લક્ષ પર કેન્દ્રિત થવું નહીં કે આડે આવતા અવરોધો પર. સફળતા માટેની આ જ એક ચાવી છે. આપણે ઘણી બધી ફિલ્મોમાં, ઘણા બધા પર્સનાલિટી ડેવલપમેન્ટના લેક્ચર્સ કે ઘણા બધા સતસંગોમાં સાંભળ્યું હશે કે કુદરતે આપેલા જીવનની આપણે કદર કરવાની છે, તેને વેડવફવાનું નથી પણ તેને જીવી જાણવાનું છે તેને ઉત્સવની જેમ ઉજવવાનું છે. અને જીવનની આ ઉજવણી માટે તમારી પાસે કોઈ લક્ષ હોવું જરૂરી છે. તે કોઈ પણ હોઈ શકે છે. કોઈ મોટું પદ મેળવવાનું, સફળ બિઝનેસ કરવાનું, સારા માણસ બનવાનું કે કંઈ પણ. પણ જીવનમાં લક્ષ હોવું જરૂરી છે. અને ત્યાર બાદ તેને પામવા માટે અથાગ પ્રયાસો કરવા જરૂરી છે. ત્યારે જ તમે તમારા જીવનને અર્થપૂર્ણ બનાવી શકો છો.
આપણી આજની પોસ્ટમાં આજે અમે તમારા માટે એક એવી જ વ્યક્તિની સફળ ગાથા લઈને આવ્યા છે જેણે પોતાના લક્ષને પામવા માટે અવિરત મહેનત કરી છે અને છેવટે તેને પામીને જ નિરાતનો શ્વાસ લીધો છે. અમે વાત કરી રહ્યા છીએ આસિફ એહમદની. અભ્યાસમાં તેજસ્વી હોવા છતાં ઘરની કથળેલી આર્થિક સ્થિતિના કારણે તેમણે અભ્યાસ છોડવો પડ્યો. અને બે ટંકનું ભોજન પામવા બિરિયાની વેચવાનો ઠેલો લગાવવો પડ્યો.
આસિફનો જન્મ ચેન્નલઈના પલ્લવરમમાં એક સામાન્ય કુટુંબમાં થયો હતો. સમગ્ર કુટુંબ ઘરના મોભી તેવા તેના પિતાની નોકરી પર ટકેલું હતું. પણ સંજોગો કુટુંબની સાથે ન હતા અગમ્ય કારણ સર પિતાને નોકરીએથી છુટ્ટા કરી દેવામાં આવ્યા. કુટુંબ સખત આર્થિક ભીંસમાં આવી ગયું. અને માત્ર 12 વર્ષની કુમળી વયે આસિફને કામ કરવાની ફરજ પડી. તેમણે હવે છાપા વહેંચવાનું શરૂ કરી દીધું હતું અને જુના પુસ્તકો પણ વેચતા હતા.
આમ તે નજીવી રકમ કમાવી લેતા હતા. ઘણા યુવાનો જે 25-30 વર્ષની ઉંમરમાં શીખતા હોય તે આસિફ પોતાના અનુભવને આધારે પોતાની કીશોરાવસ્થાં શિખવા લાગ્યા હતા. જાતે જ પગભર થવાથી તેમના મગજમાં પૈસા કમાવાના અવનવા વિચારો આવ્યા કરતા. માત્ર 14 વર્ષની ઉંમરમાં તેમણે ચામડા બનાવાનો બિઝનેસ શરૂ કરી દીધો. આ બિઝનેસમાં તેમને ઘણા અંશે સફળતા મળી અને ધીમે ધીમે કરીને એક લાખ સુધીનો નફો કમાવી લીધો. પણ આ એક કાયમી રૂપિયા કમાવી આપતો ધંધો સાબિત ન થયો અને ધીમે ધીમે ચામડાના બિઝનેસમાં પંણ મંદી આવી અને આસિફનો ધંધો ઠપ્પ થઈ ગયો. આસિફ ઘરની તકલીફો વચ્ચે ઉછર્યો હોવાથી તે રસોઈ પણ બનાવી જાણતો હતો. અને તેને ફૂડ બિઝનેસમાં પણ ઘણી શક્યતાઓ દેખાતી હતી. પણ આ વખતે તેણે પોતાના વિચારને વાસ્તવિકતામાં બદલતા થોડી ધીરજ રાખી.
આ વખતે તેમણે સીધો જ ફૂડ બિઝનેસ શરૂ કરવાની જગ્યાએ કોઈના આસિસ્ટન્ટ તરીકે કામ કરવાનું નક્કી કર્યું જેથી કરીને તે ટેક્નિકલી બધું શીખી શકે. માટે તેઓ એક બિરિયાની કૂકના મદદનીશ બની ગયા. આ કૂક સ્થાનિક લગ્નો તેમજ ઉજવણીના અવસર પર લોકોને બિરિયાની બનાવી આપવાનું કામ કરતા હતા. તેમનું આ કામ સારી રીતે જઈ રહ્યું હતું. પણ તેમણે હજી પણ સારુ કરવાની લાલચ જાગી અને એક એજન્ટે તેમને મુંબઈમાં નોકરી અપાવવવાનો વાયદો કરી 35000 રૂપિયા ખંખેરી લીધા. મુંબઈ પહોંચતા જ એજન્ટ ગાયબ થઈ ગયો. હવે આસિફ પાસે ચેન્નઈ પાછા ફરવા સીવાય બીજો કોઈ જ ઉપાય નહોતો.
આસિફે ફરી શૂન્યથી શરૂઆત કરવાની હતી. બેંકમાં બચેલા છેલ્લા ચાર હજાર રૂપિયા આસિફે બિરિયાનીનો ઠેલો લગાવવા પાછળ ખર્ચી નાખ્યા. તે ઘરમાં જ બિરિયાની બનાવી તૈયાર કરતા અને પછી તૈયાર થયેલી બિરિયાની લઈ બજારમાં વેચવા ઉપડી જતા. તેમની બિરિયાની લોકોની ડાઢે વળગી ગઈ હતી. હવે લોકો તેમની બિરિયાનીની રાહ જોવા લાગ્યા હતા. તેમનો બિરિયાનીનો ધંધો સફળ થઈ રહ્યો હતો. ગ્રાહકોને પહોંચી વળવા માટે તેમણે રોજ 12થી 15 કિલો બિરિયાની બનાવવી પડતી. આવક વધવા લાગી હતી અને ફૂડ બિઝનેસમાં તો નફો પણ ઘણો મળતો હતો. ધીમે ધીમે તેમણે બિરિયાનીની દુકાન ખોલવા માટે નાણા ભેગા કરવા માંડ્યા. અને છેવટે તેમણે બિરિયાનીની દુકાન ખોલી જ લીધી. દુકાનનું નામ રાખ્યું “આસિફ બિરિયાની”. જોકે દુકાન ભાડાની હતી. કારણ કે દુકાન ખરીદવા જેટલા રૂપિયા હજી આસિફ ભેગા નહોતા કરી શક્યા.
દુકાન બન્યા બાદ ધંધો ધમધમી ઉઠ્યો હતો. જોકે આસિફ આટલે જ રોકાઈને સ્થિર થાય તેવા યુવાન નહોતા. તેમણે તો હજુ પણ આગળ વધવું હતું. ધંધાની પ્રગતિ જોઈ તેમણે પોતાના જ વિસ્તારમાં 1500 સ્ક્વેર ફૂટની એક જગ્યા ભાડે રાખી લીધી. અને અહીં તેમણે પોતાનું એક વ્યવસ્થિત રેસ્ટોરન્ટ ખોલ્યું. અહીં તેમણે 25થી પણ વધારે લોકોને નોકરીએ રાખ્યા. હવે તેમને બેંક પાસેથી લોન પણ સરળતાથી મળતી હતી. તેમણે પોતાની ધમધમતી આવક અને બેંક લોનની મદદથી ખુબ જ ટુંકા ગાળામાં બીજા આંઠ રેસ્ટોરન્ટ ખોલ્યા. ઘરમાં બધા આસિફની આ સફળતાથી ખુબ જ ખુશ હતા. પણ જ્યાં પૈસો આવે ત્યાં વાદ-વિખ્વાદ પણ આવે. આસિફની કમાણીને લઈને ઘરમાં કંકાસ થવા લાગ્યો.
આસિફે આ કકળાટનું નિરાકરણ પણ શોધી લીધું તેણે તરત જ મન મોટુ રાખી પોતાના બે રેસ્ટોરન્ટ પોતાની માતાના નામે અને પોતાના બીજા બે રેસ્ટોરન્ટ પોતાના બે ભાઈઓના નામે કરી દીધા.
હવે આસિફના બિઝનેસમાં બીજા કોઈનો ભાગ નહોતો. હવે તે સ્વતંત્ર હતા. હવે તેણે આસિફ બિરિયાની નામની પ્રાઇવેટ લિમિટેડ કંપની નોંધાવી જેનું વાર્ષિક ટર્નઓવર ચાલીસ કરોડે પહોંચી ગયું. આટલું જાણી એમ ન માનતા કે હવે આસિફને કોઈ જ સમસ્યા નહીં હોય, હવે બધું સ્મુધલી ચાલતુ હશે. ના, જીવનની મુશ્કેલીઓનો ક્યારેય કોઈ અંત નથી હોતો તે સતત ચાલુ જ રહે છે પણ અસંખ્ય મુશ્કેલીઓનો સામનો કરતા કરતા માણસ તેને પાર કરવામાં તેમાંથી નિરાકરણ મેળવવામાં નિપૂણ થઈ જાય છે. અને પહેલાં મુશ્કેલીઓ જે પહાડ જેવી લાગતી હતી તે હવે તેમના માટે મામૂલી થઈ જાય છે. પીઢ અને અનુભવી વ્યક્તિત્વની આ એક નિશાની છે.
આસિફે ખુબ જ નાની ઉંમરે ધંધાના દાવપેચ શીખી લીધા હતા. તેમણે વિવિધ જાતના ધંધાઓ પર હાથ અજમાવી ઘણાબધા અનુભવો મેળવી લીધા હતા. હીરાએ ચમકવા માટે ઘસાવું પડે છે ત્યારે જ તે ચમકી શકે છે. તેમ માણસે પોતાના જીવનને સાર્થક બનાવવા માટે ઘણા બધા સંઘર્ષોમાંથી પસાર થવું પડે છે ત્યારે જ તમે સાર્થક જીવન પામી શકો છો.