તમારા રસોડામાં હાજર આ ચાર-પાંચ સામગ્રીઓ તમારા શુગર લેવલને રાકી શકે છે અંકુશમાં
ડાયાબીટીસ માં તમારા શુગર લેવલને કુદરતી રીતે અંકુશમાં રાખવા તમારા રસોડામા હાજર આ સામગ્રીઓનો ઉપયોગ કરો
જો ડાયાબીટીસના પેશન્ટ પોતાના શુગર લેવલ પર ધ્યાન ન આપે અને તેને અંકુશમાં ન રાખે તો તેને વિવિધ જાતની જટીલતાઓનો સામનો કરવો પડે છે. બિનઅંકુશીત શુગર તમારા શરીરના વિવિધ અંગો તેમજ તેના કામકાજ પર માઠી અસર પહોંચાડી શકે છે. અને માટે જ અમે તેને કુદરતી રીતે અંકુશમાં લાવવાના કેટલાક હાથવગા ઉપાયો તમારી માટે લાવ્યા છે.
ડાયાબીટીસના પેશન્ટે સૌ પ્રથમ તો એ જાણી લેવું જોઈએ કે તેમને માત્ર દવા પર જ નિર્ભર નથી રહેવાનું નથી પણ પોતાના ખોરાક પર પણ જાપતો રાખવાનો છે. અને માટે તમારે તમારા ડાયેટમાં એવા ખોરાકનો સમાવેશ કરવાનો છે જે તમારી શુગરને નીચી લાવે.
અને આ સામગ્રીઓ તમારે ક્યાંય બહાર શોધવા જવાની નથી તે બધી જ તમારા રસોડામાં જ ઉપલબ્ધ છે. જો તમે કે તમારા કુટુંબમાં કોઈ ડાયાબીટીક પેશન્ટ હોય તો તમારે આ લેખ ચોક્કસ વાંચવો જોઈએ.
તજ
તજનો ઉપયોગ આપણે અવારનવાર આપણા ખોરાકનો સ્વાદ તેમજ સોડમ વધારવા માટે કરતા હોઈએ છે. તે લોહીમાંની શર્કરાને અંકુશમાં રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત જમ્યા બાદ લોહીની શર્કરામાં જે એકાએક વધારો આવે છે તેને પણ તજ કંટ્રોલ કરે છે. આ ઉપરાંત તે વજન ઘટાડવામાં મદદ કરે છે અને સાથે સાથે તે ખરાબ કોલેસ્ટેરોલના સ્તરને પણ ઘટાડે છે.
વિવિધ જાતની દાળ
આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે એક સંતુલિત ખોરાકમાં દાળ કેટલો મહત્ત્વનો ભાગ ભજવે છે. અને ભારતીય પરંપરાગત ખોરાકમાં લગભગ દરેક દાળનો સમાવેશ કરવામાં આવ્યો છે માટે આ વિવિધ પ્રકારની દાળ તમારા રસોડામાં હાજર હોય જ છે. દાળની ગ્લાઇસેમિક ઇન્ડેક્ષ નીચી હોય છે અને માટે તે ડાયાબીટીક માટે યોગ્ય ખોરાક છે.
તેમાં પ્રોટીન તેમજ ફાયબરનું પ્રમાણ પણ વધારે હોય છે જે ડાયાબીટીક માટે લાભપ્રદ છે. તમારા માટે દાળના વિવિધ વિકલ્પ ઉપલબ્ધ છે, તમે ક્યારેક એક દાળ ખાઈ શકો છો તો ક્યારેક બે-ત્રણ દાળોના મિશ્રણને પણ રાંધીને ટ્રાઈ કરી શકો છો. દાળ તમારા વજનને પણ કંટ્રોલ કરી શકે છે જે પણ ડાયાબીટીક પેશન્ટ માટે જરૂરી છે.
હળદર
પીળી પીળી હળદરમાં ઢગલાબંધ ઔષધીય ગુણો ભરેલા છે. અને તે ડાયાબીટીસમાં પણ લાભ પહોંચાડે છે. તમે હળદરનો ઉપયોગ તમારા ભોજનમાં તો કરતા જ હશો પણ જો તમે ડાયાબીટીક હોવ અને દૂધનું નિયમિત સેવન કરતા હોવ તો તમારે દૂધમાં હળદર ઉમેરીને તેનું સેવન કરવું જોઈએ. આ સિવાય તમે હળદરની ચા કે ઉકાળો પણ પી શકો છો.
લસણ
લસણનો ઉપયોગ લગભગ બધા જ શાક તેમજ વાનગીઓમાં કરવામાં આવે છે. લસણની સોડમ જ તમને ભોજન તરફ આકર્ષિત કરે છે. લસણ પણ તમારા લોહીની શર્કરાને અંકુશમાં રાખવા મદદ કરી શકે છે. તે બ્લડ પ્રેશર તેમજ કોલેસ્ટેરોલના સ્તરને પણ અંકુશમાં રાખે છે. તેના માટે તમે તાજુ ફોલેલનું લસણ સવારે વહેલા પાણી સાથે ગળી શકો છો.
મેથી
મેથીના દાણા લગભગ દરેકે દરેક ભારતીય રસોડામાં હોય છે. મેથીના દાણાનો ઉપયોગ આપણે વિવિધ રીતે આપણા ખોરાકમાં કરતા હોઈએ છે, મેથીના કુરિયા આપણે દાળ-શાકના વઘારમાં નાખતા હોઈએ છે તો વળી તેને અથાણાને આથવા માટે પણ વાપરતા હોઈએ છે તો ઘણીવાર મેથીનું સ્વાદિષ્ટ શાક પણ બનાવવામાં આવે છે.
સામાન્ય રીતે મેથીના દાણાનો ઉપયોગ કરતા પહેલાં તેને પલાળવામાં આવે છે. તેમાં ભરપુર પ્રમાણમાં ફાયબર હોય છે તેમજ તે શરીર જે રીતે શર્કરાનો ઉપયોગ કરે છે તેને પણ સુધારે છે. તેનો ઉપયોગ તમે વજન ઘટાડવા માટે પણ ખરી શકો છો.
તેમાં કોઈ જ શંકા નથી કે આ બધા જ ખોરાક તમને ડાયાબીટીસમાં લાભ પહોંચાડે છે. પણ સાથે સાથે એક ડાયાબીટીકે પોતાના ખોરાક પર પણ પૂરતું ધ્યાન આપવું જોઈએ. તેમજ તેમણે પોતાની જીવન શૈલીમાં પણ સુધારો લાવવો જોઈએ. અને આ સામગ્રીઓનો ઉપયોગ કરતા પહેલાં ડોક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ