હાલમાં ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. એમાં પણ અમદાવાદ આજે એક જ દિવસમાં 312 કેસ સાથે 13 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે એક સમયે એવું લાગી રહ્યું હતું કે આ જીવલેણ બીમારી કાબૂમાં આવી રહી છે, પરંતુ દિવાળીના તહેવારો બાદ કોરોનાનો સેકન્ડ વેવ શરૂ થયો હોય તેમ કેસોમાં વધારો થયો છે.
હાલમાં અમદાવાદ શહેર-જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો 50 હજારને પાર પહોંચી ગયો છે, જ્યારે મૃત્યુઆંક 2 હજારને વટાવી ગયો છે. જો વિગતે વાત કરીએ તો રાજ્યમાં 19 માર્ચથી 30 નવેમ્બર સુધીમાં 2 લાખથી વધુ કેસ અને 3989 મૃત્યુ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ કેસ અને મોત અમદાવાદ શહેર-જિલ્લામાં સામે આવ્યા છે. અમદાવાદમાં 50077 કેસ અને 2060 મૃત્યુ થયા છે. એટલે કે રાજ્યના કુલ કેસમાંથી 24 ટકા કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે કુલ મૃત્યુઆંકમાંથી 52 ટકા મોત એકલા માત્ર અમદાવાદમાં નોંધાયા છે.
જો અમદાવાદની શરૂઆત સાથે વાત કરીએ તો અમદાવાદમાં શહેર-જિલ્લામાં 20 માર્ચે પ્રથમ કેસ નોંધાયા બાદ એપ્રિલ મહિનાથી કોરોના સંક્રમણે વેગ પકડ્યું હતું. મે મહિનામાં સૌથી વધુ 9140 કેસ અને 693 મોત નોંધાયા હતા. જ્યારે જુલાઈ મહિનાથી કેસનો આંકડો 6 હજારની અંદર જતો રહ્યો હતો અને મૃત્યુમાં પણ ઉત્તરોત્તર ઘટાડો નોંધાયો હતો.
જો કે નવેમ્બર મહિનામાં ફરી કોરોનાએ ઉથલો મારતા એક મહિનામાં કોરોનાના કેસ 7 હજારને પાર નીકળી ગયા છે, જ્યારે દર મહિને નોંધાતો મૃત્યુનો આંકડો 100ની અંદર જતો રહ્યો હતો તે વધીને 145 થયો છે. 20 માર્ચે અમદાવાદમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો અને પ્રથમ મૃત્યુ 25 માર્ચના રોજ થયું હતું. આમ અમદાવાદ શહેર-જિલ્લામાં છેલ્લા 256 દિવસથી કોરોના કહેર વર્તાવી રહ્યો છે. આ 256 દિવસમાં 2047 દર્દીના કોરોનાથી મોત થયા છે. જેમાં પ્રથમ 1 હજાર મોત માત્ર 75 દિવસમાં નોંધાયા હતા. એટલે કે આ દિવસોમાં દરરોજ સરેરાશ 13 મોત થયા હતા. જ્યારે બીજા 1 હજાર મોત 172 દિવસમાં એટલે કે દરરોજ સરેરાશ 6 મૃત્યુ નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત બે દિવસમાં સામાન્ય ઘટાડો થયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1502 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,09,780એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 20 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3989એ પહોંચ્યો છે. જ્યારે 1401 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને 90.96 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 65,876 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
જિલ્લા પ્રમાણે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 291, સુરત કોર્પોરેશન 212, વડોદરા કોર્પોરેશન 147, રાજકોટ કોર્પોરેશન 105, મહેસાણા 70, સુરત 54, વડોદરા 40, રાજકોટ 35, કચ્છ 33, ગાંધીનગર 31, પંચમહાલ 31, બનાસકાંઠા 28, ગાંધીનગર કોર્પોરેશન 28, જામનગર કોર્પોરેશન 27, પાટણ 26, મોરબી 25, મહીસાગર 24, સુરેન્દ્રનગર 23, ખેડા 22, સાબરકાંઠા 22, અમદાવાદ 21, અમરેલી 21, દાહોદ 20, ભરૂચ 19, આણંદ 16, નર્મદા 16, નવસારી 15, જુનાગઢ 13, જુનાગઢ કોર્પોરેશન 12, અરવલ્લી 10, ભાવનગર કોર્પોરેશન 10, ગીર સોમનાથ 10, તાપી 9, બોટાદ 8, જામનગર 8, પોરબંદર 6, દેવભૂમિ દ્વારકા 5, ભાવનગર 4, છોટા ઉદેપુર 3, ડાંગ 2 કેસ સામે આવ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ