જલ્સા કરોને જેંતીલાલ

દુનિયાનુ એક માત્ર એવુ મંદિર જયાં સૂર્યોદય થતા જ મંદિરના શિખર પર મોર આવે પછી થાય છે આરતી……

સુરેન્દ્રનગર જીલ્લામાં મુળી તાલુકામાં ગામની વચ્ચોવચ્ચ એક મંદિર આવેલ છે. દેખાવ તો સામાન્ય મંદિર જેવો જ. એટલે કશું અજીબોગરીબ એમાં પ્રથમ નજરે જોનારને તો ન જ જણાય. મંદિર છે મુખ્યત્વે પરમાર ક્ષત્રિય સમાજના ઇષ્ટદેવતા – માંડવરાયજીનું કે જે સુર્યદેવનો અવતાર મનાય છે.પરમારોના એ કુળદેવતા છે.પણ એના પરચા દેખી બધી જ કોમના લોકો આ દાદાને પૂજે છે.

દેવાયા સાવજના દાન :

મૂળીના રાજા લગધીરસિંહજી પરમારની ગાદી ઉપર સાતમી પેઢીએ ચાંચોજી (શેંશાજી પરમાર) થઈ ગયા. એક વખત હળવદના રાજરાણા કેસરજી, ધ્રોળના રાજા અને મૂળીના ચાંચોજી એકસાથે દ્વારકાધીશ કાળીયા ઠાકરને પોતાનું શીશ ઝુકાવી ત્રણેય દરબાર પ્રતિજ્ઞા લીધી હતી કે, અમારા આંગણે આવનાર ખાલી હાથે પાછો ફરશે નહીં, ત્રણેય દરબાર જાત્રા પૂર્ણ કરી પાછા ફર્યા, દ્વારકાધીશના આંગણે લીધેલી પ્રતિજ્ઞા હળવદ અને ધ્રોલ દરબાર નિભાવી શક્યા નહીં. પરંતુ મૂળી દરબાર ચાંચોજીએ લીધેલી પ્રતિજ્ઞા ઉપર કાયમ હતા.

હળવદ અને ધ્રોલ દરબારને ચાંચોજીની ઈર્ષ્યા જાગી બંને દરબાર ચાંચોજીની પ્રતિજ્ઞા તોડવાની યુક્તિ વિચારવા લાગ્યા, હળવદ દરબારને પોતાના દસોંદી ચારણનો વિચાર આવ્યો કે દસોંદી ચારણ મૂળી દરબારની પ્રતિજ્ઞા તોડાવી શકે છે, હળવદ દરબારે દસોંદી ચારણને ઉશ્કેર્યા અને વચન આપ્યું કે, પરમારનું નીમ છોડાવ તો હું તને માગ્યું ઈનામ આપીશ.

ચારણ કહે: ભા એતો, પરમારનો વંશ હું માથું માગીશ તો માથુંયે વધેરી દેશે બાપ,

દરબાર કહે : એવું કંઈક માગ કે પરમાર તને આપી શકે નહી, અને ના પાડવી પડે. ચારણ હા ના, હા ના કરતા હળવદ દરબારની વાત માની પરમારની ટેક તોડાવા ચારણ મૂળી આવ્યો. ભરકચેરીમાં દેવીપુત્ર અને અગ્નિપુત્ર ભેટીને મળ્યા.

ચાંચોજી કહે: “કવિરાજ, આશા કરો.”

“બાપ ! તમથી નહિ બને.” “શા માટે નહિ ? માંડવરાય જેવા મારે માથે ધણી છે. આ રાજપાટ ઉપર મારી નહિ એની ધજા ફરકે છે, કોઈ દિવસ આ રાજપાટના ગુમાન કર્યા નથી, મારો ધણી માંડવરો અને મારી લાજ તો એની લાજ,, ” કવિરાજ બોલો માંડવરાય લાજ રાખશે.”

“અન્નદાતા, મારે તમારી રિદ્ધિ સિદ્ધિની એક પાઈયે નથી જોઈતી, અને તમારા લાખપશાવ પણ ન ખપે, પરમાર તમારા માથાનો પણ હું ભૂખ્યો નથી મારે તો,,,,” “તમ તારે.. જે માગવું હોય તે માગો કવિરાજ ” ચારણે ગોઠણભર થઈને દુહો કહ્યો કે :-

” અશ આપે કે અધપતિ, દે ગજ કે દાતાર, સાવઝ દે મું સાવભલ, રે પારકરા પરમાર !! ”

અર્થાત: કોઈ રાજા ઘોડાનાં દાન કરે, તો કોઈ હાથી આપે, પણ હે સહુથી ભલા રાજા, તું મને જીવતો સાવજ આપ.

“સાવજ” આખી સભાનો અવાજ ફાટી ગયો.

હા, હા, જીવતો સાવજ ” ચારણે લલકાર કર્યો :

” જમીં દાન કે દે જબર, લીલવળું લીલાર, સાવઝ દે મુ સાવભલ, પારકરા પરમાર ! “

અર્થાત: કોઈ જબરા રાજાએ જમીનનાં દાન આપે, કોઈ પોતાના માથાં ઉતારી આપે, પણ,, હે પરમાર, તારી પાસે હું સાવજ માગું છું.

હાહાકાર કરીને આખી કચેરી તાડૂકી ઊઠી :- “ગઢવા, આવું માગીને પરમારની આબરૂ પાડવામાં બડાઈ માને છે કે ?”

પણ, ચારણે તો બિરદાવળ ચાલુ જ રાખી :

” ક્રોડપસાં દે કાવ્યદને, લાખપસાં લખવાર, સાવઝ દે મું સાવભલ, પારકરા પરમાર ! ”

અર્થાત: તું બીજા કવિઓને ભલે ક્રોડપસાવ અને લખપસાવ દાન દેજે, પણ મને તે,,, હે પારકરા પરમાર, સાવજ જ ખપે.

“ ગોઝારો ગઢવો ”

સભામાં સ્વર ઊઠયો, ગઢવીએ ચેાથો દુહો ગાયો,

” દોઢા રંગ તુંને દઉં, સોઢા બુદ્ધિ સાર, મોઢે ઉજળે દે મને, પારકરા પરમાર ! “

અર્થાત: હે સારી બુદ્ધિવાળા સોઢા પરમાર, હસતું મોં રાખીને મને સાવજ દેજે, એટલે હું રાજાઓની કચેરીમાં તારાં દોઢાં વખાણ કરતો કરતો જ કસુંબો લઈશ. ચાંચોજીના મુખની પરની એક પણ રેખા બદલી નહિ. મોં મલકાવીને એણે કહ્યું :- “ કવિરાજ, આવતી કાલે પ્રભાતે તમને સાવજનાં દાન દેશું.” મધરાતે માંડવરાયના થાનકમાં જઈને ચાંચોજીએ અરજ ગુજારી : “એ સૂરજદેવ ! જીવતો સાવજ શી રીતે દઉં ? તારી ધજા લાજે નહિ એવું કરજે, દેવ !”

દેવળના ઘુમ્મટમાંથી ધણધણાટી દેતો અવાજ આવ્યો : “હે ક્ષત્રી ! એમાં મારી પાસે શું આવ્યો ? મારા ડુંગરમાં આટલા આટલા સાવજ ડણક દઈ રહ્યા છે; તું ક્ષત્રીય છે. તે એમાંથી એકાદને ઝાલી લે !” બીજો દિવસ થયો. પ્રભાતે આખી કચેરીને લઈને ચાંચોજી ચોટીલાના ડુંગરમાં ગયા. ચારણને કહ્યું : “ ચાલો, કવિરાજ, સાવજ આપું.”

પરમારના ચારણોએ બિરદાવળી ઉપાડી :

પાંચાળી ચીર પૂરિયાં, વીઠલ, તેં વણપાર, શરમ રાખ્યા ચાંચાતણી, જગદીશણ ગજતાર !

ત્યાં તો ત્રાડ દેતો એક સિંહ નીકળ્યો, દોટ કાઢીને ચાંચોજીએ એના કાન ઝાલ્યા. બકરી જેવો બનીને સિંહ ઊભો રહ્યો. પરમારે બૂમ પાડી : “લ્યો કવિરાજ, આ સાવજનાં દાન.” ચારણ પાછે પગે ભાગવા લાગ્યો ત્યારે ચાંચોજીએ સાદ કર્યો : “ગઢવા ! નવ લાખ લોબડિયાળીઓ લાજે છે. અરે ! તું કેાઈકનો શીખવ્યો મારી લાજ લેવા આવ્યો, ને હવે ભાગ્યો ?”

સાવજ ભાળી સામહો, ભડક્યા, કેમહી ભાગ, પાંથું, પાછા પાગ, ભરવા ન ઘટે ભડ જને !

સિંહને સામો ઊભેલો જોઈને ભડકીને કેમ ભાગો છો ? એા ચારણ ! મર્દને પાછાં પગલાં માંડવાં ન શોભે.

દાન માગતી વખતે ગઢવી એ વાત ભૂલી ગયેલો કે દેવા કરતાં લેવું ભારે પડશે. અને એક વાર માગેલું દાન સ્વીકાર્યા વિના તો બીજો ઉપાય નહોતો, ચારણનો વંશ લાજે. શું કરવું ? ચારણે ચતુરાઈ કરીને આઘે ઊભાં ઊભાં કહ્યું કે : ” ચાંચે સિંહ સમર્પિયો કેસર ઝાલિયો કાન,રમતો મેલ્ય રણ, મુંને પોગ્યો પરમાર ધણી.”

ઓ બાપ ચાંચા, તેં કેસરી સિંહનો કાન ઝાલીને મને સમર્પણ કર્યો, એ હું કબૂલી લઉં છું. મને દાન પહોંચી ગયું. હવે તું તારે એને રમતો મૂકી દે, હે રાણા ! ને ત્યાં જ થયો મોરનો ટહુકો….

સાવજ માથે હાથ ફેરવી મૂળી રાજ કહે : “ જાઓ, વનરાજ ! આજે પરમારો અને આ મૂળી રાજની લાજ રાખી બાપ.. ” સાવજ ચાલ્યો ગયો પણ સાવજને જોનારા બોલી ઉઠયા આ તો માંડવરાય પોતે જ આવ્યા હતા..!! હે એવા ઉગમણા દાદા તારા ઓરડા, હે બાવન ગજની ધજાયુ લહેરાય રે માંડવરાય દાદા, આશરો રે અમને હો તારા નામનો …જયશ્રી માંડવરાયજી દાદા. આવો ગર્વીલી ઈતિહાસ ધરાવતું મંદિર આજે પણ મૂળી ગામની વચ્ચોવચ્ચ અડીખમ છે..

આજ-કાલની આ વાત નથી.દિવસોના મહિના,મહિનાના વર્ષો,વર્ષોના દાયકા અને દાયકાઓની સદીઓ થઇ ગઇ તોયે આ ઘટનાક્રમમાં કદી ફેરફાર નથી થયો !સાંજે તેના નિશ્વિત સમયે,એક ક્ષણ માત્રના વહેલાં-મોડાં વિના મોર આવે છે.ક્યાંથી આવે છે ? કોઇ નથી જાણતું ! આવીને મંદિરના ઘુમ્મટની એક નિશ્વિત જગ્યાં પર બેસે છે.અને નિશ્વિત સમયે જ બે અષાઢી ટહુકા કરે છે અને મોરના ટહુક્યા બાદ નગારે ઘાવ પડે છે,ઝાલર રણકે છે,ધુપેડો ફરે છે અને ભગવાન માંડવરાયજી ની આરતી આરંભ થાય છે.

મોર ત્યાં જ રાત રહે છે.સવારે પાછો દરરોજના નિયત સમયે મોર ટહુકે છે અને આરતી બાદ મોર જતો રહે છે.ક્યાં જાય છે ? કોઇ નથી જાણતું ! પણ એટલું ચોક્કસ કે સાંજે પાછો નિયત સમયે મોર આવે છે જરૂર.આવે એટલે આવે જ.પછી ભલે પ્રખર ગરમી હોય,ઠંડી હોય કે ભયંકર ચક્રાવાત અને ગાજવીજ સાથેનો વરસાદ હોય ! કદાચ સુર્ય પશ્વિમ દિશામાં ઉગે તો ભલે પણ મોર એનો ઘટનાક્રમ ચુકે એ સંભવ નથી.

વળી,આટલાં દાયકાઓથી મોર એનો એ જ છે ! અન્ય બદલાયો નથી.એ જ મોર,એ જ સમયે આરતી ‘કરાવે’ છે. આજની ઘડીએ પણ તમે મંદિરનાં દ્વારે જઈને એક સાદ કરો ખાલી દાદાને ત્યાં દાદા હાજરા હજૂર આવી પહોચે તમારી વ્હારે….. કોઈને પણ રસોળી થઇ હોય તો માત્ર ને માત્ર એક સોપારી દાદાની પારે મુકવાની માનતા માને તો વગર દવાએ એ રસોળી આપોઆપ બેસી જાય છે…

કળીયુગમાં પણ આવા પરચા પુરનાર આ માંડવરાય દાદા સાક્ષાત સૂર્યનારાયણનું જ સ્વરૂપ છે… સૌરાષ્ટ્રનું એકમાત્ર સૂર્યમંદિર પણ આ મંદિરને ગણી શકાય છે..આ મંદિરે રવિવાર અને પૂનમે ભક્તોની ભીડ દર્શન કરવા ઉમટી પડે છે…

પત રાખતા પરમારની,તે દિ’ તું હાવજ થઇને હિંક્યો

આરતી આજ એ વેળા,માંડવરા તું મોર બનીને ટહુક્યો !

લેખન. સંકલન : તૃપ્તિ ત્રિવેદી

રોજ આવી અનેક ધાર્મિક માહિતી વાંચવા માટે આજે જ લાઈક કરો અમારું પેજ

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ

Exit mobile version