ગુજરાતના વૈજ્ઞાનિકોએ શોધી મગફળનીની નવી પ્રજાતિ, હવે મગફળીના તેલમાં પણ તમને મળશે ઓલિવ ઓઇલ કરતાં પણ વધારે ગુણો
દાયકાઓથી આપણે વિદેશી સંસ્કૃતિથી પ્રભાવિત થતાં આવ્યા છે અને તેના જ કારણે આજે દેશના લોકોનો પહેરવેશ લગભગ પાશ્ચાત્ય જ થઈ ગયો છે. અને માત્ર વસ્ત્રો જ નહીં પણ લોકોની રહેણીકરણી, લોકોનું ખાન પાન લોકોના શોખ વિગેરે પર પણ પાશ્ચાત્ય જગતની મોટી અસર જોઈ શકાય છે.
ખાવાની વાત કરીએ તો આપણા ઘરના જ બાળકોને પુછીએ તો તેમની પ્રિય ડીશ હવે પિઝા થઈ ગઈ છે તો વળી કેટલાકને ચાઈનીઝ પ્રિય થઈ ગયું છે.
માત્ર બહારના ભોજનમાં જ નહીં પણ ઘરના ભોજનની બનાવવાની રીતભાત પણ બદલાઈ રહી છે. પહેલાં જે રેગ્યુલર સામગ્રીઓ વાપરવામાં આવતી હતી તે ચોક્કસ વપરાય જ છે પણ સાથે સાથે વિદેશી મસાલાઓ તેમ જ તેલનો સમાવેશ પણ હવે રસોડાના કબાટોમાં થઈ રહ્યો છે.
તેલની વાત કરીએ તો સામાન્ય રીતે ભારતીય કુટુંબમાં ભોજન બનાવવા માટે કપાસિયા તેલ, સરસિયાનું તેલ, અને મગફળીનું તેલ તેમજ દક્ષીણ ભારતમાં કોપરેલનું તેલ આ મુખ્ય તેલોનો વપરાશ વધારે થઈ રહ્યો છે, પણ ઉચ્ચ વર્ગના ઘરોમાં આ તેલની જગ્યા ઓલિવ ઓઇલ લઈ રહ્યું છે.
તે સિંગતેલ કરતાં ક્યાંય વધારે મોંઘું છે અને તેનામાં કેટલાક ગુણો મગફળીના હાલમાં બજારમાં વેચાતા તેલ કરતાં વધારે છે. પણ હવે એ દિવસો દૂર નથી કે મગફળીનું તેલ ઓલિવઓઇલને પછાડી દે.
હા, ભારતના વૈજ્ઞાનિકો મગફળીની એવી વેરાયટી વિકસાવી રહ્યા છે જેમાં ઓલિવ ઓઇલની સરખામણીમાં ક્યાંય વધારે ઓલિક એસિડ સમાયેલો હોય છે.
ઓલિવ ઓઇલને કેટલાક હેલ્થ કોન્શિયસ લોકો દ્વારા એટલા માટે પસંદ કરવામાં આવે છે કારણ કે તેમાં બીજા તેલોની સરખામણીએ ફેટી એસિડ વધારે હોય છે.
ઓલિવ ઓઇલમાં આ ફેટી એસિડનું પ્રમાણ 75 ટકા સુધી હોય છે. પણ ઓલિવઓઈલનો આ ઇજારો હવે થોડાક સમયમાં ખતમ થવા જઈ રહ્યો છે.
કારણ કે, જુનાગઢમાં આવેલા મગફળી સંશોધન સંસ્થાનના ડીરેક્ટર ટી. રાધાકૃષ્ણને જણાવ્યું છે કે તેમની ટીમે મગફળીની બે નવી વેરાયટી, ગિરનાર–4 અને ગિરનાર–5 વિકસિત કરી છે જેમાં ફેટી એસિડનું પ્રમાણ 78થી -80 ટકા છે. જે ઓલિવઓઇલની સરખામણીએ વધારે છે.
મગફળીની આ નવી વેરાયટીમાં ઓલિક એસિડ 80 ટકા છે, જ્યારે લિનોનિક એસિડ બે ટકા અને પાલમિટિક એસિડ છ ટકા છે. અને મગફળીની નવી વેરાયટીમાં રહેલા આ જ ગુણોના કારણે નજીકના ભવિષ્યમાં ઓલિવ ઓઇલ કરતાં મગફળીને વધારે પસંદ કરવામાં આવશે.
હાલ તેની ખેતી ખુબ જ નાના પાયે થઈ રહી છે, એટલે કે તેને સંશોધન કેન્દ્રમાં જ ઉગાડવામાં આવી રહી છે, પણ તેને નોટીફાઇડ કર્યા બાદ ખેડૂતોને તેના બીજ આપવામાં આવશે.
ખુશ ખબર એ છે કે આ વર્ષના ડીસેમ્બર મહિનામાં જ તેને નોટીફાઈડ કરી દેવામાં આવશે અને ટુંક જ સમયમાં ખેડૂતો પણ આ અત્યંત ગુણકારી એવી મગફળીની ખેતી કરી શકશે.
અને બની શકે કે માત્ર બે ત્રણ વર્ષમાં જ આપણે બધા આ નવી મગફળનીનો સ્વાદ ચાખી શકીએ. તમને જણાવી દઈએ કે આજે આપણે જે મગફળીનું તેલ ખાઈ રહ્યા છે તેમાં ફેટી એસિડનું પ્રમાણ ઓછું હોય છે જ્યારે ઓલિક એસિડનું પ્રમાણ 40-50 ટકા હોય છે.
2016માં થયેલા દિલ્લી યુનિવર્સીટી દ્વારા પ્રકાશિત થયેલી અંડરગ્રેજ્યુએટ રિસર્ચ એન્ડ ઇનોવેશન જર્નલમાં માહિતી આપવામાં આવી હતી કે વિદેશમાંથી આવતા ઓલિવ ઓઇલ અને આપણા દેશમાં ઉત્પન્ન થતાં મગફળીના તેલમાં ઉચ્ચ પ્રમાણમાં મોનો અસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે સાથે સાથે લિનોલિક અને લિનોલેનિક એસિડનું પ્રમાણ પણ પુરતુ હોય છે. શરીર માટે આ જરૂરી ફેટી એસિડ સ્વાસ્થ્ય માટે લાભપ્રદ છે.
નવી શોધાયેલી મગફળીની આ પ્રજાતિ ઓલિવ ઓઇલ કરતાં વધારે ગુણકારી હોવાથી અને ઓલિવ ઓઇલ કરતાં સસ્તુ હોવાથી દેશના લોકો માટે મગફળીનું તેલ જ યોગ્ય રહેશે અને લોકો તેને જ લેવાનું પસંદ કરશે. કારણ કે બજારમાં ઓલિવ ઓઇલની કીંમત એક લીટરની રૂપિયા 400 છે જ્યારે મગફળીનું તેલ લોકોને 110 રૂપિયે લિટર મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ