કેળાંને રોજિંદા ચોક્કસ માત્રામાં લેવાથી અક્સીર દવાનું કામ કરે છે. જાણો છો કઈ કઈ રીતે છે ફાયદેમંદ?
કેળાંને ભારત ભરમાં તો સૌ કોઈ પસંદ કરે જ છે પણ કેળાં અમેરિકાનું સૌથી ફેવરિટ ફ્રુટ છે. ત્યાંતે સૌથી વધુ પ્રમાણમાં ખવાય છે. દળદાર મોટાં કેળાં કે નાનકડાં એલચી કેળાં હોય સ્વાદમાં સાકર જેવાં મીઠાં અને એકદમ સ્વાસ્થ્ય વર્ધક હોય છે. કેળાંમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ અને ગ્લુકોઝનું પ્રમાણ રહેલું છે તેથી તેને ઇન્સ્ટન્ટ એનર્જી ફૂડ તરીકે દુનિયાભરમાં માન્યતા મળી છે. કેળાં તમામ પ્રકારે ગુણકારી છે તેને જો દરરોજ એક નંગ ભોજનમાં કે સવારના નાસ્તામાં લેવામાં આવે તો તેનામાં રહેલાં પોષક તત્વો શરીરને ખૂબ જ મજબૂત બનાવે છે અને કેટલીક શારીરિક તકલીફોમાં ઢાલ બનીને રક્ષક તરીકે તે કામ કરે છે.
કહેવાય છે કે રાતે કેળાં ન ખાવાં જોઈએ. તેની પાછળ એક કારણ એ પણ હોઈ શકે કે તે શીત પ્રકૃતિના છે તેથી રાતના સમયે વધુ પ્રમાણમાં કેળાં ખાવાથી કફ કે શરદી થઈ શકે. તેનામાં કુદરતી શર્કરા પણ પુષ્કળ છે તેથી જેમને ડાયાબિટીઝ હોય તેઓએ પણ કેળાં ખાવાનું પ્રમાણ ઓછું કે નહીંવત રાખવું જોઈએ. આ સિવાય, કેળાં દરેક ઉમરના લોકો એ ખાવા જોઈએ. નાનું બાળક કે મોટાં વડીલો જેમને દાંત નથી અને પૂરતા પ્રમાણમાં ભોજન લઈ શકતા નથી તેમને માટે કેળાં ખાવા એ શ્રેષ્ઠ વિકલ્પ છે. કેળાંમાંથી અનેક વાનગી પણ બને છે. તેને કાચાં અને પાકાં બંને સ્વરૂપમાં ખાઈ શકાય છે. કેળાંનું શાક કે મિલ્ક શેક સૌ કોઈને ભાવતું હોય છે.
આવો, આપણે રોજિંદા જીવનમાં કેળાં ખાવાના એવા લાભ જોઈએ જે આપણે ખાતી વખતે અગાઉ ક્યારેય નહીં વિચાર્યા હોય અને અનાયાસે જ આપણી મદદ કરી લેતા હોય છે.
આવો, આપણે કેળાં ખાવાના મુખ્ય પાંચ લાભો જાણીએ.
૧ હાઈ બ્લડ પ્રેશર
બ્લડ પ્રેશર એમાંય હાઈ બ્લડ પ્રેશર પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. તે એક પ્રકારે સાઈલન્ટ કિલર તરીકે ઓળખાય છે. કારણ કે ક્યારે તે કિડની, પાચનતંત્ર, હ્રદયરોગ કે મેન્ટલ સ્ટ્રોક જેવી બીમારી આવી જાય છે તેની ખબર પણ નથી પડતી. લો બ્લડ પ્રેશરમાં પોટેશિયમ મળી શકતું હોય તેવો ખોરાક વધારે ખાવાનું સૂચન મળતું હોય છે. કેળાંમાં સારા પ્રમાણમાં પોટેશિયમ રહેલું હોય છે. એક મધ્યમ કદના કેળાંમાં ૧૨% જેટલું પોટેશિયમ મળી આવે છે. હાવર્ડ યુનિવર્સિટી સહિત અનેક મેડિકલ રિપોર્ટ્સ કેળાંને બ્લડ પ્રેશર નિયંત્રણ માટે ખાવાનું સૂચન કરે છે. કેળાંમાં રહેલી કુદરતી મીઠાશને લીધે આપણો મૂડ પણ સારો થઈ જાય છે જે હાઈપર ટેન્શન અને સ્ટ્રેસને ઘટાડવા ઉપયોગી છે.
૨ ભૂખ નિયંત્રિત કરવા
કેળાંમાંથી ભરપૂર માત્રામાં શરીરને જરૂરી રેસા મળી રહે છે. તેથી એક મધ્યમ કદનું કેળું ખાઈ લીધા પછી પેટ ભરેલું લાગે છે. તેથી લાંબો સમય કંઈ બીજું ખાવાની ઇચ્છા થતી નથી પરિણામે જેમને ડાયેટ કરવું હોય તેઓ બ્રેકફાસ્ટમાં એક દરરોજ એક કેળું ખાઈ લે તો પણ તે ઘણી રીતે લાભદાયી રહે છે. તે કોલેસ્ટરોલ કંટ્રોલ કરવા ખૂબ ઉપયોગી છે. તેનામાં રહેલા કુદરતી ફાઈબર્સને કારણે તે પાચન સરળ બનાવે છે અને કબજિયાત નિવારવા માટે તે અક્સીર છે.
૩ કેન્સર નિવારણ
અન્ય વધુ સારા કેળાના લાભોમાંથી એક એ પણ છે કે એ કેન્સર નિવારણના કેટલાક પ્રકારમાં પણ મદદરૂપ છે. કેન્સર રિસર્ચ ઓફ અમેરિકન ઇન્સ્ટિટ્યુટ દ્વારા કરાયેલ સંશોધનો દર્શાવે છે કે કેળાંમાં રહેલ ડાયેટરી ફાઇબરસ ચોક્કસપણે કોલોરેક્ટલ કેન્સરનું જોખમ ઘટાડે છે. વધુમાં, વિટામિન સી, પણ કેન્સરનું જોખમ ઘટાડે છે. કેળાંમાં વિટામીન સી દૈનિક જરૂરિયાતના મૂલ્ય કરતાં આશરે ૧૭% પ્રમાણ ધરાવે હોય. આ અભ્યાસો કદાચ 100% નિશ્ચિત ન પણ હોય, પરંતુ દરરોજ કેળાં ખાવાથી કોઈ નુક્સાન થતું નથી.
૪ એનર્જીનો સ્ત્રોત
રમતવીર માટે કે નાના વિકાસ પામતાં બાળકો માટે કેળાં ઉત્તમ આહાર છે. કેળાં અને દૂધનું મિશ્રણ કરીને તેમાં સ્વાદ ઉમેરવા મધ, સાકર કે એલચીનો ભૂકો નાખીને સ્વાદિષ્ઠ પીણું બનાવી શકાય છે. જેમાં ભરપૂત તાકાત રહેલી છે. જેઓ દોડવીર કે સ્પોર્ટ્સ પર્સન હોય છે તેમને કેળાં ખાવા જ જોઈએ. તેમાંથી પૂરતું પ્રોટિન અને પોટેશિયમ મળી રહે છે જે કસરતી શરીરની શક્તિ માટે જરૂરી છે. પોટેશિયમ શરીરમાંથી પાણીનો ઝડપથી થતા નિકાલને નિયંત્રિત કરે છે તેથી વધુ પરસેવો થાય ત્યારે તે શક્તિ આપે છે. વળી, કેળાંમાં રહેલ કાર્બસ ઊર્જાનો સારો સ્ત્રોત છે જેથી તે ઇન્સ્ટન્ટ એનર્જી માટે ખવાય છે.
૫ મજબૂત હાડકાં
કેળાંમાં રહેલ કેલ્શિયમ અને પોટેશિયમ હાડકાં મજબૂત રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે. નિયમિત રીતે દિવસનું એક સપ્રમાણ કેળું ખાવાથી વધતી ઉમરે ઓસ્ટોપોરેસિસ જેવી બરડ હાડકાંની તકલીફોને નિવારી શકવામાં મદદ મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ