જિંદગીને હળવાશથી ખુશી-ખુશી પસાર કરવી હોય તો બાળકોની આ આદતો અપનાવો, બાળકો પાસેથી શીખો કે ખુશી-ખુશી જીવન કેવી રીતે પસાર કરવું !
આપણે મોટાઓ હંમેશા આપણા બાળકોને, નાના ભાઈ બહેનોને કે ભત્રીજા-ભત્રીજી કે પછી ભાણીયા-ભાણીઓને કેમ રહેવું કેમ નહીં, કેવી આદત સારી અને કેવી આદત ખરાબ, કેમ ખાવું કેમ ન ખાવું, શું ખાવું શું ન ખાવું, શું બોલવું શું ન બોલવું, મોટાઓ સાથે કેવો વ્યવહારો કરવો, કેવી રીતે લખવું, કેવી રીતે વાંચવુ, કેવી રીતે બેસવું વિગેરે શિખવતા હોઈએ છીએ પણ જિંદગીની મૂળ અને ગુઢ વાત તો આપણે બાળકો પાસેથી શીખવા જેવી છે.
તો ચાલો જાણીએ બાળકો પાસેથી જીવન જીવવાની જડીબુટ્ટી જેવા ગુણો. આ ગુણો અપનાવીને તમે તમારું સમગ્ર જીવન માનસિક તાણ રહીત પ્રસન્નચિત્તે સંપુર્ણ હકારાત્મકતાથી પસાર કરી શકો છો અને તે દ્વારા તમારી આસપાસનું વાતાવરણ હકારાત્મક બનાવીને આસપાસના લોકોને પણ પોઝિટીવ એનર્જીથી ભરી શકો છો.
બિનંદાસ સ્વભાવ – નિશ્ચિંત રહેવું
નાના બાળકોને ક્યારેય પોતાની આવનારી ક્ષણોની ચિંતા નથી રહેતી કે વિતેલા ભુતકાળનો વસવસો નથી રહેતો. તેઓ હંમેશા વર્તમાનમાં જ જીવે છે અને માટે જ તેઓ હંમેશા ખુશ રહે છે અને માટે જ તેઓ સ્વસ્થ પણ રહે છે. જ્યારે મોટાઓ પોતાના દ્રષ્ટિકોણનો વિચાર પછી કરે છે પહેલાં બીજાઓનો દ્રષ્ટિકોણ વિચારે છે અને માટે જ તેઓ કેટલાક કામ પોતાની ઇચ્છાઓ મારીને કરે છે અને દુઃખી રહે છે. તમે જોયું હશે કે બાળકો પોતાના ખોરાક પ્રત્યે ઘણા અનિયમિત હોય છે તેમ છતાં તેઓ પ્રસન્ન હોવાથી હરહંમેશ સ્વસ્થ રહે છે. પણ તેથી વિપરીત મોટાઓ નિયમિત ખોરાક લેતા હોય છે પણ પ્રસન્ન નહીં રહેવાના કારણે અસ્વસ્થ પણ રહે છે.
વર્તમાનમાં જીવવું
બાળકો હંમેશા વર્તમાનમાં જ જીવતા હોય છે તેઓ જે ક્ષણમાં જીવી રહ્યા હોય છે તેને સંપુર્ણ સભાનતાથી અને પુરી રીતે જીવતા હોય છે. જ્યારે મોટાઓને હંમેશા કાલની ચિંતા હોય છે. અને ભૂતકાળનું દુઃખ સતાવ્યા કરે છે. વાસ્તવમાં તેઓ જીવનની આ અતિ મહત્ત્વની ક્ષણને જીવવાનું જ ચુકી જાય છે. અને જ્યારે ક્ષણ પસાર થઈ જાય છે ત્યારે તેના માટે માથુ કુટે છે. માણસ એ ભુલી જાય છે કે તે કશું જ નથી કરતો જે કરે છે તે કુદરત જ કરે છે. માટે જ બાળકો પાસેથી હંમેશા વર્તમાનમાં જીવવાના આ અનમોલ ગુણને અપનાવવો જોઈએ.
તમારા મનમાં હોય તે કરવું
નાના બાળકો હંમેશા પોતાને ગમે તે જ કરતાં હોય છે. એ વાતમાં કોઈ જ બે મત નથી કે મોટાઓ તે પ્રમાણે નથી કરી શકતાં પણ ઘણા અંશે તમે નાના બાળકોની આ ટેવ જો અન્યોને નુકસાન ન પહોંચતી હોય તો અપનાવી શકો છો. તમારી મજબૂરી હોય ત્યાં સુધી વાત ઠીક છે પણ તેમ છતાં તેઓની એટલે કે મોટાઓની એક સમસ્યા હોય છે કે તેઓ ક્યારેય કોઈ કામ મરજીથી કે રાજી-ખુશીથી નથી કરતાં અને તે જ કારણસર તેઓ પોતાના તે કામને પોતાનું 100% નથી આપી શકતાં. જ્યારે બાળકો પોતાની રીતે પોતાની મરજીની વસ્તુઓ કરે છે માટે તેઓ હંમેશા પ્રસન્ન રહે છે અને તેઓ તેને એક અલગ દ્રષ્ટિકોણથી પણ વિચારતા હોય છે. મોટાઓએ પણ નાનાઓ પાસેથી આ બાબત શીખવા જેવી છે.
જીવનની એક-એક ક્ષણ ઉત્સાહપુર્વક જીવવી
બાળકોમાં હંમેશા નવી બાબતો માટે એક અનોખુ કુતુહલ હોય છે એક જાતની ચમક તેમની આંખોમાં હોય છે જ્યારે તેઓ કંઈક નવીન જુએ છે ત્યારે અને તેને ઓર વધારે જાણવાનો તેમનામાં અનેરો ઉત્સાહ હોય છે. અને જ્યાં સુધી તેમને તે બાબતમાંથી પુરતો સંતોષ નથી મળતો ત્યા સુધી તે તેનો પીછો નથી છોડતા. બીજી બાજુ મોટાઓ નવી બાબતો પ્રત્યે મોટે ભાગે નિરાશ વલણ ધરાવતા હોય છે તેની પાછળ તેમના પુર્વગ્રહોનો સૌથી વધારે ફાળો હોય છે. તે બધા જ વિચારો પોતાના પુર્વગ્રહના અનુસંધાનમાં કરે છે. પણ જો તમે બાળકોની જેમ પુર્ણ ઉત્સાહથી જીવન જીવશો તો તમે જીવનની મોટાભાગની મુશ્કેલીઓનો ખુબ જ સરળતાથી સામનો કરી શકશો.
ખુશખુશાલ રહેવું
તમે જોશો કોઈ ફુટપાથનું બાળક કે પછી કોઈ ગાડીમાં ફરતું બાળક તેમના ચહેરા પરના હાસ્યને તમે તોલી નહીં શકો. તે એકસમાન જ લાગશે. કારણ કે બાળકો કોઈ પણ સંજોગોમાં ખુશ જ રહે છે. તેમને ખુશ રહેવા માટે કોઈ જ ખાસ પ્રસંગ કે વસ્તુ કે કોઈ પણ કારણની જરૂર નથી પડતી. તેમને તો નાનકડી રમતમાં પણ ખુશી મળી જાય છે. જ્યારે મોટાઓ માટે અગણિત ખુશીના કારણ હોઈ શકે પણ એક દુઃખનું કારણ તેમની બધી જ ખુશીઓ ભુલાવી દે છે. મોટાઓને બધું એક સાથે જોઈએ છે તે વાસ્તવમાં શક્ય નથી. અને માટે જ તેઓ તે ખુશીને તે જ ક્ષણે માણી નથી શકતા.
પ્રામાણિકતા
પ્રામાણિકતા આ શબ્દ વાસ્તવિક જીવનમાં ઘણા ઓછા લોકો માટે અર્થપુર્ણ રહ્યો છે. કારણકે આજકાલ પ્રામાણિકતા જવલ્લે જ ક્યાંક જોવા મળે છે. પણ બાળકો હંમેશા પ્રામાણિક રહે છે. તેમના અભિપ્રાયો હંમેશા સ્પષ્ટ રહે છે તેઓ સત્ય કહેતાં ક્યારેય ખચકાતા નથી તેઓ મનમાં હોય તે કહી દે છે. જમવાનું સારું બન્યું હોય તો સારું કહે ન ગમે તો ના કહે, તેઓ ગમો અણગમો કોઈ પણ જાતના વિચાર વગર દર્શાવી દે છે. તેમનામાં કોઈ પણ જાતનો દંભ નથી હોતો. જ્યારે મોટાઓ અગણિત બાબતોનો વિચાર કરે છે અને તેના કારણે ડગલેને પગલે અસત્ય બોલે છે. પણ જો લોકોના ખોટા લાગવા ન લાગવાનાને પાછળ છોડીને પ્રામાણિક રીતે જીવવામાં આવશે તો તમારી અરધી તકલીફો દૂર થઈ જશે. તમારા મન પરનો બોજો પણ હળવો થશે. તમારે કોઈને ક્યારેય ખોટી સ્પષ્ટતા પણ નહીં આપવી પડે.
માણસ હંમેશા લાંબુ જીવન જીવવા માગે છે પણ તેઓ એ વિષે નથી વિચારતાં કે તેઓ જીવન ભણે લાંબુ જીવે પણ ભરપુર જીવે. તમારી સામે ઘણી એવી વ્યક્તિના ઉદાહરણ હશે જેઓ 80-90 વર્ષનું જીવન જીવતા હોય છે પણ પાછળ કંઈ જ છોડીને નથી જતાં અહીં તેમની સંપત્તિની વાત નથી કરવામાં આવતી પણ અહીં તેમના દ્વારા મળતી શીખની વાત થઈ રહી છે જ્યારે ઘણા લોકો ટુંકા જીવનમાં પણ લોકો પર એક ક્યારેય ન ભૂસાય તેવી છાપ છોડીને જાય છે. જો તમને યાદ હોય તો ફિલ્મ આનંદમાં રાજેશ ખન્નાનો એક ડાયલોગ હતો કે, ‘બાબુ મોશાય, જીંદગી લંબી નહીં બડી હોની ચાહીએ !’ બસ તો આજથી જ લાંબા જીવનની મહેચ્છા રાખ્યા વગર ભરપુર જીવનનો ઉત્સાહ રાખો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ