જેમ અમેરિકા માટે 9/11 નો હૂમલો ક્યારેય ભુલાવી શકાય તેમ નથી તેવી જ રીતે ભારત પણ 26/11નો હૂમલો ક્યારેય ભૂલી શકે તેમ નથી. ભારતના મુંબઈ ખાતે આ હૂમલો 26 નવેમ્બર 2008. ના રોજ થયો હતો જેમાં 166 નિર્દોશ નાગરીકોના મોત થયા હતા અને 18 જવાનો શહીદ થયા હતા અને 300થી પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પાકિસ્તાનથી સમુદ્રમાર્ગે આવેલા લશ્કરે તોઈબાના દસ આતંકવાદીઓએ મુંબઈમાં આઠ જગ્યાએ હૂમલો કર્યો હતો જેમાં સીએસટી સ્ટેશન, મુંબઈ છાબડ હાઉસ, ધી ઓબેરોય ટ્રીડેન્ટ, ધી તાજ પેલેસ એન્ડ ટાવર, લિયોપોલ્ડ કાફે, કામા હોસ્પિટલ, ધી નરિમાન હાઉસ, ધી મેટ્રો સિનેમા,. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા બિલ્ડિંગની પાછળની ગલી અને સેંટ ઝેવિયર્સ કોલેજનો સમાવેશ થાય છે.
આ હુમલાથી ભારત તો હચમચી ગયું હતું પણ સમગ્ર વિશ્વ પણ ઘમરોળાઈ ગયું હતું. 29 નવેમ્બરે ભારતીય નેશનલ સીક્યુરીટી ગાર્ડે ઓપરેશન બ્લેક ટોર્નાર્ડો હાથ ધરીને સ્થિતિ કાબુમાં લઈ લીધી હતી અને હૂમલાનો અંત આણ્યો હતો.
અજમલ કસાબને જીવતો પકડનાર સબ ઇન્સ્પેક્ટર તુકારામ ઓમ્બલે
પોલિસના હાથમાં આતંકવાદી અજમલ કદસાબ આવી ગયો જેને 21 નવેમ્બર 2012ના રોજ ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો. પણ અનેક લોકોનો જીવ લેનાર આ ખુંખાર આતંકવાદીને પકડવો કંઈ સહેલો નહોતો. તેને પકડનાર હતા સબ ઇન્સ્પેક્ટર તુકારામ ઓંબલે. કસાબને જીવતો પકડવા માટે તુકારામે પોતાના જીવની પણ પરવાહ નહોતી કરી. માત્ર લાઠીના જોરે તેમણે કસાબને પકડી લીધો હતો.
તેમની પાસે માત્ર એક દંડો હતો અને કસાબ પાસે હતી એકે 47. પોલિસ અને આતંકવાદીઓ વચ્ચેના ગોળીબાર બાદ કસાબ મરવાનું નાટક કરી રહ્યો હતો ત્યારે તેની નજીક પહોંચી ઓંબલેએ તેની બંદૂકનું નાળચુ પકડી લીધું પણ કસાબના હાથમાં ટ્રીગર હતી અને તે ગોળિયો ચલાવતો રહ્યો. કસાબે તેમના શરીરમાં પાંચ-પાંચ ગોળીઓ ધરબી દીધી હતી તેમ છતાં તેમણે બંદૂકનું બેરલ છોડ્યું નહોતું. અને તેમના આ જ પ્રયાસના કારણે બાકીના પોલિવાળા કસાબને જીવતો પકડી શક્યા. અને ઓંબલે શહીદ થઈ ગયા !
તુકાસામ ઓંબલેને ભારત સરકાર તરફથી અશોક ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા. જો ઓંબલેના આ પ્રયાસથી કસાબ જીવતો ન પકડાયો હોત તો કદાચ ક્યારેય ખબર ન પડત કે ભારત પરના આ આતંકવાદી હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાનો હાથ હતો.
કોણ છે દેવીકા રોતવાન
આપણે બધા જાણીએ છીએ તેમ કાનૂની પ્રક્રિયા કોઈ ખોખલા દાવાઓથી નથી થતી. અજમલ એક આતંકવાદી હોવા છતાં તેને ફાંસીની સજા આપવા માટે પણ પુરાવાઓની જરૂર પડે છે અને તે જ પુરાવો મુંબઈના બાંદ્રામાં આવેલી ગવર્નમેન્ટ કોલોનીમાં રહેતી દેવિકા રોતવાને આપ્યો હતો.
તેણી આ અત્યંત ગંભીર કેસની એક નાનકડી ગવાહ બની હતી. હાલ તો તેણી વીસ વર્ષની છે પણ જે વખતે 2008માં મુંબઈ પર આતંકવાદી હૂમલો થયો તે વખતે તેણી માત્ર નવ જ વર્ષની હતી. તેણી આ કેસની એક અત્યંત મહત્ત્વની અને મુખ્ય સાક્ષી હતી. અને તેની જ સાક્ષીને માન્ય રાખીને કોર્ટે કસાબને ફાંસીની સજા સંભળાવી હતી.
જ્યારે દેવીકાએ પોતાની આંખો સામે આતંકવાદી કસાબને લોકોને ક્રૂર રીતે ગોળીએ વિંધતા જોયો ત્યારે તેણી માત્ર 9 જ વર્ષની હતી. તેણી માટે આ કેસનું સાક્ષી બનવું ઘણું અઘરુ રહ્યું છે. તેણીને બીજુ બધું તો ઠીક પણ કેટલાક લોકો જ્યારે તેને કસાબની દીકરી કહે છે ત્યારે તેને ખુબ જ ખરાબ લાગે છે.
કેવી રીતે ઓળખી દેવીકા કસાબને
દેવિકા પોતાનો એ ભયંકર અનુભવ જણાવતા કહે છે, તે વખતે તેણી પોતાના પિતા નટવરલાલ રોતવાન અને નાના ભાઈ જયેશ સાથે મોટા ભાઈ ભરતને પૂણે મળવા જઈ રહી હતી. તે લોકો સીએસટીના 12 નંબરના પ્લેટફોર્મ પર ઉભાઉભા ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા.
અચાનક લેકોની બૂમરાણ સંભળાવા લાગી, લોકો જોર જોરથી ભાગો-ભાગોની બૂમો પાડી રહ્યા હતા. વચ્ચે વચ્ચે ગોળીઓ તેમજ બ્લાસ્ટના અવાજ પણ સંભળાઈ રહ્યા હતા. તેણીના પિતાએ પણ બાળકોનો હાથ પકડીને ભાગવાનો પ્રયાસ કર્યો પણ અચાનક દેવિકાને ગોળી વાગી અને તેણી ત્યાં જ પડી ગઈ.
તેણી થોડીવાર માટે બેભાન થઈ ગઈ હતી પણ અપાર વેદનાથી જ્યારે તેણીની આંખો ખૂલી તો એક વ્યક્તિ વિચિત્ર રીતે હસી રહ્યો હતો અને પાગલની જેમ લોકો પર ગોળીઓ વરસાવી રહ્યો હતો. તેણી તે ચહેરો જીવનમાં ક્યારેય ભુલી શકે તેમ નહોતી. તે કસાબ હતો. ગોળીની પીડા એટલી હતી કે તેણી ફરી બેહોશ થઈ ગઈ. પછી જ્યારે તેને હોશ આવ્યો તો તેણી જેજે હોસ્પિટેલની પથારીમાં પડી હતી.
તેણીનું સદનસિબ હતું કે તેણીના પિતા અને ભાઈને કશું જ નહોતું થયું. પણ દેવિકાએ દોઢ મહિના સુધી હોસ્પિટલમા રહેવુ પડ્યું હતું. તેના પગમાં ગોળી વાગી હતી અને દોઢ મહિનામાં તેણીના પગ પર છ વાર સર્જરી થઈ ગઈ હતી. તેણીની તબિય સુધરતા તેઓ મુંબઈથી રાજસ્થાન જતા રહ્યા.
દેવીકાના જીવનમાં બધું ધીમે ધીમે થાળે પડી રહ્યું હતું. પણ એક દિવસ અચાનક તેના પર મુંબઈ પોલિસનો ફોન આવ્યો. કે તેણી આતંકવાદી કસાબ વિરુદ્ધ કોર્ટમાં ગવાહી આપી શકશે. ફોન પર કસાબનું નામ સાંભળતાં જ તેની નજર સમક્ષ તેનો બિહામણો ચહેરો આવી ગયો અને તેણી ગભરાઈ ઉઠી, પણ સાથે સાથે તેણીને તે ગોળીઓનો અવાજ પણ યાદ હતો જેણે અનેક નિર્દોશોનો જીવ લીધો હતો. તેણીએ હીંમત ભેગી કરી અને ગવાહી આપવા હા પાડી દીધી.
ઓપરેશન થયા બાદ તે હજુ પણ પહેલાની જેમ સ્વસ્થ રીતે ચાલી નહોતી શકતી. તેણી નક્કી કરેલી તારીખે લાકડીના સહારે લંગડાતી ચાલે ચાલતી કોર્ટમાં હાજર થઈ ગઈ અને પહેલી જ નજરે કસાબને ઓળખી ગઈ. ત્યારેને ત્યારે જ તેણીને તેના હાથમાંની લાકડી વડે તેને ટીપી નાખવાનું મન થઈ આવ્યું. તેણી સામે ત્રણ વ્યક્તિ ઉભી રાખવામાં આવી હતી તેમાંથી તેણે જરા પણ ખચકાટ વગર તરત જ કસાબને ઓળખી લીધો.
બહાદૂરીની દેવિકા પર પડી માઠી અસર
ઘણા લાંબા સમય સુધી દેવિકાએ હોસ્પિટલમા રહેવું પડ્યું હોવાથી તેમજ માતા તો ક્યારની મૃત્યુ પામી હોવાથી તેની સંભાળ તેનો ભાઈ અને તેના પિતા જ લેતા હતા. આર્થિક તંગી હોવાથી ભાઈ અને પિતા પોતાના ભાડાના ઘરે પણ વારંવાર નહોતા જઈ શકતાં. મકાન માલિકે તેમને મરેલા સમજી વધારે તપાસ કર્યા વગર જ તેમનો સામાન વેચી માર્યો. જેમાં મહત્ત્વના દસ્તાવેજ તેમજ તેમની બચત હતા.
દેવિકાનું નામ મિડિયામાં આવતાની સાથે જ તેના સગા સંબંધીઓ તેનાથી દૂર ભાગવા લાગ્યા. તેના પિતા સાથે કોઈ ધંધો કરવા તૈયાર નહોતું. આડોશ પાડોશના લોકો પણ તેણી સાથે વાત કરતાં ખચકાતા. તેમને ભય હતો કે ક્યાંક આતંકવાદીઓ તેમના પર હૂમલો ના કરી દે.
તેણીએ બહાદૂરી તો બતાવી પણ તેણીની હાલત કોઈ ગુનેગાર જેવી બની ગઈ હતી. પિતાનો વ્યવસાય બરાબર નહોતો ચાલતો અને બીજી બાજુ કોઈ ઉધાર દેવા પણ તૈયાર નહોતું. નેતાઓએ સમ્માન તો બહુ આપ્યું પણ. જ્યારે ટ્વીટ કરીને નેતાઓ પાસે મદદ માગી તો મદદ ન મળી. હાલ તો તેણી અને તેના પિતા સંપુર્ણ પણે તેના ભાઈની જ આવક પર નિર્ભર છે.
એક મહત્ત્વની સાક્ષી બનવાથી તેણીને શાળામાં એડમીશન પણ નહોતું મળી શકતું. છેવટે એક એનજીઓની મદદથી તેણીને સાતમાં ધોરણમાં એડમીશન મળ્યું. હાલ તેણી બારમાં ધોરણમાં અભ્યાસ કરી રહી છે અને તેણીનું સ્વપ્ન છે કે તેણી આઈપીએસ બને. પણ તેણીને એ વાતનો ભારોભાર અફસોસ અને દુઃખ છે કે જે ભારતીય લોકો માટે, જે તેના આસપાસના સામાન્ય લોકો માટે તેણીએ આ મહત્ત્વની ગવાહી આપી તે લોકોને તો તેણીની કશી પડી જ નથી.
પાકિસ્તાનથી ધમકી ભર્યા ફોન આવતા હતા
તેના પિતા પર પાકિસ્તાનથી ધમકી ભર્યા ફોન આવતા હતા અને લાલચ પણ આપવામાં આવતી હતી કે જો તેણી સાક્ષી નહીં બને તો તેણીને રૂપિયા આપવામાં આવશે. અને તેણી ન માની ત્યારે આખા કુટુંબને મારી નાખવાની ધમકી પણ મળવા લાગી. પણ તેણીએ હાર ન માની અને ગવાહી આપી અને તેણીની ગવાહીથી આતંકવાદી કસાબને ફાંસીએ ચડાવવામાં આવ્યો.
દેવિકા છેલ્લા લાંબા સમયથી ટીબીથી પિડાઈ રહી છે. દીવસે દીવસે તેના કુટુંબની સ્થિતિ બગડતી જાય છે. જો કે છેલ્લે તપોવન પ્રનયાસના અધ્યક્ષ મહેશ બેડીવાલાએ દેવીકાની બહાદુહીને બિરદાવી હતી અને તેણીને રૂપિયા બે લાખનું ઇનામ પણ આપ્યું હતું. જેનાથી દેવીકાની આંકોમાં આંસુ આવી ગયા હતા.
જો કે દેવિકાના પિતાને પોતાની દીકરીના ભવિષ્યને લઈને ઘણી ચિંતા છે તેઓ માને છે કે તેણીના લગ્ન ક્યારેય થઈ શકશે કે નહીં ! તેના પિતાને સતત ભય સતાવતો રહે છે કે શું તેમની દીકરી ખરેખર સુરક્ષિત છે ?
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ