જો તમે દક્ષિણ ભારત તરફ પ્રવાસ કર્યો હશે તો તમે જાણ્યું જ હશે કે એ વિસ્તારમાં કેળાના પાનનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. અહીં ભોજન કરતી વખતે રસોઈ પીરસવા માટે અને ઘરના સુશોભનમાં કેળાના પાનનું આગવું મહત્વ છે. અહીં રસપ્રદ વાત જ એ છે કે જમવામાં થાળીની જગ્યાએ કેળાના પાનનો ઉપયોગ થાય છે.
કેળના પાનમાં એક ખાસ પ્રકારનું કુદરતી વેક્સ લેયર હોય છે. જ્યારે ગરમ ગરમ ભોજન એમાંય સાઉથ ઇન્ડિયન આગવી વાનગી રસમ ભાત એમાં પીરસાય ત્યારે કુદરતી તૈલીય પદાર્થ તેમાં ઓગળીને આગવો સ્વાઉ ઉત્પન્ન કરે છે.
કુદરતી વૈકલ્પિક રોજગાર સંસાધનઃ આપણી પૃથ્વી પરના પર્યાવરણને થતા પ્રદૂષિત નુકસાનની સાથે આપાણાં માનવદેહના આરોગ્ય માટે પણ હવે કેટલાક સમયથી હાનિકારક પ્લાસ્ટીકના ચલણને અટકાવવા માટે સરકાર તથા ખાનગી સંગઠનો દ્વારા હવે પ્રતિબંધ લગાવવાની ઝૂંબેશ ચાલે છે જેમાં પ્લાસ્ટિક ડિસ્પોઝેબલ ક્રોકરી વાપરવાથી દંડ કરવા સહિતની કાર્યવાહીના કડક પગલાં ભરાય છે. પ્લાસ્ટીકની વસ્તુઓની અવેજીમાં ચા – નાસ્તા માટે કાગળના કપ અને ડીશો વાપરવાની બોલબાલા વધી છે. હકીકતે પ્લાસ્ટીકની સરખામણીએ કાગળના ભાવ વધુ હોવાથી નાના પાયાના ધંધાર્થીઓ માટે તેનો ઉપયોગ કરવાથી નફામાંથી તેનો હિસ્સો વધુ પ્રમાણમાં નીકળી જાય છે. આ સિવાય કાગળ પણ પ્રમાણમાં સ્વાસ્થ્યને નુકસાનકારક તો છે જ. જેથી કાગળના બદલે પર્યાવરણ અને માનવ આરોગ્યને નુકસાન ન કરે તેવા કિફાયતી નાણાંકીય રીતે પોસાય તેવા વિકલ્પની શોધ તરફ ટેલેન્ટેડ લોકોએ નજર દોડાવી છે. જેને લઈને અનેક સ્થાને કેળાંના પાનમાંથી બનાવેલ સુંદર, સસ્તા અને વાપરીને ફેંકી દઈ શકાય તેવા વાટકા અને થાળીઓની બનાવટ કરવાના ગૃહઉદ્યોગો બનવા પામ્યા છે.
ભોજનમાં વપરાતાં કેળાંના પાનનું મહત્વ પારંપરિક ભારતીય સંસ્કૃતિથી પ્રેરાઈને હવે નવી ફેશનની ડિસ્પોઝિબલ ક્રોકરી સુધી વધે તેવું ઇચ્છનીય છે.