જલ્સા કરોને જેંતીલાલ

આપણે કલ્પના પણ ન કરી શકી તેવા રમણીય, નૈસર્ગિક સ્થળો ગુજરાતમાં છે!…

ગુજરાતીઓ વિશ્વપ્રવાસી પ્રજા તરીકે આખી દુનિયામાં જાણીતા છે. શિમલાના મોલ રોડ પર અને મનાલીની મુખ્ય બજારમાં પણ અનેક હોટલ-રેસ્ટોરાંના પટિયા ગુજરાતીમાં જોવા મળે. જો કે, આ બધાં પ્રવાસન સ્થળો આજકાલ ઝાકઝમાળ અને વૈભવથી ઉભરાઇ રહ્યાં છે અને તેનું મૂળ સૌંદર્ય સિમેન્ટ – કોક્રીટથી ઢંકાઇ ગયું હોય તેવું ઘણાં પ્રકૃતિપ્રેમીઓને લાગે છે. આમ પણ, પ્રવાસન એ શતપ્રતિશત અંગત પસંદગીનો વિષય ગણાય. કોઇને સમંદરના બીચનું આકર્ષણ હોય તો કોઇને વળી પહાડો ગમતાં હોય. શક્ય છે કે, કોઇને જંગલો ગમે અને સંભવ છે કે કોઇને ક્લબ, કેસિનો અને ડાન્સથી છલકાતાં મોડર્ન સુરિસ્ટ ડેસ્ટિનેશન્સ પણ પસંદ હોય.


ભારતમાં એક બહુ મોટો વર્ગ એવો છે જેના માટે તીર્થયાત્રા એ જ પ્રવાસન છે. હરિદ્વાર-ઋષિકેશ, મથુરા-વૃંદાવન કે બાર જ્યોતિર્લિંગ અથવા વૈષ્ણોદેવીમાં આવા અનેક યાત્રાળુઓ જોવા મળે છે. ઇકો ટુરિઝમ એટલે પર્યાવરણને નૂકસાન નથાય અને પર્યટક જે-તે સ્થળના રંગમાં રંગાઇ જાય તેવું પ્રવાસન. આ પ્રકારના ઇકો ટુરિઝમના અનેક સ્થળો ગુજરાતમાં આવેલાં છે. આ બધાં એવા સ્થળો છે જ્યાં બિલકુલ ભીડ હોતી નથી અને જેમને પ્રકૃતિનો ખોળો ખૂંદી બે-પાંચ દિવસ કે અઠવડિયું સંપૂર્ણ સાત્વિક અને નિર્ભેળ આનંદ લેવો હોય તે લઇ શકે છે.

ગુજરાતના અવા સ્થળો વિશે વાત થાય કે જાણકારોને સૌપ્રથમ ડાંગ જિલ્લો યાદ આવે. સામાન્ય માન્યતા એવી છે કે, ડાંગ એટલે માત્ર સાપૂતારા, ખોટી વાત. ડાંગ એટલે એ પ્રદેશ જ્યાં વર્ષે સવાસોથી દોઢસો ઇંચ વરસાદ વરસે છે. કહો કે, ગુજરાતનું ચેરાપુંજી. આકાશમાંથી વરસતા આ આશીર્વાદના પ્રતાપે જ ડાંગને મળ્યા છે. હર્યાભર્યા જંગલો અને ધમધમતી નદીઓ તથા ઉછળકૂદ કરતા ઝરણાઓ. ડાંગના જિલ્લા મથક આહવાથી એકાદ કલાકના અંતરેઆવેલી મહાલની કેમ્પ સાઇટ આવું જ એક વર્જિન સ્થળ છે.


સાગના ગાઢ જંગલ મધ્યે આવેલી આ કેમ્પ સાઇટમાં આરામદાયક બામ્બુ કોટેજ અને ટેન્ટ છે. પક્ષીપ્રેમીઓ માટે વોચ ટાવર્સ પણ ખરા. કેમ્પ સાઇટને અડીને જ પૂરવાટ વહે છે પૂર્ણા નદી. કોટેજમાં સૂતા હોઇએ તો તેના પ્રવાહનો અવાજ પણ સંભળાઇ શકે એટલી નજીક. મહાલ નામના નાનકડા ગામડાં પાસે એક સુંદર મજાનું રેસ્ટ હાઉસ પણ છે. વન વિભાગ હસ્તના આ આરામ ગૃહમાં એકદમ કમ્ફર્ટેબલ એવા એરકન્ડિશન્ડ રૂમ્સ બનેલાં છે. પૂર્ણા નદીને કાંઠે આવેલું આ સ્થળ દાયકાઓ અગાઉ અંગ્રેજોએ શોધ્યું હતું અને તેમણે જ અહીંના સુંદર પોઇન્ટ પર રેસ્ટ હોઉસ બાંધ્યું. જૂનું રેસ્ટ હાઉસ હજુ પણ ઉભું છે. રેસ્ટ હાઉસના રસોડા અને ડાઇનિંગ હોલ તરીકે તેનો હવે સર્વશ્રેષ્ઠ સટ્સિમાં મહાલતી આ બેઉ સાઇટ આસાનીથી સ્થાન મેળવી શકે.


પ્રવાસનો એક મુખ્ય હેતૂ રોજબરોજની ઘટમાળમાંથી બ્રેક લેવાનો જ હોય. ઝડપી યુગમાં મનુષ્ય સમય સાથે તાલ મેળવવામાં દરરોજ હાંફી રહેતો હોય છે. દિમાગને તો પળવારની ફુર્સત હોતી નથી. તન-મન એટલાં ઘસાય છે કે તેને ઊંજવા અનિવાર્ય છે. પ્રવાસ આપણાં સ્પેરપાર્ટસમાં ઓઇલિંગનું કાર્ય કરે. તેમાં પણ પ્રાકૃતિક સ્થળોએ જવાનો આનંદ કંઇક ઓર જ હોય. મહાલની આ સાઇટ્સ પર જવાની શ્રેષ્ઠ મોસમ આવી પહોંચીછે. હવે છેક ડિસેમ્બર સુધી અહીં પ્રકૃતિ સોળેય કલાએ ખીલેલી રહેશે. જો કે, અહીં આપણે ઝાઝી લકઝરીનો કે ખાણીપીણીમાં વધારે પડતી ચોઇસના દુરાગ્રહ ન રાખી શકીએ. વન વિભાગે સ્થાનિક લોકોને નાસ્તો-ભોજનદિનો કોન્ટ્રાકટ આપ્યોછે. પર્યટકોને તેઓ વાજબી દામ લઇ સવારે બટેટા પૌઆ, પુરી-ભાજી, ચા-દુધ વગેરે પીરસે છે. ભોજનમાં ડાંગના વિશિષ્ટ ધાન્ય એવા નાગલીના રોટલા, મકાઇના રોટલા, અડદની દાળ, ભાત જેવી સાદી પણ અત્યંત સ્વદિષ્ટ રસોઇ તેઓ બનાવી આપે. ડુંગળી-બટેટા સિવાયની કોઇપણ સબ્જી ખાવી હોય તો પર્યટકે અહીં કાચા-લીલા શાકભાજી લઇ જવા જરૂરી છે.


160 ચોરસ કિલોમીટરમાં પથરાયેલું પૂર્ણા વન્યપ્રાણી અભયારણ્ય સાગ અને વાંચના વૃક્ષોથી લથપથ છે. અહીં દીપડા અને ચૌશિંગા હરણની વસ્તિ પણ ખરી. ડાંગની આવી હરિયાળી સમૃદ્ધિ સાથે ત્યાના રીતિરિવાજો તથા રસાળ જીવનશૈલીનું સંયોજન સધાય ત્યારે પ્રકૃતિપ્રેમીઓ ગદ્ગદ્ થઇ જાય. ડાંગમાં આવી કંઇ માત્ર એક જ સાઇટ નથી. વાંસદા નેશનલ પાર્ક નજીક વઘઇની ભાગોળે કિલાદ નામના સ્થળે પણ ઇકો ટુરિઝમની સાઇટ ઉભી કરવામાં આવી છે. અહીં પણ ટેન્ટ અને વાંસથી બનેલા કોટેજીસ, વોચ ટાવર્સ વગેરે છે અને બાજુમાંથી ધોધમાર વહેતી નદી. શહેરી ઝંઝટથી દૂર, પ્રકૃતિની પરમ સમિપે મહાલવાનો અવસર આપતું એક અનોખું સ્થળ.

ઇકો ટુરિઝમ માટેનો કોઇ ગુજરાતી શબ્દ હજુ કદાચ શોધાયો નથી. હા ! ‘પવિત્ર પ્રવાસન’ જેવો શબ્દ ઇસ્તેમાલ થઇ શકે. પર્યટકો થકી પ્રાકૃતિક સંપદા અને જીવસૃષ્ટિને ઓછામાં ઓછું નુકસાન થાય તેવું પર્યટન. છસ્સો ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા શુલપાણેશ્વર વન્યપ્રાણી અભયારણ્યમાં પણ ઇકો ટુરિઝમના અનેક સ્થળો આવેલા છે. નિનાઇ ધોધ તો બહુ જાણીતો છે પરંતુ સગાઇ અને સામોટ નાજીના બે હિલ સ્ટેશનોનું નામ સામાન્યજન માટે જાણીતું નથી.


મહારાષ્ટ્રની બોર્ડર નજીક આવેલા એ બેઉ ટચુકડા ગિરિ મથકો આ અભયારણ્યના મુગુટ છે. અહીં રોપ-વલે, બોટિંગ, વર્ચ્યુઅલ ગેમ્સ પાર્લર, પિઝ્ઝા પાર્લર, વૈભવી હોટેલ્સ કે લિકર બાર કે એવી કશી જ ઝાકમઝાળ નથી. અહીં પ્રકૃતિ સિવાય બીજું કશું જ નથી. દૂર-સદૂર સુધી માત્ર કુદરતનું સામ્રાજ્ય તરબતર કરી દેતી તાજી હવા, વહેતાં ઝરણાં અને ઉછળકૂદ કરતી નદીઓ. લહેરાતી નવરાજી અને ઊંચેથી પછડાતાં ધોધ. આ બેઉ સ્થળે રહેવા-જમવાની સુંદર વ્યવસ્થા છે. વન વિભાગે અહીં કોટેજીસ તથા ટેન્ટની વ્યવસ્થા કરી છે. બ્રેકફાસ્ટથી લઇને ડિનર સુધી સાદું -દેશી અને સ્વદિષ્ટ ખાણું મળી રહે છે. સામોટમાં તો વનવિભાગ નિર્મિત રળિયામણો બગીચો પણ છે. આસપાસ પણ જોવા લાયક ઘણું બધું. જો કે, આ બધાથી વિશિષ્ટ અને મૂલ્યવાન છે: અહીંની ખામોશી.


આજના યુગની કદાચ સૌથી કડવી કઠણાઇ એ છે કે, મોબાઇલ છુટતો નથી અને તેનું કવરેજ ન હોય એવી જગ્યા ગૂગલમાં સર્ચ આપીએ તો પણ મળવી દૂષ્કર છે. અહીં મોબાઇલ કવરેજ નથી, વીજળી પણ દૂર્લભ. રાત્રે કોટેજની બહાર નીકળીને આકાશ તરફ નિહાળીએ તો ખ્યાલ આવે કે, આસમાનમાં કેટલાં બધાં તારા છે ! શહેરમાં એલઇડીના તેજલિસોટા વચ્ચે મનુષ્ય તારાઓની બ્યુટી કેટલી હદ સુધી મિસ કરેછે એ સગાઇ -સામોટ સ્મરણ કરાવે છે.

ઇકો ટુરિઝમની આ વિવિધ સાઇટ્સ વન વિભાગ દ્વારા ચાલે છે. નવરત્રિ-દિવાળી આસપાસ તે શરૂ થા. ઉનાળો શરૂ થાય તે પહેલાં બંધ થઇ જાય. કોટેજના ભાડાં પણ એકદમ વાજબી. 50 રૂપિયા આસપાસ. ટેન્ટના તો તેના કરતા પણ સાવ ઓછા 50 રૂપિયામાં અનલિમિટેડ બ્રેકફાસ્ટ અને ચા તથા ફુલ થાળીના લગભગ સો રૂપિયા. આવી જ ત્રણેક સાઇટ્સ વડોદરા-પાવાગઢ નજીક જામ્બુઘોડા અભયારણ્યમાં છે. પાવાગઢથી વીસેક કિલોમીટરના અંતરે આવેલું આ જંગલ 542 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલુંછે. આ સેન્કચ્યુરીના આકર્ષણો છે કડા જળાશય, ઝંડ હનુમાન મંદિર અને તરગોળ ડેમ. અહીં વન વિભાગે ધનપરી, તરગોળ અને ભાટમાં કોટેજીસ અને રૂમ વગેરેની વ્યવસ્થા છે.


ધનપરીની સાઇટ હાઇ-વેથી માત્ર બે-ત્રણ કિલોમીટર અંદર છે પણ અસલી જંગલનો આનંદ તરગોળમાં માણી શકાય. કડા ડેમને કાંઠે વનવિભાગનું આલાતરીન ગેસ્ટ હાઉસ છે. આ સ્થળનું સૌંદર્ય આંજી દે તેવું છે. ગુજરાતના ખૂણે-ખૂણે ઇકો ટુરિઝમની અદ્વિતિય સાઇટ્સ આવેલી છે. ડાંગમાં આવેલું ડોન નામનું ગામ હિમાલયની યાદ અપાવે તેટલું ખુબસુરત છે. મોટા ગીરા ધોધ (ગીરમાળ ધોધ) જવાનો રસ્તો એટલે જાણે જમ્મુથી શ્રીનગરનો સુંદર માર્ગ હોય તેવું લાગે. નાના ગિરમાળ ધોધની વળી સાવ અલગ જ બ્યુટી. કેવડિયા કોલોનીથી સગાઇ-સામોટ જઇએ તો અવર્ણનીય દ્રશ્યો દરેક પાંચમી મિનિટે નજરે પડે. જ્યાં સુધી આ દ્રશ્યો સગી આંખે ન જોઇએ ત્યાં સુધી કલ્પના પણ ન થઇ શકે કે, ગુજરાતમાં પણ આવા રમણિય સ્થળો હશે. આ વર્ષે વરસાદ અનરાધાર થયોછે તેથી આ બધાં સ્થળોની બ્યુટી ઓર નિખરી ઉઠી છે. એટલે જ પ્રકૃતિ શિક્ષણ શિબિર અને ઇકો ટુરિઝમ માટેનો શ્રેષ્ઠતમ્ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી છે.


ઇકો ટુરિઝમ એટલે પવિત્ર પર્યટન અથવા તો પાપમુક્ત પ્રવાસન. સરળ વ્યાખ્યા કરીએ તો કુદરતને આપણી અનુરૂપ ઢાળનાને બદલે આપણે જ તેનામાં ધોળાઇ જવાનું. વહેતા ઝરણામાં સ્નાન કરીએ તો ઠીક છે પરંતુ ત્યાં કંઇ શેમ્પુ લઇને વાળ ધોવા ન જવાય. પ્લાસ્ટિકની વોટર બોટલમાંથી પાણી પીવાની છૂટ પરંતુ અભયારણ્યમાં એ જ્યાં-ત્યાં ફેંકીએ તો પ્રકૃતિ સાથે ચેડાં ગણાય. ઇકો ટુરિઝમનો ખરો અર્થ જાણીએ અને તેનાં સમાન્ય સિદ્ધાંતો પાળીએ તો આપણે વધુ જવાબદાર નાગરિક બની શકીએ. ગુજરાતમાં આવેલી ઇકો ટુરિઝમની અનેક સાઇટ્સ પર યંગ જનરેશન માટે એટલે જ પ્રકૃતિ શિક્ષણ શિબિરો યોજાતી રહે છે. આવા સ્થળોએ વિદ્યાર્થીઓને અનેક પ્રકારની ઉપયોગી માહિતી અને તાલિમ આપવામાં આવે છે. જો કે, આ બધાં સ્થળોએ જવા માટે વિદ્યાર્થી હોવાનું જરૂરી નથી, ગૃપમાં કે સપરિવાર પણ તેનો આનંદ ઉઠાવી શકીએ.


ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઇડર નજીક આવેલા પોળોના જંગલને ખરા અર્થમાં છૂપો ખજાનો કહી શકાય. નાની-ચટુકડી ટેકરીઓ, રૂમઝૂમ નૃત્ય કરતાં ઝરણાં અને ધસમસતી નદીઓ… ગાઢ વનરાજી અને તેની વચ્ચે વસતી વન્ય સંપદા તથા ધબકતી વન્યસૃષ્ટિ. આવા વાતાવરણમાં ટ્રેકિંગના નાનાં-મોટા કાર્યક્રમોનો એક અલાયદો આનંદ છે. પોળોમાં બે-ચાર કલાકના રૂટથી લઇનેબાર કલાકના ટ્રેકીંગ પ્રોગ્રામ પણ ગોઠવીશકાય છે. દરેક રૂટમાં વચ્ચે ઝરણાં આવે, નદીઓ પાર કરવી પડે અને ચઢાણ-ઉતરાણ પણ હોય.


પોળોમાં વન વિભાગે શ્રેષ્ઠતમ્ લોકેશન પર અત્યંત સુંદર વ્યવસ્થાનું સર્જન કર્યુ છે. એ.સી.-નોન એ.સી. રૂમ્સ છે અને લોગ હટ પણ બનાવાયેલી છે. અહીં મુકામ રાખીને આસપાસ આવેલા અનેક સ્થળોનું સાઇટ સીંઇંગ કરી શકાય. પોળોમાં સારણેશ્વર નામનું ભગ્નાવશેષ પરંતુ અતિ સુંદર શિવાલય છે, પ્રાચીન મંદિરો અને અત્યંત પ્રાચીન જીનાલયો પણ ખરા. વૈજ્ઞાનિક પરિક્ષણથી પુરપાટ થયું છે કે, પોળોમાં આવેલી દેવાલયો એ ગુજરાતના સૌથી પ્રાચીન હયત બાંધકામો છે. અહીંના દેવાલયો જિર્ણશિર્ણ હોવા છતાં તેનો એક આગવો વૈભવ છે. તેનું સ્થાપત્ય નિહાળીને મુલાકાતી અંજાય નહીં એવું ક્યારેક જ બને.


બનાસકાંઠા-રાજસ્થાનની સરહદ પર આવેલું જેસ્સોર વન્યજીવ અભ્યારણમાં પણ પોળાની જેમ અનેક વન્ય કેડીઓ અથવા તો ટ્રેકિંગ રૂટ્સ આવેલા છે. 180 ચોરસ કિલોમીટરના શ્રેત્રફળમાં ફેલાયેલા આ આરક્ષિત વનમાં પ્રકૃતિએ મન મૂકીને સુંદરતા ઠાલવી છે. આંખો ઠરે તેવા તળાવો, તેની મુલાકાતે આવતા દેશી-વિદેશી દૂર્લભ પક્ષીઓ, પહાડો, પહાડની ટોચે આવેલું કેદારેશ્વર મંદિર.. બધું જ અપ્રતિમ અને અવર્ણનીય. વરસાદની મોસમ વીતે, ચોમાસું પૂર્ણ થાય કે અહીં જાણે નાનકડું સ્વર્ગ સર્જાઇ જાય.


જેસ્સોરની કેમ્પ સાઇટ પર પણ રહેવા-જમવાની સરસ વ્યવસ્થા છે. એરકન્ડિશન્ડ કોટેજીસ, વાંચની હટ્સ અને વન વિભાગનું પાક્કુ બાંધકામ ધરાવતું રેસ્ટ હાઉસ. પાલનપુર અને મહેસાણા જેવા શહેરોમાંથી અ્નેક પરિવારો અને ગૃપ્સ અહીં બે-ચાર દિવસ રિલેક્સ થવા અને કુદરતને શ્વાસોમાં ભરી લેવા આવે છે.


ઇકો ટુરિઝમના ફાયદા અગણિત છે. પરિવાર સાથે જઇએ તો બાળકોને એ સમજણ મળે કે, પ્રવાસ એટલે માત્ર મોજમજા જ નહીં પરંતુ જાણવું, જોવું અને માણવું પણ ખરું. બેશક, પર્યટનમાં આનંદ હોવો જ જોઇએ પરંતુ તેમાં થોડો શ્રમ પણ હોઇ શકે. દરેક સ્થળની એક આગવી બ્યુટી હોય. લાસવેગાસ જવાનું થાય તો કંઇ બાજરાનો રોટલો અને અડદની દાળ શોધવા ન નીકળાય. હિમાલયમાં ઊંટ સવારી ન હોય અને જંગલમાં મેકડોનાલ્ડસ કે બર્ગર કિંગની ચેઇન ન મળે. પ્રત્યેક પ્રવાસન ધામની એક પોતિકી ઓળખ હોય છે, એ ઓળખ અને તની આમન્યા જળવાય તો તેનું સૌંદર્ય પણ અખંડ રહે.


શુદ્ધતમ્ પ્રવાસનો આનંદ ઉઠાવવો હોય તો પોરબંદર નજીક આવેલું કિલેશ્વર પણ એક સાવ વર્જિન સ્થળ છે. બરડા અભયારણ્યમાં આવેલા આ સ્થળ પર કિલ્લેશ્વર મહાદેવનું 3700 વર્ષ જૂનું શિવાલય પણ છે. કહેવાય છે કે તેની પ્રાણપ્રતિષ્ઠા સ્યં યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણના માર્ગદર્શન હેઠળ કરીહતી. દંતકથા એવી છે કે, શ્રીકૃષ્ણએ જ્યારે દ્વારકા નિર્માણની શરૂઆત કરી ત્યારે તેમનો મુકામ કિલ્લેશ્વરમાં રાખ્યો હતો.


કિલ્લેશ્વરમાં હજુ પણ પ્રકૃતિ અકબંધ છે. હાઇ-વેથી અહીં સુધી આવવા માટે ખાડાખબડાંથી ભરપૂર કાચો રસ્તો છે. વીજળી અહીં હજુ પહોંચીનથી. ટેલીફોન પણ નહીં. અને મોબાઇલ કવરેજ પણ નહીં. ચોમાસા પછી વહેતી નદીઓ અને રૂમઝૂમ કરતાં ઝરણાંઓ. અહીં દીપડા, હરણ, જંગલી સુવ્વરની વસ્તિ પણ ખરી. અભયારણ્ય મધ્યે આવેલા ડેમમાં સેંકડોની સંખ્યામાં મગરમચ્છ રહે. આખું અભયારણ્ય પક્ષીઓ માટેનું ઘરનું ઘર. અનેક દુર્લભ પ્રજાતિના પક્ષીઓ જોવા મળે. બર્ડ વોચર્સ અને પક્ષીવીદો્ માટે જાણે એક તીર્થ જ જોઇ લો.


કોઇ અભયારણ્ય મધ્યે આખી સંસ્કૃતિ મળી આવી હોય તેવું ભારતનું કદાચ એકમાત્ર સ્થાન તે કિલ્લેશ્વર. અહીં સદીઓ જુની ઘૂમલીની સંસ્કૃતિ મળી આવીછે. અહીંયા આવેલું નવલખા મંદિર તેના બેનમૂન સ્થાપ્ત્ય માટે વિખ્યાત ગણાય છે. ટેકરીની ટોચ પર કચ્છના દેશદેવી મા આશાપુરાનું રૂપકડું મંદિર સ્થિત છે. આ ટેકરી પરથી બરડા અભયારણ્યનો બર્ડ-આઇ વ્યૂ લઇ શકા યછે. જે કોઇને પણ મંત્રમુગ્ધ કરી દેવા સક્ષમ છે. કિલ્લેશ્વર મંદિરની નજીક કચ્છના મહારાજાએ બંધાવેલો એક નાનકડો મહેલ છે. જેનો કબ્જો અત્યારે વન વિભાગ પાસે છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આ બંગલીનો ઉપયોગ રેસ્ટ હાઉસ તરીકે કરે છે. ચાર-છ રૂમ્સ છે. જેનું બૂકિંગ પોરબંદર વન વિભાગની કચેરી પર થઇ શકે છે. ભોજનદિની વ્યવસ્થા અગાઉથી ગોઠવવી પડે. અભયારણ્ય મધ્યે વસતા માલધારીઓના ઘેર જમવાનું ગોઠવાય તો ઉત્તમ. અસ્સલ દેશી ખાણું મળે.


બરડામાં ટ્રેકિંગની મજા જ કંઇક અલગ છે. યુથ હોસ્ટેલ્સ એસોશિએશન ઓફ ઇન્ડિયા અહીં નિયમિત ટ્રેકીંગ કાર્યક્રમોનું આયોજન કરે છે. સ્થાનિક લોકોની મદદથી પણ ટ્રેકિંગ ગોઠવી શકાય છે. અને વનવિભાગ બિટ ગાર્ડ પણ તે કરાવી શકે. સપરિવાર આવું વન પરિભ્રમણ ગોઠવવું હોય તો પણ ગોઠવી શકાય. અહીંના રૂટ્સ બિલકુલ કપરાં નથી. શરિરીક રીતે ફિટ હોય તેવી કોઇપણ વ્યક્તિ તે આસાનીથી કરી શકે. બરડા ડુંગરમાં માલધારીઓની અસલી પરંપરાગત સંસ્કૃતિ જોવા મળે છે અને એ ખરેખર રસપ્રદ તથા રસાળ છે.


ગુજરાત-સૌરાષ્ટ્રમાં આવા અનેક સ્થળો છે. ભાવનગર નજીક આવેલું વેળાવદર અભયારણ્ય કાળિયાર માટે સ્વર્ગ ગણાય છે. અહીં પક્ષીઓની અત્યંત દૂર્લભ પ્રજાતિઓ પણ જોવા મળે છે. ઝરખ પણ પુષ્કળ પ્રમાણમાં. અભયારણ્ય મધ્યે વનવિભાગના સુવિધાસભર રૂમ્સ છે. ઘાસના આ જંગલની સુંદરતા એકદમ ડિફરન્ટ છે. કચ્છના નારાયણ સરોવર નજીક ઇકો ટુરિઝમ માટે સુંદર સુવિધાસભર કૂબા જેવાં કોટેજ ઉપલબ્ધ છે. અહીંથી સમુદ્રની અફાટ જળરાશિના દિવ્ય દર્શન કરી શકાય. ગુજરાતની આવી અનેક સાઇટ્સ પર વન વિભાગ દ્વારા અત્યંત વાજબી દામથી રહેવા-જમવાની સગવડ ઉપલબ્ધ છે. જેનુ બુકિંગ જે-તે જિલ્લાના વનવિભાગમાં કરાવવું પડે છે.

રિસોર્ટ્સની બેશક એક મજા હોય છે. પેકેજમાં સવારે મળતા બાવીસ પ્રકારના બ્રેકફાસ્ટ અને એક્ટિવિટિઝ અને સ્વિમિંગ પૂલ… પરંતુ આ બધાથી પર પણ એક દુનિયા છે. કુદરતના ખોળે વસતી શ્વસતી દુનિયા.

લેખક-પત્રકાર – કિન્નર આચાર્ય

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો…

Exit mobile version