રાજ્યમાં કોરોનાના કેસમાં જે વધારો થઈ રહ્યો છે તેના કારણે સરકાર અને આરોગ્ય તંત્ર ચિંતામાં છે. જો કે હાલ તો સ્થિતિ એવી છે કે જેને જોતાં લોકો પણ ચિંતામાં આવી ગયા છે. દિવાળી પહેલા લોકોમાંથી કોરોનાનો ભય દૂર થઈ ગયો હતો પરંતુ હવે જે રીતે સંક્રમણ વધી રહ્યું છે તેને જોતાં લોકો પણ ચિંતામાં છે અને ટેસ્ટ કરાવવા લાગ્યા છે. આજના દિવસમાં સૌથી મોટી ચિંતાના સમાચાર એ છે કે અમદાવાદમાં આખા પરીવારને અને એક સોસાયટીમાં વધારે સંક્રમણ ફેલાવા લાગ્યું છે. આ પ્રકારના કેસ બોપલમાં નોંધાયા છે.
શહેરના બોપલ વિસ્તારમાં એક સોસાયટીમાં રીતતર કોરોના વિસ્ફોટ થયો છે. સાઉથ બોપલ વિસ્તારમાં સફર પરિસર નામની સોસાયટીમાં એક સાથે 80 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ રીતે એક જ સોસાયટીમાં 80 કેસ આવવાથી લોકોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે.
આ અંગે જાણવા મળ્યાનુસાર અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનની ટીમ પણ આ સમાચાર મળતાં જ દોડતી થઈ ગઈ હતી. આ 80 કેસમાં સફલ પરિસર-1માંથી 42 અને 2માં 38 એમ કુલ મળીને 80 પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. એક સાથે 80 લોકોને કોરોના થતાં એએમસીએ બિલ્ડીંગને જ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર દીધો છે.
જો કે અમદાવાદ શહેરમાં કોઈ એક જ રહેણાંક સોસાયટીમાંથી આટલા મોટા પ્રમાણમાં કેસ નોંધાવાની આ પહેલી ઘટના બની છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં એક જ જગ્યાએથી કોરોના પોઝિટિવ કેસ નોંધાવા એ ચિંતાજનક નિશાની છે. એએમસી દ્વારા આગામી દિવસોમાં બોપલ વિસ્તારમાં મોટાપાયે કોરોના ટેસ્ટિંગની ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવા પણ સંકેતો મળી રહ્યા છે.
અમદાવાદ અને આસપાસના જગ્યાઓમાંથી જે રીતે કેસ વધી રહ્યા છે તેના કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નવા દર્દીઓ માટે બેડની પણ અછત સર્જાઈ રહી છે. હોસ્પિટલોમાં કેટલા બેડ ખાલી છે તે અંગેની સમીક્ષા કરવા માટે પણ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરમાં ખાનગી હોસ્પિટલો દ્વારા બેડ ભરવા માટે થઈ રહેલી ગેરકાયદે પ્રવૃત્તિ પર પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
અમદાવાદમાં કોરોનાના નવા દર્દીઓ માટે સરકારી હોસ્પિટલોમાં બેડ ખાલી ન હોવાથી તેમને આણંદ, કરમસદ કે ગાંધીનગરની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત હોસ્પિટલમાં બેડ વધારવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કુલ 1500 બેડ ખાલી હોવાનું અધિકારીઓની બેઠકમાં જાણવા મળ્યું છે. તે ઉપરાંત સિવિલમાં કિડની વિભાગમાં કુલ 90 ટકા બેડ ખાલી છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલમાં 700થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. આજે આ પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા રાજ્યના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા, કમિશ્નર મુકેશ કુમાર સહિતના અધિકારીઓની બેઠક મળી હતી. હાલમાં શહેરમાં 8થી10 ખાનગી હોસ્પિટલોને પણ કોવિડ હોસ્પિટલ તરીકે રીક્વીઝીટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી નવા દર્દીઓને સરળતાથી સારવાર મળી રહે અને વધુ બેડ ઉપલબ્ધ કરાવી શકાય.