જલ્સા કરોને જેંતીલાલ

ઈસરોએ ચંદ્રયાન પરથી લીધેલી પૃથ્વીની તસ્વીરો કરી શેયર – અંતરિક્ષમાંથી પૃથ્વી આવી લાગે છે…

ઇસરોનું અને દરેકે દરેક ભારતિયનું મહત્ત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન – 2 થોડાક જ દિવસોમાં ચંદ્રની ધરતી પર પગ મુકવાનું છે જેનું મુખ્ય લક્ષ ચંદ્રનો અભ્યાસ કરવાનું છે. તે સફળ રીતે પૃથ્વીની ચોથી કક્ષામાં પ્રવેશી ચુક્યું છે. પોતાની ત્રીજી કક્ષાના ભ્રમણ દરમિયાન ચંદ્રયાન-2ના LI4 કેમેરાથી પૃથ્વીની સુંદર તસ્વીરો લેવામાં આવી છે જેને તાજેતરમાં ઇસરોએ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કરી છે.

એક ભારતીય માટે એક ગર્વની વાત છે કે ચંદ્રયાન એકધારું સફળ રીતે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. એક-એક ભારતીય આજે ચંદ્રયાનના ચંદ્ર પર ઉતરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે જેમાં દેશના વડાપ્રધાનનો સમાવેશ થાય છે. કારણ કે આ આતુરતા તેમણે પોતે જ જણાવી હતી. ઇસરોએ આ વિષે વધારે માહિતી આપતા જણાવ્યું હતું કે ચંદ્રયાન 276 ગુણ્યા 71792 કીલોમીટરની કક્ષામાં પ્રવેશી ચુક્યું છે.

ઇસરો આગળ જણાવે છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર રોવર ઉતારવાના આશયથી મોકલવામાં આવેલા બીજા ચંદ્રયાન મિશનની બધી જ પ્રવૃત્તિઓ સામાન્ય છે. આ અગાઉ 24 જુલાઈએ યાને પૃથ્વીની પહેલી કક્ષામાં પ્રવેશ કર્યો હતો ત્યાર બાદ 26 જુલાઈએ ચંદ્રયાન સફળ રીતે બીજી કક્ષામાં પ્રવેશ્યું હતું.

ઇસરોએ ચંદ્રયાનની સફર વિષે વધારે માહિતી આપતા જણાવ્યું હતું કે ચંદ્રના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં પ્રવેશતાં જ ચંદ્રયાન-2ને પ્રોપેલિંગ સિસ્ટમની મદદથી તેની ગતિને ધીમી કરવામાં આવશે જેથી કરીને તે ચંદ્રની શરૂઆતની કક્ષામાં સફળ રીતે પ્રવેશ કરી શકે.

ચંદ્રયાન અન્ય દેશોના સેટેલાઇટ પણ પોતાની સાથે લઈ જઈ રહ્યું હોવાથી ચંદ્રની કક્ષામાં પહોંચતા જ તેને છુટ્ટા કરી દેવામાં આવશે અને સાથે સાથે આપણા સેટેલાઇટને પણ છુટ્ટા કરીને 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાનનું લેન્ડર ચંદ્ર પર ઉતરવાની પ્રક્રિયા શરૂ કરશે.

ચંદ્રની ધરતી પર ઉતરી ગયા બાદ રોવર લેન્ડરથી અલગ થઈ જશે અને ચંદ્રના એક દિવસ એટલે કે અહીં પૃથ્વીના 14 દિવસ સુધી તે ચંદ્રની ધરતી પર પ્રયોગો તેમજ અવલોકનો કરીને માહિતી ભેગી કરવાનું કામ કરશે.

તસ્વીરની વાત કરીએ તો ચંદ્રયાને આ પહેલાં લોંચીગની થોડી મિનિટો બાદપણ પૃથ્વીની પહેલી તસ્વીરો મોકલી હતી.

એક ભારતીય તરીકે અત્યાર સુધી ચંદ્ર વિષે આપણે હંમેશા નાનપણની વાર્તાઓમાં જ સાંભળ્યું છે. અને એવું કહી શકાય કે નાનપણની એક મીઠીમધુરી યાદોમાં તેનું સ્થાન છે. આજે પણ આપણે ચંદ્રમાં આકૃતિઓ શોધવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. વિજ્ઞાન ગમે તેટલું આગળ વધી જાય તેમ છતાં ચંદ્ર બાબતેની આપણા ઉંડાણમાં રહેલી છાપને કંઈ આટલી સરળતાથી મીટાવી શકાય તેમ નછી.

મુન મિશન એ હંમેશથી પૃથ્વીવાસીઓ માટે એક ગજબનું કૂતુહલ જગાવતું મિશન રહ્યું છે. પછી તે રશિયાનું સફળ અંતરિક્ષ મિશન હોય કે અમેરિકન નિલ આર્મસ્ટ્રોંગે પ્રથમવાર ચંદ્ર પર પગ મુકવાની ઉપલબ્ધી હોય.

જો કે એક વર્ગ એવો પણ છે જે નથી માનતો કે અમેરિકાએ ક્યારેય ચંદ્ર પર પગ મુક્યો હોય. તેમની એવી દલીલ છે કે તેમણે કોઈ હેલીવૂડ ફિલ્મની જેમ જ ચંદ્ર પર પગ મુકવાના મિશનને નાટકિય રીતે ફિલ્માવ્યું છે. જો કે ઘણા બધા એવા લોકો પણ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે જેઓનું એવું માનવું છે કે પૃથ્વી કોઈ બૉલ કે ગોળા જેવી ગોળ નથી પણ સિક્કા જેવી ચપટી છે. પણ માનવાવાળો તો કંઈ પણ માની શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version