બદથી બદ્તર થતી એર ક્વોલીટીમાં તમારા સ્વાસ્થ્યને જાળવવા કરો આ ઉપાયો
ભારતની રાજધાની એવી દિલ્લીમાં આજે પ્રદૂષણે ભૂતકાળના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. પ્રદૂષણ એટલી હદે વધી ગયું છે કે શાળાઓ પણ બંધ રાખવામા આવી છે. જેને ડામવા માટે દિલ્લી સરકારે ફરી ઓડ ઇવન નંબરની ગાડીઓનો કાયદો પણ લાગુ પાડ્યો છે. જેનાથી પ્રદુષણમાં કોઈ જ નોંધનિય ઘટાડો નથી થઈ રહ્યો.
દિલ્લીમાં આ સમસ્યા ખાસ કરીને દીવાળી બાદ વધારે વકરે છે. ખાસ કરીને જ્યારે પંજાબ અને હરિયાણામાં પાક થઈ ગયા બાદના વધારાના ઘાસને બાળવામાં આવે છે ત્યારે આ સમસ્યા આકરુ રૂપ ધારણ કરે છે. આ ઘાસ હજારો ટનોના પ્રમાણમાં હોય છે. અને દિલ્લીની પ્રદૂષિત હવા પાછળ તે મુખ્ય રીતે જવાબદાર છે.
આજે દિલ્લી અને તેની સાથે જોડાયેલા પ્રદેશોનીં હવાની ગુણવત્તાની ઇન્ડેક્સ 500 સુધી પહોંચી ગઈ છે, જે એક જોખમી સ્તર છે. અને આ વર્ષે પહેલીવાર દિલ્લી સરકાર દ્વારા પ્રદૂષણના કારણે પબ્લિક હેલ્થ ઇમર્જન્સી જાહેર કરવાની નોબત આવી છે.
બહાર નીકળતાં જ લોકોની આંખો બળવા લાગે છે લોકો ને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જેની સીધી જ અસર ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા બાળકો અને વૃદ્ધો પર સૌથી વધારે પડે છે.
અને જો તમને શ્વાસને લગતી બિમારીઓ હોય જેમ કે અસ્થમા, હૃદયની બીમારી તો તમારા માટે દિલ્લીમાં પગ મુકવો એટલે નર્કમાં પગ મુકવા સમાન છે.
બીજી બાજુ આ પ્રદૂષણ ભલે થોડા સમય પુરતું હોય પણ તે શરીરને લાંબાગાળાનું નુકસાન પહોંચાડી જાય છે, જેમ કે હૃદયની બીમારી, તેમજ ચામડીને લગતા રોગો, ફેફસામાં ઇન્ફેક્શન, વાળ ઉતરવા, ઉપરાંત જે લોકોને બ્લડ પ્રેશરની અનિયમિતતા રહેતી હોય તો તેમને પણ બ્રેન સ્ટ્રોકની સમસ્યા પણ ઉભી થઈ શકે છે.
દિલ્લી ઉપરાંત બીજી બાજુ જોવા જઈએ તો દેશના અન્ય શહેરોની હાલત ભલે દિલ્લી કરતા સારી હોય પણ માનવ સ્વાસ્થ્ય માટે તો નુકસાન કારક જ છે. અમદાવાદની જ વાત કરીએ તો હાલ અમદાવાદની એર ક્વોલીટી 310ની છે.
જો તમને આ આંકડો સાંભળી રાહત થતી હોય તો તમને જણાવી દઈએ કે મુંબઈ પુનાની એર ક્વોલીટી 90ની નીચેની છે. કેટલાક અહેવાલો તો એવું પણ જણાવે છે કે અમદાવાદની એર ક્વોલોટી કેટલીક જગ્યાએ તો દિલ્લી કરતાં પણ ખરાબ છે. પણ હવે આપણે આપણી જાતને પ્રદૂષણથી રક્ષણ આપવાનો વિચારકરવાનો છે.
તો તેના માટે શું કરવું ?
શરીર માટે શુદ્ધ ઓક્સિજન એ અનિવાર્ય જરૂરિયાત છે, જો તમને ખોરાક નહીં મળે તો તમે એક અઠવાડિયું પંદર દિવસ પણ કાઢી નાખશો. પાણી નહીં મળે તો તમે ચાર દિવસ સુધી પણ જીવી જશો પણ જો તમને ઓક્સિજન જ મળે તો તમારા માટે એક મિનિટ પણ કાઢવી અઘરી થઈ પડે છે. અને આ જ ઓક્સિજન જો શુદ્ધ ન હોય તો તે તમારા શરીરને ચોક્કસ નુકસાન પહોંચાડે છે.
બીજી બાજુ કંઈ તમે પ્રદૂષણથી બચવા માટે બહાર જવાનું ટાળી પણ ન શકો કારણ કે, બાળકો ક્યાં સુધી શાળાએ નહીં જાય, તમે ક્યાં સુધી નોકરીએ કે ધંધાઅર્થે નહીં જાઓ. ઘરમાં બેસી રેહવુ તે કોઈ ઉપાય નથી. પણ અમે તમારા માટે આજે પ્રદૂષણથી બચવા માટેના કેટલાક ઉપાયો લઈને આવ્યા છે.
અત્યંત ખરાબ પ્રદૂષણમાં પાણીનું નિયમિત કરતાં વધારે સેવન કરવું
તમે જ્યારે શ્વાસ લોછો ત્યારે હવામાંના પ્રદૂષકો તમારા નાક વાટે તમારા શરીરમાં પ્રવેશે છે. તેને નીકાળવા માટે તમારે પુષ્કળ પાણી પીવું જોઈએ. કારણ કે પુષ્કળ પાણી પીવાથી તમને વારંવાર પેશાબ જવું પડશે અને તે દ્વારા તમે તમારા શરીરના પ્રદૂષકોને શરીરમાંથી બહાર ફેંકતા રહેશો. આવા અસામાન્ય સંજોગોમાં તમારે રોજનું છ લીટર પાણી તો પીવું જ જોઈએ.
જો તમે બહાર જવાના હોવ તો પાણીની બોટલ તમારી સાથે જ રાખવી અને ઘરની બહાર નીકળો ત્યારે પણ પાણી પીને જ નીકળવું. તેનાથી તમારા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાયેલું રહેશે.
પ્રદૂષણના કારણે થતાં શારીરિક નુકસાનથી બચવા રોગપ્રિકારક તંત્રને મજબુત બનાવો
જો તમારું રોગપ્રતિકારક તંત્ર મજબુત હશે તો તમે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી શકશો. તેને મજબુત બનાવવા માટે તમારે ઉકાળો પીવો જોઈએ. આ ઉકાળો આદુ અને તુલસીમાંથી બનાવવામાં આવે છે. આ સિવાય તમે ઇમ્યુનિટિ વધારતા ખોરાક જેમ કે લસણ, આદુ, મધ વિગેરેનો પણ તમારા ડાયેટમાં બને તેટલો વધારે ઉપયોગ કરવો જોઈએ.
આ ઉપરાંત તમારે તમારા ખોરાકમાં ઓમેગા 3, અખરોટ, હળદર, વિટામિન સી અને ગોળ જેવી વસ્તુઓનો પણ સમાવેશ કરવો જોઈએ. જો તમને પ્રદૂષણના કારણે ઉધરસની ફરિયાદ રહેતી હોય તો તમે આદુનો રસ અને મધને ચાંટીને આ તકલીફ દૂર કરી શકો છો.
પ્રદૂષણ છે ત્યાં સુધી તીવ્ર શારીરિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું
જો તમારા વિસ્તારમાં ખુબ પ્રદૂષણ હોય તો તમારે આ સમય દરમિયાન શરીરને વધારે પડતો શ્રમ મળે તેમજ શરીરને વધારે પડતાં ઓક્સિજનની જરૂર પડે તેવી શારીરિક પ્રવૃત્તિઓ થોડા દિવસ માંડીવાળવી જોઈ, જેમ કે ક્રીકેટ, ફુટબોલ, સાઇકલીંગ વિગેરે. અને જો તમારા શહેરનું પ્રદૂષણ 200ને પાર કરી ગયું હોય તો તમારે બહાર ગાર્ડનમાં ચાલવા જવાનું પણ ટાળવુ જોઈએ.
અને જો 300 ઉપર જતું રહે તો તમારે લાંબા અંતરે પણ ન જવું જોઈએ. અને જ્યારે દિલ્લીની જેમ પ્રદૂષણ હદ વટાવી જાય ત્યારે તમારે જરૂર વગર ઘરની બહાર પણ ન નીકળવું જોઈએ.
જરૂર વગર ઘરની બહાર જવાનું ટાળો
દિલ્લીમાં પબ્લીક હેલ્થ ઇમર્જન્સી જાહેર કરી દેવામાં આવી છે અને તેવા સંજોગોમાં તમારે પ્રદૂષણથી બને તેટલા દૂર રહેવું જોઈએ અને માટે જ જો જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવું જોઈએ.
જો તમે એક જવાબદાર નાગરિક બનવા માગતા હોવ તો તમે જ્યારે ક્યારેય બહાર જાઓ ત્યારે તમારે માત્ર એક બે જણ માટે ગાડીનો ઉપોયગ નહીં કરીને જાહેર વાહનવ્યવહારનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને એક ગાડીનો ધૂમાડો હવામાં ફેલાતો અટકશે.
ઘર બહાર નીકળતાં પહેલાં શરીર ઢાંકતા વસ્ત્રો પહેરવાનો આગ્રહ રાખો
હવામાં ફેલાયેલું પ્રદૂષણ માત્ર તમારા નાકવાટે જ નહીં પણ તમારા શરીરના ઓપન પોર્સ દ્વારા પણ અંદર પ્રવેશી શકે છે. માટે હવાની ગુણવત્તા જ્યારે સામાન્ય કરતાં ખરાબ હોય ત્યારે તમારે પુરી બાંઈનું ટોપ અને પેન્ટ અથવા સલવાર સાથેના વસ્ત્રો પહેરવા જોઈએ.
આ સિવાય તમારે તમારા મોઢાને પણ બરાબર ઢાંકેલુ રાખવું જોઈએ. અને મોઢું તેમજ નાંક ઢંકાય તેવા માસ્ક વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ.
ઘરની હવાને શુદ્ધ રાખો
ઘરની બહારનું વાતાવરણ તમારા અંકુશમાં નથીપણ તમે તમારા ઘરની અંદરની હવાની ગુણવત્તાને તો સુધારી જ શકો છો. તેના માટે તમે ઘરના બારી-બારણા બંધ રાખી શકો છો તેમજ ઘરમાં એર પ્યુરીફાયર પણ લગાવી શકો છો અને એવા કેટલાક છોડવા પણ ઘરમાં રોપી શકો છો જે તમારા ઘરની હવાને શુદ્ધ બનાવે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ