જલ્સા કરોને જેંતીલાલ

બાનો ગોખલો – એક દિકરો માતાને લઈને રહેવા આવ્યો નવા બંગલામાં પણ પછી…!!!!

લુઝ મટીરિયલની આછા રંગની સાડી, સફેદ – કાળા વાળમાં નાની અંબોડી, હાથમાં સતત રહેતી માળાને મોઢામાંથી હંમેશ નીકળતા “શ્રી કૃષ્ણ શરણમ મમઃ“ ના જાપ.. પદ્માવતીબાની આ રોજિંદી ક્રિયા અને હંમેશનો આ પહેરવેશ.


રાજકોટના ક્રીમ એરિયા એવા કાલાવાડ રોડ પર તેમના દીકરાનો પાંચ બેડરૂમ, હોલ-કિચનનો બંગલો હતો. પદ્માવતીબાના સંસ્કાર અને અનંતરાયની બુદ્ધિમતા દીકરા અનુજને વારસામાં મળી હતી અને તેનું જ પરિણામ હતું તેની ધંધામાં ઉતરોતર વધતી રહેલી પ્રગતિ. પહેલીવાર જ્યારે બાને બંગલો બન્યા પછી તે બતાવવા લઇ ગયો ત્યારે પદ્માવતીબાએ કહેલું, “જીવતો રે મારા વહાલા. આ ડિઝાયનું તો હારી બનાયવી છે. પણ આ મારા ઓરડાને કેમ આવો સાદો રાયખો છે..?!”

દીકરા અનુજે ત્યારે કહેલું, “અરે બા એ તો તમને બાપુજીનીને ગામની યાદ ના આવેને એટલે. સાવ સાદો પલંગ અને કબાટ પણ લોખંડનો જ રાખ્યો છે એટલે તમને કબાટ ખોલતા જે કીચુડ કીચુડ અવાજ આવે એની આદત પડી ગઈ છે ને એ ભુલાઈ ના જાય…!” “પણ દીકરા તારા આવા ફાઈઇસ્ટાર હોટલ જેવા ઘર હારે આ કેવું લાગ્સે હાવ..!” “અરે બા, કંઈ વાંધો નહિ..”


અનુજે આખા ઘરને ડિઝાયનર બનાવવા માટે પચાસ લાખ રૂપિયા વાપર્યા હતા.. બાનો ઓરડો બનાવવા માટે જો બીજા બે-ચાર લાખ ખર્ચાઈ જાત તો એમાં તેનેવાંધો ના આવત.. આ તો બાની સગવડતા અને આત્મીયતા માટે તેણે આ રીતે તેમને ગમે એવો ઓરડો બનાવ્યો હતો… તેવું તે હંમેશ કહેતો..!

પદ્માવતીબા આખો દિવસ ઓરડાના એક ખૂણામાં બેસીને પોતાનું કામ કર્યે રાખત. સતત મોઢું હલાવવાની સાથે સાથે તેમના હાથમાંની માળાના મણકા પણ ફેરવાતા રહેતા.. ઘરે ક્યારેક કોઈ મહેમાન આવે તો એમ કહે કે, “આ પદ્માવતીબાનો ગોખલો લાગે છે..”

કારણકે બા પોતાના ઓરડા સિવાય બીજે ક્યાંય ના જતા.. આવડા મોટા પંદરસોવારના બંગલામાં બાએ પોતાના દીકરાનો રુમ સુધ્ધાં નોહ્તો જોયો…! બા દાદરાચઢી ના શકે એટલે અનુજે ઘરમાં લિફ્ટ બનાવી હતી. પરંતુ રહેવા આવ્યા ના છ મહિના બાદ પણ પદ્માવતીબા પોતાના એ ગોખલા સિવાય બીજે ક્યાંય ના જતાં.

હવે તો આખા ઘર ઉપરાંત કુટુંબમાં પણ પ્રખ્યાત થઇ ગયેલું કે પદ્માવતીબા એના ગોખલા સિવાય ક્યાંય જતાં જ નથી. એમને મળવું હોય તો એમના ગોખલામાં જવાનું અને ક્યાંક પ્રસંગમાં આવવાનું આમંત્રણ આપવું હોય તો તેમના આશીર્વાદ લઇ આવવાના. કારણકે એ ગોખલા સિવાય બીજે ક્યાંય નીકળતા નથી.


અનુજની પત્ની આશિરા બાને સમજાવવાના ઘણા પ્રયત્નો કરતી… તેમના પૌત્રઅને પૌત્રી પણ બા પાસે આવીને બેસતા અને કહેતા કે, “અમારો રૂમ તો જોવા આવોબા..!” પણ બા ક્યાંય ના જતાં… ત્યાં સુધી કે ઘરમાં દીકરાએ ઈમ્પોર્ટેડ ટાઇલ્સ વડે બનાવેલું મંદિર પણ તેમણે જોયું નહોતું. ભગવાનની પૂજા તેઓ પોતાની જાતેજ કરી લેતાં. આજુબાજુના નાના છોકરાઓ બાને મળવા તેમના આ ગોખલામાં આવતાં. પદ્માવતીબા તેમને મજાની વાર્તાઓ કહેતા. રાજા-રાણીથી લઈને દાદા-દાદીના જમાના સુધીની અનેકવિધ વાતો પદ્માવતીબા પાસેથી સાંભળવા મળતી. તેમના પોતાના દીકરા-વહુ અને પૌત્ર પૌત્રી કદાચ આ બધાથી વંચિત રહી જતાં.


પદ્માવતીબાને કોઈ જ પ્રકારની ફરિયાદ નહોતી કોઈનાથીયે… આશિરાએ નોકરોને કહી રાખેલું કે પદ્માવતીબાને રોજ બપોરે કઢી-ખીચડી ને રાતના દૂધ-ભાખરી પીરસી દેવાના. દીકરા-વહુ ક્યાંકને ક્યાંક બહાર હોય.. સાથે બેસીને જમવાનું તો ક્યારેય શક્ય જ ના બનતું. અને આમ પણ બાને ભાવે એવું જમવાનું થોડી અનુજ આશિરા કે તેમના છોકરાઓને ભાવે. બા તો કઢી-ખીચડી ને દૂધ ભાખરી જ ખાય એવી તેમની માન્યતા…

આમનેઆમ એક વર્ષ વીતી ગયું..! તે દિવસે પદ્માવતીબા હજુ સુધી જાગ્યા નહોતાં. બપોરના બાર વાગી ગયેલા છતાંય તે સૂતાં જ હતાં… સદનસીબે તે દિવસે આશિરા ઘરે હતી તેથી તેને નવાઈ લાગતા તે બાને જગાડવા ગઈ… જુનવાણી શૈલીના એ ખાટલા જેવા પલંગની એક ધાર પર સાવ છેડે પદ્માવતીબા સુતેલા હતા. ટૂંટિયુંવાળીને સુતેલા પદ્માવતીબાની નજીક આશિરા ગઈ અને તેમને જરા ઢંઢોળ્યા. પરંતુ તે નીચે ઢળી પડ્યા… આશિરાના મોઢામાંથી રાડ નીકળી ગઈ. એ ચીસ સાંભળીને જાણે બાનો ગોખલોય હચમચી ગયો હોય તેમ એક મિનિટમાં તો ભેંકારદિસવા લાગ્યો..


પદ્માવતીબાએ ઊંઘમાં જ પ્રાણપંખેરું છોડી દીધું હતું અનેઅનંતની વાટે ચાલી નીકળ્યા હતા. પછી તો સઘળી વિધિ થઇ અને અનુજે પોતાના બાની પાછળ નાત આખીજમાડી… બધે તેના નામનો ડંકો વાગી ગયો. સોળમા દિવસે જ વરસી વળાવીને અનુજ બાના ઓરડામાં, બાના એ ગોખલામાં ગયો..

આ ઘરમાં રહેવા આવ્યા બાદ તે ભાગ્યે જ ત્યાં ગયો હશે. મોટેભાગે પોતાના ધંધામાં વ્યસ્ત રહેતો અનુજ ક્યારેય મા માટે સમય ફાળવી જ ના શકતો. પિતાજી પાંચ વર્ષ પહેલા જયારે મૃત્યુ પામ્યા ત્યારે પોતે એક બેડરૂમના ફ્લેટમાં રહેતો હતો. પાંચ વર્ષમાં પ્રગતિ મેળવી તે આજે આ બંગલાનો માલિક બન્યો હતો. કુટુંબમાં ને બધે તે એમ જ કહે કે આ તો બધું બાના આશીર્વાદના પ્રતાપે છે…!


બહાર બાને જશ આપતો અનુજ ક્યાંક ઘરમાં બાને પોતાને જ જશ આપવાથી ચૂકી ગયો હતો. તે બાના પલંગ પાસે ગયો. એ પલંગ નજીક એક ટિપાઈ હતી. તેની ઉપર બાની માળા, પિતાજીની છવિ અને કાનુડાની મૂર્તિ બિરાજમાન હતા. તેની નજર અચાનક એક ડાયરી પર પડી. તે હાથમાં લઇ તેણે જોયું તો બાના અક્ષરો હતા તેમાં.. આઠ ચોપડી ભણેલી બાના અક્ષર મોતીના દાણા જેવા થતા જે હંમેશા અનુજને આકર્ષિત કરતા. બાએ પિતાજીને સંબોધીને તેમાં કંઈક લખ્યું હતું.


“એ સાંભળો છો અનુજના બાપા… દીકરો બવ મોટો સાયેબ થઇ ગીયો છે. મોટો બંગલોય બનાઇવો છે. મારો અલાયદો ઓરડોય છે હો કે.. પણ એમાં બધુંય આમજૂનું જૂનું જ છે…! મને એમ કે એના ફાઈઇસ્ટાર ઘરમાં મારો ઓરડોય ઇવો જઅસે.. પણ હસે એને એની માને ઈ જૂનું જ બધુંય આલવું સે તો એની ખુસીમાં મારી ખુસી..!” આ વાંચીને અનુજ હચમચી ગયો.. બાની માળાનો મણકો છૂટો પડીને જમીન પરપડી ગતો હતો ને દડદડ અવાજ કરતા તેના પગ પાસે આવી ગયો. પાનું ફેરવતા તેને કંઈક બીજું વાંચવા મળ્યું…


“અનુજના બાપા.. આ આખી જિંદગી ખીચડી ને ભાખરી જ ખાધા સે… મને ઇમ કે આંહીં તો વહુ નવું નવું ખવડાવસે.. ઓલી ચીનીમાં આવે એવી નવીન સાસુ બનીને રઈશ હું તો… પણ આ જો જુનવાણી બાને જમાના પ્રમાણે હાલવા ના દયે ને પછી કે અમારા વડીલને બધું નવું નવું ના ફાવે..! તો તમને ગમે એમ રહીયે અમે તો દીકરા.. જો ને આ ગોખલો હવે મને ગોઠી ગ્યો સે. હું ને મારો ગોખલો.. મેં તો દીકરાનું ઘર જોયુંયે નથી આખું… રખેને એને જુનવાણી વડીલના પગલાં ના ગમે તો..!”


બાની ડાયરીમાં લખેલી આ વાતો વાંચી અનુજ રડી પડ્યો. ધ્યાનથી તેણે તે ઓરડામાં જોયું. ક્યાંક ક્યાંક બાની વઢ તો વળી ક્યાંક તેમણે ભરેલા હીબકા સંભળાતા હતા. તેમની માળા ને તેમની નેતરની ખુરશી તેમના જુનવાણી હોવાની ચાડી ખાતી હતી. કદાચ પોતે જ ક્યાંક ચુકી ગયો હતો “બાને અને તેમના ગોખલાને” સમજવામાં…!”

લેખક : આયુષી સેલાણી

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version