અળસી ખાવાના અનેક ફાયદા છે તો હવે જમ્યા પછી અળસીનો મુખવાસ જરૂર ખાવાનો શરુ કરી દેજો…

સાચું જ કહેવામાં આવે છે કે અળશી એ ગુણોની ખાણ છે, પણ એ વાત અલગ છે કે લોકો આ હકિકતથી અજાણ છે. શાકાહારી લોકો માટે તે ઓમેગા-3 ફેટી એસિડનો ખુબ જ સારો સ્રોત છે. તેમાં લગભગ 50 ટકા ઓમેગા-3 ફેટી એસિડ, આલ્ફા લિનોલિક એસિડના સ્વરૂપમાં હોય છે. આપણા શરીરની અંદર તે નથી બનતું, તેને આહારના માધ્યમથી જ મેળવવું પડે છે. જો તમે નિયમિત રીતે તેનું સેવન કરતા હોવ તો તમને તેની હકારાત્મક અસરો ચોક્કસ જોવા મળશે. અળશીમાં ઓમેગા-3 ની સાથે સાથે ફાયબર, પ્રોટીન, વિટામિન બી કોમ્પ્લેક્સ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને સેલેનિયમ અને ફાઇટોએસ્ટ્રેજન પણ હોય છે.

જો તમે તમારી જાતને નિરોગી અને તંદુરસ્ત રાખવા માગતા હોવ તો રોજ તેની ઓછામાં ઓછી બે ચમચી તો લેવી જ જોઈ. ચાલો જાણીએ અળસીના ફાયદાઓ વિષેઃ

100 ગ્રામ અળશી માં

534 કેલરીઝ

ફેટ 42 ગ્રામ

સેચ્યુરેટેડ ફેટ3.7 ગ્રામ

પોલિઅનસેચ્યુરેટેડ ફેટ 29 ગ્રામ

મોનોઅનસેચ્યુરેટેડ ફેટ 8 ગ્રામ

કોલેસ્ટેરોલ 0 મીલીગ્રામ

સોડિયમ 30 મીલીગ્રામ

પોટેશિયમ 813 મીલીગ્રામ

ટોટલ કાર્બોહાઇડ્રેટ 29 ગ્રામ

ડાયેટરી ફાયબર 27 ગ્રામ

શર્કરા 1.6 ગ્રામ

પ્રોટિન 18 ગ્રામ

વિટામિન એ 0 %

વિટામિન સી 1%

કેલ્શિયમ 25%

આયર્ન 31%

વિટામિન ડી 0%

વિટામિન બી-6 25%

વિટામિન બી-12 0%

મેગ્નેશિયમ 98%

વજન ઘટાડવામાં તેમજ વજનને મેઇન્ટેઇન કરવામાં મદદરૂપ

અળશીમાંના લિગ્નિન અને ઓમેગા-3 ચરબીને જમા થતા રોકે છે અને શરીરને ચુસ્ત બનાવે છે. જો તમારું કામ એવું હોય કે તમે ઉઠીને એક્સરસાઇઝ માટે પણ સમય ન કાઢી શકતા હોવ તો તેવામાં તમારે અળસીનું સેવન કરવું જોઈએ અને તેનો તમારી આદતોમાં સમાવેશ કરવો જોઈ. તેનાથી તમે તમારા વજનને અંકુશમાં રાખી શકો છો. જમ્યાના એક કલાક પહેલાં ડોઢ ચમચી અળશી સારી રીતે ચાવી ચાવીને ખાવી જોઈએ અને ત્યાર બાદ એક ગ્લાસ પાણી પી લેવું, અરધા કલાક બાદ ફરી એક ગ્લાસ પાણી પીવું. તેનાથી તમારું પેટ ભરેલું ભરેલું લાગશે અને તમે વધારે જમી શકશો નહીં.

પાચનમાં સુધારો કરે છે

જો તમને હંમેશા કબજિયાતની તકલીફ રહેતી હોય અને તમારી પાચનશક્તિ નબળી હોય તો ઉપર જણાવેલી વિધી પ્રમાણે અળશીનું સેવન કરવાથી તમારી પાચનશક્તિ સુધરે છે. પણ યાદ રાખો કે વધારે પાણી પીવાનું ન ભૂલો.

અસ્થમામાં અસરકારક

અળશીમાં અસ્થમામાં રાહત આપવાના ગુણ હોય છે. જો તમે અસ્થમાથી પિડિત હોવ તો તેના માટે અળસીના બીજને વાટી તેને પાણીમાં મિક્સ કરી દેવું, આ પાણીને 10 કલાક માટે તેમ જ રાખી મુકવું. આ પાણીનું દિવસમાં ત્રણ વાર નિયમિત સેવન કરવાથી અસ્થમાની તકલીફમાં રાહત મળે છે. તેની સાથે સાથે તમને આ પાણી પીવાથી ઉધરસમાં પણ રાહત મળશે.

મહિલાઓના હોર્મોન્સને મેનેજ કરે છે.

અળશીમાં રહેલા ફાઇટોએસ્ટ્રોજનના કારણે તે સ્ત્રીઓ માટે વિશેષ રીતે લાભકારક છે. સ્ત્રીઓમાં રજોનિવૃત્તિના સમયે થનારા હોર્મોનલ ફેરફાર અને તેના કારણે ઉભી થતી સમસ્યાઓ જેમ કે વધારે પડતી ગરમી (હોટ ફ્લેશીસ), અકળામણ, અનિયમિત રક્તસ્ત્રાવ, કમરનો દુઃખાવો, યોની શુષ્ક થઈ જવી, અને સાંધાના દુખાવામાં અળશી ખુબ જ લાભપ્રદ છે.

PCOS (પોલિસાઇટિક ઓવેરી સિમ્પટમ્પ્સ)થી છૂટકારો

જો તમને PCOSની સમસ્યા હોય અને તમારું માસિક નિયમિત ન હોય તો તેવામાં અળશીનું નિયમિત સેવન તમને આ સમસ્યાથી છૂટકારો અપાવી શકે છે.

સ્કીન અને હેયરને સ્વસ્થ, સુંદર અને ચમકદાર બનાવે છે

જો તમે ઇચ્છતા હોવ કે તમારા વાળ, ત્વચા સ્વસ્થ અને શાઇની રહે તો રોજ 1થી 2 ચમચી અળશીના સેવનને તમારું રૂટિન બનાવી લો. તેમાં મળી આવતા એન્ટીઓક્સિડેન્ટ ત્વચામાં કોલેજન પ્રોડક્શન અને નવા સેલ્સને બનાવવામાં પ્રોત્સાહન આપે છે જેનાથી ત્વચા પર ઉંમરની સાથે થતા પરિવર્તનો ઓછા દેખાય છે.

હાઇ કોલેસ્ટ્રોલને નીચું લાવે છે

અળશીમાં હાજર ફાયબર ચરબી અને કોલેસ્ટ્રોલને શરીર દ્વારા શોષાતા રોકે છે જે દ્વારા તે શરીરના કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં મદદ કરે છે. તેની સાથે સાથે અળશીના બીજ હાઈ બ્લડપ્રેશરમાં પણ લાભપ્રદ છે.

ડાયાબિટીઝ માટે અસરકારક

અળશીના બીજમાં સેલ્યૂલોસનું જ એક રૂપ લિગ્નિન પ્રચૂર પ્રમાણમાં હોય છે, જે બ્લડ શુગરને ઓછી કરવામાં ખુબ જ મદદરૂપ છે. માટે જો તમને ડાયાબિટીઝ હોય તો કોઈ પણ સ્વરૂપે રોજ 25 ગ્રામ અળશીનું સેવન ભૂલ્યા વગર કરવું જોઈએ. તમે ઇચ્છો તો આ પ્રમાણને તમે કેટલાક ભાગમાં વહેંચીને પણ લઈ શકો છો. અને પછી આખા દિવસમાં કોઈ પણ સમયે તેનું સેવન કરી શકો છો.

કેન્સર અટકાવવા માટે મદદરૂપ

શરીરમાં હાજર ટોક્સિંસ અને બગાડના કારણે કેન્સર થવાનું જોખમ હંમેશા તોળાયેલું રહે છે. માટે અળશીમાં હાજર લિગ્નિન શરીરમાં હાજર ટોક્સિંસ, બગાડ અને કોલેસ્ટ્રોલને એકસાથે મળ દ્વારા બહાર કાઢી નાખે છે અને તમને કેન્સરથી બચાવવામાં મદદરૂપ થાય છે. તેના સેવનથી પ્રોસ્ટેટ કેન્સર, કોલોન કેન્સર અ બ્રેસ્ટ કેન્સરથી બચી શકાય છે.

સાંધાના દુઃખાવાથી રાહત આપે

અળશી સાંધાની દરેક તકલીફોમાં અસરકારક છે. તેના નિયમિત સેવનથી લોહી પાતળુ બને છે, જેના કારણે પગમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થાય છે અને પીડા જેવી તકલીફો દૂર થાય છે. સાંધાના દુઃખાવામાં અળશીના પાઉડરને સરસિયાના તેલની સાથે ગરમ કર્યા બાદ તેને ઠંડુ પાડી સાંધા પર લગાવી દેવું, તેનાથી આરામ મળશે.

ચાલો હવે સંક્ષેપમાં અળશીના અન્ય ફાયદાઓ વિષે જાણીએઃ

– અળશીમાં હજાર ફાયબર પેટને સાફ રાખવામાં મદદ કરે છે.

– શરીરને ઉર્જા અને સ્ફૂર્તિ આપે છે અળશી.

– અળશીના બીજના તેલથી ચહેરો ચમકદાર બને છે.

– બળ્યા પર અળશીના તેલનું માલિશ કરવાથી તરત જ આરામ મળે છે.

– અળશીના સેવનથી માસિકના સમયે થતી તકલીફોમાં રાહત મળે છે.

– કફની તકલીફથી છૂટકારો અપાવે છે અળશી.

ધ્યાન રાખોઃ

– જો તમે પહેલેથી જ કોલેસ્ટ્રોલને ઘટાડવાની, ડાયાબિટીઝને અંકુશમાં રાખવાની, કે લોહીને પાતળુ બનાવવાની દવા લેતા હોવ તો અળશીનો ઉપયોગ કરતા પહેલાં તમારા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

– અળશીનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવું જરૂરી છે, તેનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી નુકસાન થઈ શકે છે.

– જો તમને પાઇલ્સની સમસ્યા હોય તો અળશીનું સેવન કરવું જોઈએ નહીં.

– અળશી ખાધા બાદ વધારેમાં વધારે પાણી પીવું.

– અળશીમાં વધારે પ્રમાણમાં ફાયબર હેવાથી, જો પાણીની કમી હશે તો પેટમાં ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ