શું તમારું બાળક ચિડિયું છે ? તમે તેના આ સ્વભાવથી ચિંતિત છો ? તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, બાળકમાં રહેલું ચિટિડિયાપણું આ રીતે કરો દૂર ! રાખો આ બાબતોનું ખાસ ધ્યાન
આપણે હંમેશા જ્યારે નાના બાળકોને જોતાં હોઈએ છે ત્યારે તેમના સ્વભાવની નોંધ લેતા હોઈએ છે. કેટલાક બાળકો એટલા શાંત હોય છે કે તેઓ પોતે જે પ્રવૃત્તિઓ કરી રહ્યા હોય તેમાં જ રચ્યા પચ્યા રહે છે. જ્યારે કેટલાક બાળકો અત્યંત ચંચળ હોય છે. આવા બાળકો એક જ પ્રવૃત્તિ પર ટકી નથી રહેતાં. દા.ત. તેઓ એક જ રમકડું વધારે લાંબો સમય સુધી ન રમતા હોય થોડીવાર બોલ રમે તો થોડીવાર ગાડી રમે તો વળી થોડીવાર બહાર રમવા જતું રહે. તો વળી કેટલાક બાળકો સતત ચિડાતા રહેતાં હોય. તેમને કંઈ કહી ન શકાય, તેમની પાસેથી તેમનું રમકડું ન લઈ શકાય. ટુંકમાં તેમની પાસે કોઈ આગ્રહ કરવામાં આવે તો તે તરત જ ચીડાઈ જાય છે. અને તેના કારણે બાળક સતત રડતું રહેતું હોય છે.
આ કોઈ અસામાન્ય સ્થિતિ નથી પણ બાળકના આવા સ્વભાવના કારણે તેના સ્વાસ્થ્ય તેમજ મગજ પર તેની અસર થાય છે. કારણ કે તેઓ પોતાના સ્વભાવના કારણે પુરતો ખોરાક પણ નથી લઈ શકતાં અને આમ તેમને પુરતું પોષણ પણ નથી મળી શકતું. આવા સંજોગોમાં ઘણા માતાપિતા ધીરજ નથી રાખી શકતાં અને તેમને ડરાવી ધમકાવીને અને ક્યારેક ક્યારેક તો મેથીપાક ચખાડીને જ વાતનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરે છે. જે યોગ્ય નથી. તો શું કરવું ? તો ચિંતા ન કરવી પણ નીચે જણાવેલા ઉપાયો અજમાવવા.
સૌ પ્રથમ તો બાળકો પર હાથ ન ઉઠાવવો
બાળકો તો નાનકડા ફુલછોડ જેવા હોય છે તેમની સાથે પ્રેમથી જ વર્તવાનું હોય છે. એક તો તેઓ પહેલેથી જ ગુસ્સાવાળા હોય છે અને તેના કારણે ચિડિયા પણ હોય છે અને તેની આ ચિડ દૂર કરવા માટે જો તમે મારવા-પીટવાનો સહારો લો તો તેમની આ આદતને તમે દૂર નહીં કરો પણ તેને ઓર વધારે તીવ્ર બનાવશો. બાળક સાથે માર-પીટવાળુ વર્તન કરવાથી તે એક તો તમારાથી ડરી જશે. બીજું એવુ પણ થઈ શકે કે તેને તમારા માટે એક ઉંડો અણગમો બેસી જાય. અને બની શકે કે તે તમારી સાથે દીલખોલીને વાત ન કરે.
પણ આવું કરવાની જગ્યાએ તેની સાથે પ્રેમથી વર્તવું. તેનુ આવું વર્તન વધારે લાંબો સમય નહી રહે તેની સાથે ધીરજથી વર્તવાથી તે તમારી વાત સમજશે અને ધીમે ધીમે તમારી વાતો માનતું પણ થશે. અને આ રીતે તમે તમારા બાળકની નજીક આવશો. પણ મારવાથી તો તમે તમારા બાળકને રુક્ષ બનાવી શકો છો તે પોતાનો ગુસ્સો અંદર દબાવી રાખવા મજબૂર બની જશે અને તેની માઠી અસર તેના ભવિષ્ય પર પડશે. માટે તેમની સાથે પ્રેમભર્યું વર્તન જ કરવું.
બાળકોને ક્યારેય ભુખ્યા ન રહેવા દો
ઘણા બાળકો વધારે સમય ભુખ્યા નથી રહી શકતાં. અરે બાળકો શું પણ મોટાઓ પણ જો વધારે સમય ભુખ્યા રહે અથવા તો તેમને તેમના યોગ્ય સમયે ભોજન પીરસવામાં ન આવે તો તેઓ પણ ચિડિયા થઈ જાય છે. જ્યારે બાળકોને તો સતત એનર્જીની જરૂર પડતી રહેતી હોય અને જ્યારે જ્યારે શરીરમાં એનર્જીની ખોટ વર્તાય એટલે કે તેમને ભુખ લાગે અને તેમનું પેટ ન ભરવામાં આવે તો તેઓ ચિડિયા બની જાય છે. માટે બાળકોને યોગ્ય સમયે સ્વસ્થ સંપુર્ણ પોષકતત્ત્વોથી ભરપુર ભોજન ખવડાવો. તેનાથી તેમનુ શરીર સ્વસ્થ બનશે અને શરીરની સાથે સાથે મન પણ સ્વસ્થ બનશે.
બાળકોને હંમેશા સ્વસ્થ-શારિરિક કે પછી સર્જનાત્મક પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરો
જો તમારા બાળકોને ખુબ ગુસ્સો આવતો હોય, વાતે વાતે તેમને ચીડ ચડતી હોય તે છણકા કરતું હોય તો તેને હંમેશા શારીરિક પ્રવૃત્તિઓ જેમકે બહાર ગાર્ડનમાં રમવું, દોડવું વિગેરેમાં વ્યસ્ત રાખો. આ ઉપરાંત તમે તેનું ધ્યાન સ્વસ્થ પ્રવૃત્તિઓ તરફ જેમ કે ડાન્સ ક્લાસ, કે પછી આર્ટક્લાસ કે પછી કોઈ સ્પોર્ટ ક્લાસ કરાવીને પણ ડાયવર્ટ કરી શકો છો. આમ કરવાથી તેનો આત્મવિશ્વાસ વધશે લોકોની વચ્ચે મુકાતું થશે એટલે પોતાના સાચા-ખોટા હોવાની પણ તેનામાં સેન્સ વિકસશે. તેઓ પોતાની જાતને સારી રીતે અભિવ્યક્ત કરતાં શીખશે તેમની સમજણશક્તિ પણ વિકસશે અને તેઓ શાંત બનશે.
બાળકોનું બીજાની સામે ક્યારેય અપમાન ન કરવું
જેમ મોટાઓને સમ્માન હોય છે તેવી જ રીતે બાળકોનું પણ આત્મસમ્માન હોય છે. જ્યારે જ્યારે બાળકો કંઈ ભુલ કરે ત્યારે ત્યારે માતાપિતા જગ્યા-સમય કે સંજોગોનો વિચાર કર્યા વગર તેને ત્યાંને ત્યાં જ ધમકાવી મુકતા હોય છે. બાળકોમાં આત્મસમ્માનની લાગણી ત્રણથી ચાર વર્ષની ઉંમરમાં વિકસી ગઈ હોય છે. માટે બીજાઓની સામે તેમને ધમકાવવાથી કે મારવાથી તેમના સમ્માનને પણ ઠેસ પહોંચે છે. આમ કરવાથી બાળકો ચિડિયા પણ બને છે અને તેમનો પોતાનામાં રહેલો આત્મવિશ્વાસ પણ નબળો પડે છે જેની ભવિષ્યમાં તેમને અત્યંત જરૂર હોય છે. માટે હંમેશા બાળકોમાં આત્મવિશ્વાસ કેળવવાનો પ્રયાસ કરો પણ આત્મવિશ્વાસને મારવાની ભૂલ ક્યારેય અજાણતા પણ ન કરવી.
હોર્મોન્સમાં ઇનબેલેન્સ ઉભું થવાથી પણ બાળકો ચિડિયા બની શકે છે
આ સમસ્યા સામાન્ય રીતે નાના બાળકો નહીં પણ ટીનએજર્સમાં વધારે જોવા મળે છે. કારણ કે તે સમયે એટલે કે 13 વર્ષથી 18 વર્ષની ઉંમરના સમયગાળામાં તેમના શરીરમાંના હોર્મોન્સ પરિવર્તન પામે છે અને તેના કારણે તેમનો સ્વભાવ ચિડિયો બની જાય છે. જે ધીમે ધીમે સુધરી જાય છે.
બાળકોની ટીનએજમાં માતાપિતાએ તેમનું સૌથી વધારે ધ્યાન રાખવાનું હોય છે ખાસ કરીને તેમનું માનસિક ધ્યાન વધારે રાખવાનું હોય છે. તે સમયે માતાપિતા તરીકે નહીં પણ મિત્ર તરીકે બાળક સાથે વર્તવાનું હોય છે. બીજી બાજુ મોબાઈલ, ટીવી, કમ્પ્યુટર્સ, તેમજ ભણતરના ભારના કારણે બાળકોની ઘરની બહારની પ્રવૃત્તિઓ સાવ જ નહીંવત થઈ ગઈ છે. આ રીતે તેઓ શારીરિક શ્રમ પણ નથી કરી શકતાં. પણ ખોરાક પુરતો ખાય છે અને તે ભેગી કરેલી એર્જીને છોડવાનો તેમને અવસર નથી મળતો માટે તેવી બાબતોનું પણ તમારે ધ્યાન રાખવાનું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ