જો તમને પણ એવું લાગતું હોય કે ભૂખ્યા રહેવાથી વજન ઓછું થશે તો આ માહિતી તમારી માટે જ છે…

જ્યારે જ્યારે વજન ઉતારવાનો વિચાર કરીએ ત્યારે ત્યારે દરેક વ્યક્તિ ખાવાનું ઓછું કરવાનો જ વિચાર કરવા લાગે છે. ઉપવાસો કરવાથી અથવા ભૂખ્યા રહેવાથી જે વજન ઉતરે તે તરત જ પાછુ આવી જતું હોય છે. શ્રાવણ મહિના દરમિયાન ઉપવાસો કર્યા અથવા તો જૈનોના પર્યુષણમાં જે જે લોકોએ ઉપવાસો કર્યા તેમણે ઉપવાસ પત્યા પછી ઘણું સાચવ્યા છતાં પણ વજન તો લગભગ વધી જ જાય છે. માટે જ ઉપવાસ કરીને વજન ઉતારવાના જમાના હવે ગયા છે. દિવસ દરમિયાન દર બે કલાકે જો પોષણયુક્ત ખોરાક ખાવામાં આવે તો વજન ઉતરે છે, શરીરમાં તાકાત રહે છે. આ ઉપરાંત વાળ, સ્કીન વગેરે પણ સુંદર બને છે.દિવસ દરમિયાન શરીરને જોઈતાં પોષકતત્ત્વોને જોઈતી કેલેરીવાળા ખોરાક સાથે કમ્બાઈન કરીને એક બેલેન્સ ડાયટ પ્લાન તૈયાર કરવામાં આવતું હોય છે. આ પ્રકારનું બેલેન્સ ડાયટ ફોલો કરવામાં આવે તો વ્યક્તિનું વજન તો ઉતરે જ છે પણ તે એક સ્વસ્થ જીવશૈલી તરફ પણ આગળ વધે છે.
ઘણીવાર રોજીંદા જીવનમાં નાના નાના ફેરફાર કરવામાં આવે તો વજન ઉતારી શકાય છે જેમ કે- દિવસ દરમિયાન ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવો. ઘણીવાર પાણી પીવાનું યાદ જ નથી આવતું અથવા તરસ જ નથી લાગતી તો આવા સમયે દરરોજ સવારે 2 ગ્લાસ પાણી પીવો, રાત્રે સુતા પહેલાં 2 ગ્લાસ પાણી પીવો. બપોરે 1 ગ્લાસ પાણી પીવો તથા જ્યારે યાદ આવે ત્યારે એક સાથે જ બે ગ્લાસ પાણી પી જવું.-દિવસ દરમિયાન ઓછામાં ઓછું 1 વાટકો દાળ (જાડી) અથવા કઠોળ ખાવાનું રાખો. ઘણીવખત આપણે સવારના જ નાસ્તામાં મગ અથવા દાળ વાપરવાનો આગ્રહ રાખતા હોઈએ છીએ, પરંતુ સવારના જમવામાં દાળ અથવા કઠોળનો ઉપોયોગ કરવાથી દિવસ દરમિયાન ભૂખ ઓછી લાગે છે. વળી દાળ જાડી જ વાપવરાનો આગ્રહ રાખવો જોઈએ, કારણ કે પાતળી દાળમાં સ્વાદ પણ ઓછો આવતા ઓછી ખવાય છે અને પોષણ પણ ઓછું મળે છે.-દિવસ દરમિયાન ઓછામાં ઓછા 2થી 3 ફળોનો ઉપયોગ કરો. ફળ બને ત્યાં સુધી જુદા જુદા વાપરવા દરેક ફળમાં જુદા જુદા પોષકતત્ત્વો વધુ પ્રમાણમાં આવેલા છે માટે જો સવારના સમયે કેળું વાપરો તો બપોરના સમયે પપૈયુ અથવા સફરજન વાપરો. આમ જુદા જુદા ફળો લેવા જરૂરી છે. ઉપરાંત સીઝનલ ફ્રૂટ વાપરવાનું ભૂલશો નહીં સીઝનમાં ઉગતાં ફળો જેમ કે ફાલસા, જાંબુ, રાયણ, બોર, બદામ, ખજૂર પણ સીઝન પ્રમાણે જરૂરથી ખાવા જોઈએ. આ ઉપરાંત ઘણીવાર ખોરાકની સાથે ફળ લેવાથી ગેસ અપચો થતો હોય છે ઉપરાંત તમારા એ સમયના ખોરાકની કેલેરી વેલ્યુ વધી જતી હોય છે. બને ત્યાં સુધી જમવા સાથે અથવા જમ્યા પછી તરત જ ફળોનો ઉપયોગ કરવાનું ટાળો.-ખોરાકમાં કાર્બોદિત પદાર્થો બહુ જ મહત્ત્વના છે. જેવી રીતે રીપેરવર્ક માટે પ્રોટીન મહત્ત્વનું છે તેવી જ રીતે એનર્જી માટે કાર્બોદિત પદાર્થો જરૂરી છે. પરંતુ તેમને વધુ પડતાં લેવાની જરૂર નથી. માટે જ રોટલી, ભાખરી, ઘઉંની બ્રેડ વગેરે બંધ ના કરતાં જરૂર પ્રમાણે વપરાશ રાખવો.-આમ, શરીરને જોઈતા દરેક પોષકતત્ત્વો શરીરને દરરોજ જ જોઈએ છે, ફક્ત અઠવાડિયામાં એક વખત રોટલી, દાળ, ભાત, શાક ખાવા અને બીજા દિવસોમાં ઉપવાસ કરવાથી આપણે શરીરને નુકસાન કરીએ છીએ. દિવસમાં દર બે કલાકે શરીરને પોષણ આપતો ખોરાક લો. તેમાં તેલ, ઘીનું તથા ખાંડનું પ્રમાણ ઓછું કરી દો. જંકફુડ ખાવાનું બંધ કરો અથવા અઠવાડિયામાં એક જ વખત ખાવું તેવું નક્કી કરો. જો આ પ્રમાણેનું જ ખાવાનું ધ્યાન બાળકોનું પણ રાખવામાં આવે તો તેઓ પણ નાનપણથી જ હેલ્ધી બનશે અને ઓબેસીટીથી દૂર રહેશે.
સૌજન્ય : લીઝા શાહ (ડાયેટીશ્યન)