એન એપલ અ ડે કીપ્સ અ ડોકટર અવે
આપણે સૌએ આ કહેવત તો સાંભળી જ છે કે જે દિવસમાં એક સફરજન નો ઉપયોગ કરે છે એનાથી ડોક્ટરો જોજનો દૂર રહે છે.સફરજન એક અતિ ગુણકારી ફળ છે. દુનિયાના ઘણા દેશોમાં સફરજનનું ઉત્પાદન થાય છે. ખાસ કરીને ઠંડા અને ઉચ્ચાર વાળા પ્રદેશ સફરજનના પાક માટે વધુ અનુકૂળ છે.ભારતમાં કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાંચલ અને સિક્કિમ જેવા પ્રદેશમાં વધુ માત્રામાં સફરજનની ખેતી કરવામાં આવે છે.
સફરજનમાં કાર્બોહાઈડ્રેટ, તેમજ શુગર અને ફાઈબર ઉપરાંત વિટામીન એ, થાયમિન ,રીબોફલેવીન ,નાયસીન, પેન્ટોથેનીક એસીડ, વિટામીન બી ,ફોલિક ,વિટામીન સી તેમજ કેલ્શિયમ ,આયર્ન ,મેગ્નેશિયમ ,ફોસ્ફરસ ,પોટેશિયમ અને કોપર જેવા મિનરલ્સ યોગ્ય માત્રામાં મળી રહે છે.સફરજન શરીર માટે જરૂરી પોષક તત્ત્વો ધરાવતા હોવાથી તે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. તેને કારણે રોજના આહારમાં સફરજનને સામેલ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે ,અને એટલે જ કહેવામાં આવે છે કે જે રોજ એક સફરજન ખાય તે નીરોગી જીવન જીવી શકે છે.
સફરજન માંથી વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે.માત્ર ફળાહાર તરીકે જ નહીં પરંતુ સફરજનમાથી જામ ,ચટણી જ્યુસ ,મુરબ્બો જેવી વિવિધ વાનગી બનાવી તેને ઉપયોગમાં લઇ શકાય છે. સફરજન એન્ટિઓક્સિડન્ટ તત્વો ધરાવે છે અને તે શરીરને ફેફસાના કેન્સર, બ્રેઈન સ્ટોક જેવા જોખમી રોગની સામે રક્ષણ પૂરું પાડે છે. શા માટે સફરજન નો ઉપયોગ રોજ કરવો જોઈએ તે વિશે થોડી મહત્વની વાતો જાણો.
સફરજન યાદશક્તિમાં વધારો કરે છે.
અમેરિકાની મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટીએ કરેલા સંશોધન મુજબ નિયમિત પણે સફરજનનો જ્યુસ પીવામાં આવે તો યાદ શક્તિ વધુ પાવરફુલ બને છે. સફરજનનો જ્યુસ શરીરમાં એસિટી૯કોલાઇનની માત્રામાં વધારો કરે છે, જે મગજના ન્યુરોટ્રાન્સમીટર તરીકે કામ કરે છે.
અલ્ઝાઇમરમાં રાહતરૂપ
અલ્ઝાઇમરના દર્દી માટે પણ સફરજન વિશેષ ઉપયોગી છે.અલ્જાઈમરનાં દર્દીને ઓક્સિડેટીવ સ્ટ્રેસને કારણે મગજના કોષો નાશ પામે છે.સફરજન, કેળા અને નારંગી જેવા ફળમાં રહેલા ફીનોલિક ફીટોકેમિકલ્સ શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ તત્વો છે ,જે અલ્ઝાઇમર ના દર્દીનો સ્ટ્રેસ ઓછો કરે છે .અને તેને કારણે નાશ પામતા કોષને પ્રમાણમાં ઘટાડે છે, અટકાવે પણ છે.સંશોધકોના મત મુજબ અન્ય ફળ કરતા સફરજનમાં ન્યૂરોટોક્સિસીટીની માત્રામાં ઘટાડો કરવાની વિશેષ શક્તિ રહેલી છે.
સફરજન ડાયાબિટીસના જોખમમાં પણ ઘટાડો કરે છે.
બ્રિટિશ મેડિકલ જર્નલના અહેવાલ મુજબ સફરજન ડાયાબિટીસના જોખમમાં પણ ઘટાડો કરે છે.યુકે , યુએસ અને સિંગાપુરમાં એક લાખ ૮૭ હજાર ત્રણસો 82 લોકો પર થયેલા પરીક્ષણો દરમિયાન નીકળેલા તારણ મુજબ નિયમિતપણે સફરજનનું સેવન કરનારા લોકોમાં ડાયાબીટીસની માત્રા ઓછી જોવા મળી હતી.
ફેફસાના કેન્સર સામે પણ સફરજન રક્ષણ પૂરું પાડે છે.પેરાગ્વે અને ઈટાલીમાં તાજેતરમાં સફરજન વિશે થયેલા ખાસ સંશોધન દરમિયાન નિષ્ણાતોએ આપેલા મત મુજબ સફરજનમાં રહેલા પોષક તત્વો ફેફસાંના કેન્સરનું જોખમ પણ ઘટાડે છે.સર્વે દરમિયાન પાર્ટિસિપન્ટ્સને બે ભાગમાં ડિવાઇડ કરવામાં આવ્યા હતા. જેમાં એક ભાગના લોકો માત્ર દવાઓના સહારે હતા.જ્યારે બીજા ભાગના લોકો દવાઓ સાથે સફરજનનું નિયમિત સેવન કરી રહ્યા હતા.સર્વેમાં નીકળેલા તારણ મુજબ સફરજન માત્ર ફેફસાના કેન્સર સામે જ નહીં પરંતુ સમગ્ર પાચનતંત્રની સિસ્ટમના કેન્સર સામે પણ રક્ષણાત્મક કવચ પૂરું પાડી શકે છે.
વજન ઓછું કરવામાં પણ સફરજન ઉપયોગી છે.સફરજનમાં રહેલા પોષક તત્વો ઉપરાંત તેમાં રહેલા રેશા ખોરાક પચાવવામાં મદદરૂપ છે. ઉપરાંત તે કોલેસ્ટ્રોલની માત્રામાં પણ ઘટાડો કરે છે.સફરજન ખાવાથી પેટ ભરાઈ જવાની ફીલિંગ અન્ય વજન વધારે તેવા ખોરાકથી દૂર રાખે છે.માટે ડાયેટિંગ કરનારા લોકોએ નિયમિત પણે તેમના આહારમાં સફરજનને સામેલ કરવું જોઈએ.
સફરજન ફાઇબરનો બહુ મોટો સ્ત્રોત છે.જે કોલેસ્ટ્રોલનું ગંઠન થતા રોકે છે. સફરજન મા રહેલા પોષક તત્વો શરીરની ધમનીઓને સારી રીતે કાર્યક્ષમ રાખે છે ,માટે સફરજન હૃદય માટે પણ ફાયદાકારક છે. જંક ફૂડ, વધારે પડતા મીઠા પદાર્થો અને તૈલીય ખોરાકને કારણે લીવર માં ઉત્પન્ન થતા ટોક્સિક તત્વોને પણ સફરજન દૂર કરે છે.
સફરજન માંથી નીકળતો રસ મોઢામાં ઉત્પન્ન થતાં બેક્ટેરિયાને મારે છે ,અને દાંતોને ઇન્ફેક્શનથી બચાવે છે.સફરજન દાંતને મજબૂત પણ કરે છે. સફરજન ભૂખવર્ધક અને લોહી વર્ધક પણ છે.તે રદય મગજ લીવર અને હોજરીને બળ પૂરું પાડે છે. મરડો ,સંગ્રહણી, અતિસાર અને આંતરડાના ચાંદા જેવા રોગમાં પણ સફરજન ફાયદાકારક છે.પાચનશક્તિ સુધારવામાં પણ સફરજન ઉપયોગી છે.
હવે તમે સફરજનના ફાયદા થી વાકેફ છો તો આજથી જ તમારા રોજના ખોરાકમાં સફરજન નો પણ સમાવેશ કરો. પરંતુ એટલું જરૂર યાદ રાખવું કે કોઈ પણ ફળ કે શાકભાજીને ખાતા પહેલા તેને વ્યવસ્થિત ચોખ્ખા પાણીથી ધોઈને ઉપયોગમાં લેવા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ