ધનતેરસના દિવસે માત્ર લક્ષ્મી માતા, કુબેર મહારાજ કે પછી ગણપતિજીની જ પુજા કરવામાં નથી આવતી પણ આ દિવસે ધનવંતરી ભગવાનની પણ પુજા કરવામાં આવે છે. આ દેવતાની પુજા કરવાથી ઘરના સભ્યોનું આયુષ્ય લાંબુ થાય છે અને આરોગ્ય સ્વસ્થ બને છે. ધનવંતરી દેવને લક્ષ્મીમાતાના ભાઈ માનવામાં આવે છે તો વળી તેમને આયુર્વેદના દેવતા પણ ગણવામાં આવે છે. શા માટે ? તો ચાલો જાણીએ તે પાછળની કથા વિષે.
ધનતેરસને ધનવંતરી જયંતિ પણ કહેવાય છે જેની પાછળ આ પૌરાણીક કથા છે. એક સમયે ઇન્દ્ર દેવના અભદ્ર વ્યવહારથી મહર્ષિ દુર્વાસાએ ત્રણે લોકને શ્રીહીન થવાનો શ્રાપ આપ્યો હતો જેના કારણે અષ્ટલક્ષ્મી પૃથ્વીનો ત્યાગ કરીને પોતાના લોકમાં જતા રહ્યા હતા. ફરીથી ત્રણે લોકમાં શ્રીને સ્થાપવા માટે દેવતાઓ વ્યાકુળ બની ગયા હતા.
આ સમસ્યાનું સમાધાન લાવવા માટે દેવતાઓ ત્રણે દેવતાઓ પાસે ગયા અને તેમને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો ઉપાય જણાવવા અરજ કરી ત્યારે મહાદેવે દેવોને સમુદ્રમંથન કરવાની સલાહ આપી જેને દેવતાઓ તેમજ દૈત્યોએ ખુશી ખુશી માની લીધી. સમુદ્ર મંથન કરવા માટે મંદરાચલ પર્વતને વલોણું બનાવવામાં આવ્યું અને નાગોના રાજા વાસુકીને મંથન માટેની દેરી બનાવી લેવામાં આવી. વાસુકીના મોઢા આગળ દાનવો રહ્યા અને તેની પૂંછડી આગળ દેવતાઓ રહ્યા અને તેમણે સમુદ્ર મંથનની શરૂઆત કરી.
સમુદ્ર મંથનથી ચૌદ મુખ્ય રત્નોની ઉત્પત્તી થઈ જેમાં ચૌઉદમાં રત્ન તરીકે ખુદ ધન્વન્તરી ભગવાન પ્રગડ થયા જેમના હાથમાં અમૃતનો કળશ હતો. ભગવાન વિષ્ણુએ તેમને દેવતાઓના વૈદ અને વનસ્પતિ તેમજ ઔષધીઓના સ્વામી તરીકે ચૂંટ્યા. તેમના જ વરદાન સ્વરૂપે બધા જ વૃક્ષો-વનસ્પતિઓમાં રોગનાશક શક્તિ ઉત્પન્ન થઈ.
પણ ધનવંતરિ દેવના પ્રગટ થતાં અને તેમના હાથમાં અમૃતનો ઘડો કે જેને પીવાથી દેવતા-દાનવો શું મનુષ્ય પણ અમર બની જાય છે તે જોઈ. દેવતાઓ અને દાનવો વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. રીતસરની ઝપાઝપી જ શરૂ થઈ ગઈ હતી, પણ ભગવાન વિષ્ણુએ આ સંકટને દૂર કરવા માટે મોહિની રૂપ ધારણ કર્યું અને ખુબ જ ચાલાકીથી અમૃતનો ઘડો મેળવી લીધો.
આયુર્વેદ પ્રમાણે પણ ધર્મ, કામ, અર્થ અને મોક્ષની પ્રાપ્તિ માટે સ્વસ્થ શરીર અને લાંબી આયુ આવશ્યક છે. શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે કે ધર્મનું સાધન પણ નીરોગી શરીર છે, માટે જ આરોગ્ય ધન માટે જ ભગવાન ધન્વંતરીની પુજા ધનતેરસના દિવસે કરવામાં આવે છે. એવું કેહવાય છે કે આ દિવસે શ્રી ધન્વંતરી ભગવાનની પુજા અર્ચના કરવામાં આવે તો માનવ શરીર આખું વર્ષ સ્વસ્થ રહે છે.
સમુદ્ર મંધન દરમિયાન શરદ પુર્ણિમાના દિવસે ચંદ્રમાં, કાર્તક દસમે કામધેનુ ગાય, તેરસે ધન્વંતરી ભગવાન અને અમાસે મહાલક્ષ્મીની ઉત્પત્તિ થઈ હતી. માટે જ ઉપર જણાવેલી તીથીઓએ તેમની પુજા કરવામાં આવે છે.
આ રીતે ધનવંતરી દેવની પુજા કરવી
ધનવંતરી ભગવાન અમૃત લઈને ઉત્પન્ન થયા હતા માટે તેમને જીવનદાતા પણ કહી શકાય. તેઓ આયુર્વેદના જાણકાર હતા માટે તેમને આરોગ્યાના દેવતા પણ કહેવામાં આવે છે. આજે ધનતેરસ કે પછી દીવાળીના દિવસે મોટેભાગે માત્ર લક્ષ્મીમાતા અને ગણપતિજી અને કુબેર મહારાજની જ પુજા કરવામાં આવે છે અને ધનવંતરી ભગવાનને ભાગ્યે જ પુજવામાં આવતા હોય છે. પણ આપણે એટલું સમજી લેવું જોઈએ કે આપણે ધનને ત્યારે ભોગવી શકીશું જ્યારે આપણી પાસે સારું સ્વાસ્થ્ય હશે. જો સારું સ્વાસ્થ્ય નહીં હોય તો તમે કરોડો રૂપિયાના ઢગલામાં પડ્યા હશો તો પણ તેને માણી નહીં શકો માટે ધનવંતરી દેવની પુજા ધનતેરસના દિવસે ચોક્કસ કરવી જ જોઈએ.
ધનવંતરી પુજા દરમિયાન આ મંત્રોના જાપ કરો
“ઓમ નમો ભગવતે મહાસુદર્શનાય વાસુદેવાય ધન્વંતરાયેઃ”
અમૃતકલશ હસ્તાય સર્વભય વિનાશાય સર્વરોગનિવારણાય ત્રિલોકપથાય ત્રિલોકનાથાય શ્રી મહાવિષ્ણુસ્વરૂપ
શ્રી ધનવન્તરિ સ્વરૂપ શ્રી શ્રી શ્રી ઔષધચક્ર નારાયણાય નમઃ”
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ