જલ્સા કરોને જેંતીલાલ

આજથી શરુ થતા ચાતુર્માસમાં હરિ દર્શનનું મહત્વ અને સાથે જાણો નારદમૂનિ સાથે જોડાયેલી છે આ રસપ્રદ કથા…

જાણો દેવ પોઢી અગિયારસથી – દેવ ઊઠી અગિયારસ સુધી ચાર મહિનાના નિર્જળા ઉપવાસ અને પૂજા – પાઠ – કથા વાચનનું છે અનેરું મહત્વ. ચાતૂર્માસમાં કરાય છે શ્રી હરિના દર્શન, સમાજિક, ધાર્મિક અને પ્રાકૃતિક કારણ જાણીને નવાઈ લાગશે.

ચાતૂર્માસ એટલે એવી ૠતુ જ્યારે પ્રભુ ભક્તિમાં લીન થઈને ઉપવાસ, પાઠ – પૂજા અને કથા વાર્તા સાંભળવાનો – વાંચવાનો શ્રેષ્ઠ સમય. ભારતીય ૠતુ ચક્ર મુજબ આ સમયે ચોમાસુ તેની પરાકાષ્ઠાએ જામ્યું હોય છે. તે સમયે કહેવાય છે કે ધરતી માતા રજસ્વલા અવસ્થામાં હોય છે. ધરાએ લીલી ચુંદડી પહેરી હોય એવું લાગે છે. ત્યારે વાતાવરણમાં ચોમેર ઠંડક અને લોલોતરી છવાયેલ આહલાદક આબોહવાને કારણે સૌનું ચિત્ત પણ શાંત થયેલું હોય છે.

ઉનાળાની કાળઝાળ ગરમી સહન કર્યા પછી ઉચાટ અને ઉકળાટ ભર્યું વાતાવરણને ભૂલી જઈને નિરાંતનો અનુભવ કરવાનો હોય છે. જેઓ ખેડૂત છે, તે પોતાની વાવણીનું કામ કરીને થાક્યો હોય છે, દરિયા ખેડુ પ્રજા ચોમાસાના આ ચાર માસ સુધી દરિયો ખેડવા નાવમાં જતા નથી. વળી, જેઓ પ્રવાસી અને યાત્રાળુઓ છે, તેઓ પણ દરિયો, નદી કે જળાશયો અને પહાડી વિસ્તારોની સફર ખેડવાનું સાહસ કરતા નથી તેથી આ સમયે પ્રભુ ભક્તિ કરીને પૂણ્ય કમાવાનું જ યોગ્ય છે. એમ મનાય છે.

આવો જાણીએ, ચાતૂર્માસનું કેવું છે આપણાં ધાર્મિક અને સામાજિક જીવનમાં મહત્વ…

હિન્દુ સંસ્કૃતિમાં શ્રી કૃષ્ણના ઉપાસકો, સ્વામીનારયણ ધર્મ અને જૈન ધર્મ અનુયાયીઓમાં ચાતૂર્માસનું ખૂબ જ મહત્વ છે. અષાઢ સુદ અગિયારસના દિવસથી કારતક સુદ અગિયારસ એમ ચાર મહિના સુધીના સમયગાળાને ચાતૂર્માસ કહેવાય છે. શાસ્ત્રો અનુસાર, અષાઢ સુદ અગિયારના દિવસે ભગવાન શયન કરતા હોય છે, તેથી તેને દેવ પોઢી અગિયારસ અને કારતક સુદ અગિયારસના દિવસે ભગવાન જાગતા હોવાથી તેને દેવ ઊઠી અગિયારસ કહેવાય છે. ભગવાન આ સમય દરમિયાન પોઢી ગયા હોવાથી કોઈ પણ પ્રકારના મંગળ પ્રસંગો નથી થતા. દિવાળી પછીના સમયગાળા બાદ જ લગ્નો અને વાસ્તુપૂજા જેવા પ્રસંગો યોજવામાં આવે છે.

આ સમયે વાતાવરણ પણ ભેજવાળું હોવાથી હળવું અને સૂપાચ્ય ખોરાક ખાવાની સલાહ મળતી હોય છે તેથી ફરાળ કરીને ઉપવાસ કરવો અને નિર્જળા વ્રત કરવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી નિવડે છે. ચોમાસાના સમયમાં દહીં ખાવું પણ વર્જ્ય ગણાય છે, જેને કારણે એ.સી.ડી.ટી. અને ગેસ જેવી તકલીફો ન થાય તેની તકેદારી રાખવામાં આવે છે. શાસ્ત્રોમાં એક શ્ર્લોક છે, જેવા ભગવાન શ્રી વિષ્ણુ કહે છે કે મારા શયન દિવસે, મારા પડખા ફરવાના દિવસે એટલે કે પરિવર્તિની એકાદસી અને મારા જાગવાના દિવશે જે ભક્ત દૂધ, દહીં અને જળ આરોગશે તે મારા હ્રદયમાં શૂળ ભોંકતા હોય એટલું પીડાદાયક રહેશે.

તેથી આ મુખ્ય ત્રણ અગિયારસ નિર્જળા કરવાનું શાસ્ત્રોમાં કહેવાયું છે. તેની પાછળ એજ કારણ છે કે જાતકનું સ્વાસ્થ્ય ચોમાસાના સમયે દુરસ્ત રહે. ગરમ પાણી જ પીવું કે માત્ર ફળફળાદી અને બાફેલું કે કાચું ખાવું એ માત્ર ધાર્મિક વિધિ પૂરતું નહીં પણ આરોગ્યની દ્રષ્ટિએ એક ઉપકારક પ્રથા છે. નિરોગી જીવન અને દિર્ઘાયુષ્ય માટે પણ આ વ્રત ઉત્તમ ગણાય છે.

સંસ્કૃતિની દ્રષ્ટિએ શું છે, ચાતૂર્માસનું મહત્વ, શાથી આ સમયમાં નથી કરતાં મંગળ કાર્યો, જાણો.

ચાતૂર્માસમાં ધર્મગુરુઓ અને સાધુ – સંતો વિહાર માટે નીકળી પડે છે. સમયને તેઓ કથા વાચન, ધર્મ સંદેશ અને જ્ઞાનની વાતોને સામાન્ય લોકો વચ્ચે વહેતી કરવા માટેનો ઉત્તમ સમય માને છે. આ સમયગાળામાં મહત્તમ દેવકાર્યો કરીને ભાગવત કથા, ધાર્મિક અનુષ્ઠાન, શ્રીમદ ભગવદ ગીતાના પાઠ તેમજ જાપ – ધૂન – ભજન – કિર્તન કરવાનું પણ ખૂબ જ મહત્વ છે. લગ્ન પ્રસંગ ન કરવા પરંતુ સત્યનારાયણ દેવની કથા, હોમ – હવન કે યજ્ઞ જરૂર કરવામાં આવે છે. એમાં ય ખાસ કરીને અગિયારસના દિવસે.

પુરાણોના સમયમાં આજના જેવા આધુનિક વાહનોની કોઈ વ્યવસ્થા નહોતી. કે પછી સંદેશા વ્યવહારની કોઈ સગવડ નહોતી. તેથી ચોમાસા દરમિયાન જો લગ્ન પ્રસંગો કે જાન આગમન જેવા પ્રસંગોને હાથ ધર્યા હોય તો મોટો જન સમૂદાય એક સાથે જોખમમાં મૂકાઈ શકે છે. પગપાળા પ્રવાસ કે યાત્રા કરતા લોકો નદી – નાળાં છલકાંતાં મુશ્કેલીમાં મુકાઈ શકે છે. તેમને માટે રાતવાસો કરવો કે રાકાણ કરવા માટેની વ્યવસ્થાઓ કરવી પણ અઘરી બનતી હોય છે. તે જ કારણે પુરાણકાળથી ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી અને તેમની જાગૃત અવસ્થા બાદ જ મંગળકાર્યો કરવા તેવો નિયમ કેળવાયો હોઈ શકે.

આવો, જાણીએ શા માટે અન્ય કોઈ નહીં પણ મથુરા વૃંદાવન ઉત્તમ યાત્રાધામ છે, ચાતૂર્માસ દરમિયાન. નારદમૂનિ સાથે જોડાયેલી છે આ રસપ્રદ કથા…

પૌરાણિક કાળની એક કથા અનુસાર, જે શ્રી ગર્ગ સંહિતામાંથી લેવાઈ છે, તેમાં કહેવાયું છે કે બ્રહ્માજીના વેદો – પુરાણોના ગ્રંથોની ચોરી શંખાસૂર નામના એક દૈત્યએ કરી અને સમુદ્રમાં જઈને છૂપાઈ ગયો. આ ગ્રંથોને પરત મેળવવા ભગવાન શ્રી વિષ્ણુએ મત્સ્યાવતાર ધારણ કર્યો અને સમુદ્રમાં જઈને દૈત્ય સાથે યુદ્ધ કર્યું. તેની પાસેથી આ વેદો પાછા મેળવ્યા અને તેનો વધ કર્યો. ભગવાન શ્રી વિષ્ણુએ પ્રયાગ જઈને બ્રહ્માજીને આ ગ્રંથો સોંપ્યા ત્યારે પ્રયાગ રાજને તિર્થરાજનો દરજ્જો આપવામાં આવ્યો.

શ્રી હરિના આ નિર્ણય બાદ એકવાર બન્યું એવું કે જંબુદ્વીપના તમામ તિર્થયાત્રા કરવા નીકળેલા ભક્તો અનેક સ્થળોએ દર્શન કરી આવ્યા પરંતુ મથુરા અને વૃંદાવન ન ગયા. જેથી નારદ મુનિ પ્રયાગરાજ પાસે પ્રગટ થયા અને કહ્યું કે આ ભક્તોએ તમામ સ્થળોએ તમારું પૂજન કર્યું પરંતુ મથુરા સ્થળે ન કર્યું જે તમારો તિરસ્કાર કહેવાય. આ સાંભળીને ખિન્ન થયેલા પ્રયાગરાજે ભગવાન હરિ પાસે પહોંચીને ફરિયાદ કરીને વ્રજ ભૂમિના તિર્થોએ મથુરામંડળીમાં જઈને દર્શન નથી કર્યા. અર્થાત આ વ્રજ ક્ષેત્રે તમારો તિરસ્કાર થયો ગણાય.

ત્યારે શ્રી હરિએ તેમને સંતોષકારક જવાબ આપ્યો કે મથુરામંડળી મારું અતિપાવન ધામ છે, આ સ્થળ કદી કોઈ પ્રલમાં પણ તેનો સંહાર થઈ શકશે નહીં એટલું દિવ્ય ધામ છે. આ વિષયમાં સાંભળીને બ્રહ્માજીએ મથુરામંડળીમાં પણ પ્રયાગરાજ તિર્થે પૂજન દર્શન કર્યા. જેથી આ સ્થળનું મહત્વ પ્રયાગરાજ કરતાં પણ વધ્યું જે આજે પણ પરંપરા યથાવત છે, પ્રયાગરાજ યાત્રા કરવા પહેલાં મથુરામંડળીની યાત્રા કરવામાં આવે છે.

ચોમાસા દરમિયાન પણ અહીંની જમીન સમતલ રહે છે, કારણ કે અહીં નદી, ઝરણાં કે પર્વતીય પ્રદેશ નડતો નથઈ. જેથી અહીં પ્રવાસ કે યાત્રા કરવી આજના યુગમાં પણ સરળ રહે છે. પુરાતન કાળથી ચાલી આવતી ચાતૂર્માસની યાત્રાનું આજે પણ એટલું જ મહત્વ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version