરમાં ટ્રાવેલ પાસ તરીકે સમજવામાં આવશે. આ એપને કોરોનાના કારણે લાવવાનો પ્લાન છે, તેથી તેને કોવિડ પાસપોર્ટ કહેવામાં આવે છે.
યુઝરનો ડેટા સ્ટોર નહીં થાય
આ એપની સુવિધા વિશે વાત કરવામાં આવે તો આઈએટીએની આ એપમાં યાત્રીના કોરોના ટેસ્ટ, તેને વેક્સીન લાગી છે કે નહીં (વેક્સીન આવ્યા પછી) જેવી જાણકારી હશે. આ સાથે જ આ એપમાં મુસાફરના પાસપોર્ટની ઈ-કોપી પણ હશે. આ એપ પર યાત્રીનો ક્યૂઆર કોડ હશે, જેને સ્કેન કરતા જ તેની તમામ ડિટેઈલ સામે આવી જશે. આ એપ આઈએટીએના હાલના ટાઈમેટિક સિસ્ટમ પર આધારિત હશે, જેનો ઉપયોગ ડોક્યુમેન્ટને વેરિફાઈ કરવા માટે થાય છે. તેની સાથે જ આ એપ બ્લોક-ચેન ટેકનોલોજી પર કામ કરશે અને તેમાં યુઝરનો ડેટા સ્ટોર નહીં હોય. જેથી લોકોને તેમના પર્સનલ ડેટા ચોરીનો પણ ભય નહિ રહે.
ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થતા કેસો વધ્યા
હવે તમને એ સવાલ જરૂરથી થશે કે આ એપની જરૂર કેમ પડી. લોકો પાસે પાસપોર્ટ તો હોય છે. આની જરૂર એટલા માટે પડી રહી છે, કેમકે ઈન્ટરનેશનલ ફ્લાઈટથી આવનારા પેસેન્જર્સ કોરોના પોઝિટિવ મળી રહ્યા છે. ચીનની વેબસાઈટ સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અનુસાર, છેલ્લા દિવસોમાં શાંઘાઈમાં અનેક કોરોના પોઝિટિવ કેસ આવ્યા. તેમાંથી અનેક એવા હતા કે જેઓ મુસાફરી કરીને પરત આવ્યા હતા. તો બીજી તરફ 9 નવેમ્બરથી ભારત અને ઓમાન વચ્ચે એર બબલ એગ્રીમેન્ટ અંતર્ગત ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થઈ. આ દરમિયાન પણ અનેક મુસાફરો પોઝિટિવ નીકળ્યા. જેને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે.
મહારાષ્ટ્ર સરકારે RT PCR ટેસ્ટ કર્યો ફરજીયાત
મોટી સંખ્યમાં મુસાફરો કોરોના પોઝિટિવ આવતા સીટોની સંખ્યા 10 હજારથી ઘટાડીને 5 હજાર કરી દેવાઈ છે. જ્યારે હોંગકોંગે પણ કોરોના પોઝિટિવ મળ્યા પછી 3 ડિસેમ્બર સુધી એર ઈન્ડિયાની ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં આવનારા દરેક વ્યક્તિ માટે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનું ફરજિયાત કરી દીધું છે. પછી ભલે એ બસથી આવે કે ટ્રેનથી કે ફ્લાઈટથી. નોંધનિય છે કે મહારાષ્ટ્રમાં સ્થિતિ વધારે ખરાબ છે. બહારથી આવતા લોકો સંક્રમિત હોય તો વધુ સંક્રમણ ફેલાવાનો ભય રહે છે.
અંદાજે 6.23 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
તો બીજી તરફ ઈન્ટરનેશનલ ફ્લાઈટથી કોરોના પોઝિટિવ આવ્યા પછી આઈએટીએને એક એવી એપની જરૂરિયાત લાગી કે જે મુસાફરનો કોરોના ટેસ્ટથી લઈને તેની દરેક ડિટેઈલ બતાવી શકે. જેથી ફરી ઈન્ટરનેશનલ ફ્લાઈટને યોગ્ય રીતે શરૂ કરી શકાય અને વારંવાર તેને રોકવાની આવશ્યકતા ન રહે. નોંધનિય છે કે કોરોનાના કારણે દુનિયાની ઈકોનોમીને આંચકો લાગ્યો છે. એવિએશન ઈન્ડસ્ટ્રીને પણ નુકસાન સહન કરવું પડ્યું છે. આઈએટીએના અનુસાર, કોરોનાના કારણે આ વર્ષે એરલાઈન કંપનીઓને 84.3 અબજ ડોલર એટલે કે લગભગ 6.23 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જ્યારે, તેમની રેવન્યુમાં પણ 419 અબજ ડોલર (31 લાખ કરોડ રૂપિયા)નું નુકસાન થવાની આશંકા છે.
ફ્લાઈટમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ
નોંધનિય છે કે કોરોના મહામારીના કારણે મુસાફરોની સંખ્યા પણ ઓછી થઈ છે. એવિએશનના ઈતિહાસમાં પ્રથમવાર એવું બન્યું કે જ્યારે પાયલટોની પણ નોકરીઓ ગઈ. આ બધામાંથી બહાર આવવા માટે આવી કોશિશો કરવામાં આવી રહી છે. અમેરિકા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (સીડીસી)ના કહેવા પ્રમાણે ફ્લાઈટમાં મુસાફરો વિવિધ સપાટીને સ્પર્શે છે. ઓછી જગ્યા હોવાથી અહીં સોશિયલ ડિસ્ટન્સ પણ રાખવું શક્ય નથી. કેટલીક ફ્લાઈટમાં ઈન-બિલ્ટ એર ફિલ્ટ્રેશન અને વેન્ટિલેશન સિસ્ટમ હોય છે, જે કોઈપણ રીતના વાયરસને ફેલાવા દેતી નથી અને ફ્લાઈટની અંદરની હવાને સાફ કરે છે. પરંતુ આવી સિસ્ટમ દરેક ફ્લાઈટમાં હોતી નથી.
2021 સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે એપ
જેથી કોરોના સંક્રમણને રોકવા અને સાવચેતીના ભાગરૂપે કોવિડ પાસપોર્ટ લાવવાની જરૂર ઉભી થઈ છે. આ વર્ષે આ એપનું પાયલટ ટેસ્ટિંગ શરૂ થશે. જ્યારે, માર્ચ 2021 સુધી તેને એપલ ડિવાઈસ માટે લોન્ચ કરવાની વાત કરવામાં આવી રહી છે. જ્યારે એન્ડ્રોઈડ ડિવાઈસ માટે તેને એપ્રિલ 2021 સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ એપ આવ્યા બાદ યાત્રીની સુરક્ષ વધશે અને તંત્રને પણ સરળતા રહેશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ